જમીન દબાવનાર ચેતી જજો : જામનગર કલેકટરે એક ઝાટકે પાંચ કેસોમાં પોલીસ ફરિયાદનો હુકમ કર્યો Feb 03, 2026 રાજ્યભરમાં જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવનાર ઇસમો માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ–2020 હેઠળ કાર્યવાહી વધુ કડક બની છે. આ કાયદાની અસરકારક અમલવારી માટે જિલ્લા સ્તરે કલેકટરના અધ્યક્ષસ્થાને એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે, જે જમીન પચાવી પાડવાના મામલાઓ અંગે આવેલી અરજીઓની તપાસ કરીને યોગ્ય નિર્ણય લે છે. જામનગર જિલ્લામાં તાજેતરમાં આ કાયદાનો કડક અમલ જોવા મળ્યો છે, જ્યાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે એક જ ઝાટકે પાંચ અલગ-અલગ કેસોમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપતા જમીન દબાવનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.કલેકટર કચેરીના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, તા. 27 જાન્યુઆરીના રોજ જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ–2020 હેઠળ રજૂ થયેલી અરજીઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન તપાસનીશ અધિકારીઓએ જમીન પચાવી પાડવાના મામલાઓ અંગે વિગતવાર તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલના આધારે કલેકટરે નિર્ણાયક પગલું ભર્યું.આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સહિત કમિટીના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રજૂ થયેલા કેસોમાં કુલ પાંચ જમીન પચાવી પાડવાના મામલાઓનો સમાવેશ થતો હતો. તેમાં એક સરકારી જમીન અને ચાર ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબજો કરવાના કેસો હતા. તમામ પુરાવા અને તપાસ અહેવાલોના આધારે જિલ્લા કલેકટર કેતન ઠક્કરે નિષ્કર્ષ આપ્યો કે આ પાંચેય કેસોમાં પ્રાથમિક રીતે લેન્ડ ગ્રેબિંગ થયાનું સ્પષ્ટ રીતે સામે આવ્યું છે. પરિણામે, કલેકટરે એક સાથે પાંચેય કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો.આ નિર્ણય પછી જામનગર જિલ્લામાં જમીન પચાવી પાડનાર ઇસમોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે જિલ્લા કલેકટર કેતન ઠક્કરની ત્વરિત અને નિર્ભય નિર્ણયક્ષમતાની શૈલી છેલ્લા કેટલાક સમયથી જામનગરથી લઈને ગાંધીનગર સુધી સકારાત્મક રીતે ચર્ચામાં છે. તેઓ કોઈ પણ પ્રકારની દબાણ, ભલામણ કે ઓળખાણને ધ્યાનમાં લીધા વિના કાયદા મુજબ કડક કાર્યવાહી કરે છે, જેનાથી પ્રશાસનમાં કડક સંદેશો પહોંચ્યો છે.તાજેતરમાં જ જામનગર જિલ્લામાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીનો સંબંધિત કેટલાક વિવાદાસ્પદ નોંધપાત્ર કેસોમાં પણ કલેકટર ઠક્કરે અગાઉ પ્રમાણિત થયેલી નોંધો રદ કરી હતી. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંકેત મળ્યો હતો કે જમીન મામલામાં ગેરરીતિ કરનાર મોટા માથાઓ સામે પણ કોઈ શેહ-શરમ રાખવામાં આવશે નહીં. હવે એકીસાથે પાંચ લેન્ડ ગ્રેબિંગ કેસોમાં પોલીસ ફરિયાદનો હુકમ કરીને કલેકટર કચેરીએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે જામનગર જિલ્લામાં જમીન દબાવી લેવાના કિસ્સાઓમાં કોઈની ભલામણ કે દબાણ ચાલવાનું નથી.પ્રશાસનના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આગળ પણ આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારી તેમજ ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબજો કરનારાઓ સામે માત્ર નોંધો રદ કરવાની કાર્યવાહી પૂરતી નહીં રાખવામાં આવે, પરંતુ જરૂરી જણાશે ત્યાં ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. આ નિર્ણયોથી જમીન માલિકોમાં વિશ્વાસ વધ્યો છે અને ગેરકાયદેસર કબજા સામે કાયદાનો ભય સ્પષ્ટ રીતે ઉભો થયો છે.જામનગર કલેકટર કેતન ઠક્કરની આ કાર્યવાહી જમીન માફિયાઓ માટે ચેતવણી સમાન છે. જિલ્લા પ્રશાસનનો સ્પષ્ટ સંદેશો છે કે જમીન પચાવી પાડવાના કોઈપણ પ્રયાસો સહન કરવામાં નહીં આવે અને કાયદાનો ભંગ કરનારને કડક પરિણામો ભોગવવા પડશે. આગામી સમયમાં લેન્ડ ગ્રેબિંગના વધુ કેસોમાં પણ આવી જ કડક કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. Previous Post Next Post