રાત્રે 151 કિલોની કેક, પુષ્પવર્ષા અને ભક્તિભાવ સાથે રાજકોટમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

રાત્રે 151 કિલોની કેક, પુષ્પવર્ષા અને ભક્તિભાવ સાથે રાજકોટમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

જ્યારે સમગ્ર વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ નવા વર્ષ 2026ની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળશે. શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત આજે રાત્રે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થવાની છે, જેમાં 151 કિલોની વિશાળ કેક, 108 કિલો પુષ્પોથી પુષ્પવર્ષા અને વિશેષ પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

રાજકોટ શહેરનું રેસકોર્સ ગ્રાઉન્ડ છેલ્લા કેટલાક દિવસોથી આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. હરિપ્રકાશદાસજી સ્વામી વ્યાસપીઠ પરથી શ્રોતાઓને ભાવભરી વાણીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના ચોથા દિવસે ભક્તોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી. સોમવારે 35 હજારથી વધુ અને મંગળવારે 50 હજારથી વધુ ભાવિકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.

આ આયોજન માત્ર ધાર્મિક નથી પરંતુ સામાજિક જાગૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. એક જ દિવસે 300થી વધુ વપરાયેલી પ્લાસ્ટિક બોટલો એકત્ર કરીને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
 

પશ્ચિમી સંસ્કૃતિને તિલાંજલિ, ભારતીય સંસ્કૃતિનું સ્વાગત

આજે 31 ડિસેમ્બરની રાત્રે, જ્યારે મોટા શહેરોમાં પાર્ટી, ડીજે અને ઉજવણી જોવા મળે છે, ત્યારે રાજકોટમાં યુવાનો ભક્તિભાવ સાથે હનુમાન જન્મોત્સવ ઉજવશે. 35મીની માત્રાએ શ્રી હનુમાનજી દાદાનો જન્મોત્સવ અત્યંત ભવ્ય રીતે ઉજવાશે. દાદાને 151 કિલોની કેક અર્પણ કરવામાં આવશે, 51 કિલો ચોકલેટ-કેડબરીનો પ્રસાદ વહેંચાશે અને 108 કિલો પુષ્પોથી દાદા પર પુષ્પવર્ષા કરવામાં આવશે.
 

અન્નકૂટ મહોત્સવનું વિશેષ આયોજન

હરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આગામી 2 જાન્યુઆરીના રોજ હનુમાનદાદાનો ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાશે. આ અવસરે રાજકોટ શહેરની બહેનો અને માતાઓને વિશેષ અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વહસ્તે બનાવેલ પ્રસાદ અથવા વાનગી દાદાને અર્પણ કરવા કથા સ્થળે લાવે. આ અન્નકૂટ ઉત્સવમાં ભક્તિ અને સહભાગિતાનો અનોખો માહોલ સર્જાશે.
 

શ્રદ્ધાળુઓ માટે વિશાળ વ્યવસ્થા

કથામાં હજારો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે આયોજકો દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક કંટ્રોલ, પ્રસાદ વિતરણ, પાણી, બેઠક વ્યવસ્થા સહિત અલગ-અલગ સમિતિઓ રચવામાં આવી છે. અંદાજે 2000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે.
 

યુવાનોને વ્યસન મુક્તિનો સંદેશ

કથા દરમિયાન હરિપ્રકાશદાસજી સ્વામીએ યુવાનોને હૃદયસ્પર્શી સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, “જો તમે તમારા માટે વ્યસન ન છોડી શકો તો તમારા પરિવાર, બાળકો અને પત્નીના ભવિષ્ય માટે તો વ્યસન છોડો.” તેમણે સમાજની કડવી વાસ્તવિકતા રજૂ કરતા જણાવ્યું કે અકાળે જીવન ગુમાવનાર યુવાન પાછળ રહી જતી સ્ત્રી અને પરિવારની સ્થિતિ સમાજ માટે ચિંતાજનક છે.
 

નિઃસ્વાર્થ ભક્તિનું ઉદાહરણ

કથા દરમિયાન સ્વામીજીએ ભરવાડ સમાજના એક દાદાની નિઃસ્વાર્થ સેવાનું ઉદાહરણ આપીને શ્રોતાઓને ભાવુક કરી દીધા. પોતાની ગરીબી હોવા છતાં તેઓ ભક્તિ અને સેવા માર્ગથી ક્યારેય વિમુખ થયા નથી. તેમની આ નિષ્ઠા અને ત્યાગે હજારો લોકોની આંખો ભીની કરી દીધી હતી.

આ રીતે રાજકોટમાં હનુમાન ચાલીસા યુવા કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સંસ્કૃતિ, સમાજસેવા અને યુવાનોમાં સંસ્કાર જાગૃતિનું મહાન કેન્દ્ર બની રહી છે.
 

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો