ચેક બાઉન્સ કેસમાં 2.5 કરોડ જમા કરાવી રાજપાલ યાદવને જામીન, વર્ષો જૂના વિવાદને લઈને દિલ્હી હાઈકોર્ટનો કડક વલણ Feb 16, 2026 બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવને વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં અંતે રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટમાં થયેલી સુનાવણી બાદ અભિનેતાએ 2.5 કરોડ રૂપિયા જમા કરાવતા તેમને જામીન આપવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં કોર્ટનો વલણ કડક રહ્યું હતું અને અગાઉની સુનાવણીઓમાં અભિનેતાને અનેક વખત ઠપકો પણ આપવામાં આવ્યો હતો.કોર્ટમાં 16 ફેબ્રુઆરીએ જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. શરૂઆતમાં કોર્ટે વચગાળાના જામીન માટે 1.5 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બપોરે 3 વાગ્યા સુધી રજૂ કરવાની શરત મૂકી હતી. કોર્ટએ સ્પષ્ટ કર્યું હતું કે જો નક્કી સમયમર્યાદા સુધી રકમ જમા કરવામાં આવશે તો તેમને મુક્તિ આપવામાં આવશે, નહીતર સુનાવણી બીજા દિવસે હાથ ધરાશે. ત્યારબાદ 2.5 કરોડ રૂપિયા જમા કરવામાં આવતા કોર્ટએ જામીન મંજૂર કર્યા હતા.માહિતી મુજબ, રાજપાલ યાદવે 19 ફેબ્રુઆરીએ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટએ માત્ર વ્યક્તિગત કારણો આધારે રાહત આપવાને બદલે નાણાકીય જવાબદારી નિભાવવાની શરત પર ભાર મૂક્યો હતો. કોર્ટનો કડક અભિગમઅગાઉની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અભિનેતાને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે લોનની રકમ ચૂકવવા માટે તેમને 25થી 30 તક આપવામાં આવી હતી, છતાં તેઓ ચુકવણી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. રાજપાલના વકીલે સજા પર રોક મૂકવાની વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જ્યારે લોન લીધાનું સ્વીકારવામાં આવ્યું છે ત્યારે કાનૂની જવાબદારીમાંથી મુક્તિ કેમ અપાય?કોર્ટએ ટિપ્પણી કરી હતી કે “તમે કોર્ટના આદેશને કારણે નહીં, પરંતુ તમારી પોતાની કામગીરીના કારણે જેલમાં છો.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ન્યાયાલય આ મામલે કોઈ ઢીલ આપવાના મૂડમાં નહોતું. વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?આ સમગ્ર મામલો 2012માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જોડાયેલો છે. આ ફિલ્મ રાજપાલ યાદવ માટે દિગ્દર્શક તરીકેનો પહેલો પ્રયાસ હતો. ફિલ્મના નિર્માણ માટે તેમણે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી અને તેમને ભારે નાણાકીય નુકસાન થયું.ફિલ્મ નિષ્ફળ જતાં લોનની ચુકવણી સમયસર થઈ શકી નહોતી. પરિણામે મુરલી પ્રોજેક્ટ્સે કાનૂની કાર્યવાહી શરૂ કરી. 2018માં કેસ કોર્ટ સુધી પહોંચ્યો અને વ્યાજ સાથે મૂળ 5 કરોડ રૂપિયાની રકમ વધીને આશરે 9 કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં રાજપાલ યાદવ અને તેમની પત્ની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઘણી વખત સમયમર્યાદા લંબાવ્યા છતાં ચુકવણી ન થતાં અભિનેતાને બે વખત જેલ પણ જવું પડ્યું હતું. સેલિબ્રિટીઓનો મળ્યો ટેકોમુશ્કેલ સમયમાં બોલિવૂડના અનેક દિગ્ગજોએ રાજપાલ યાદવને ટેકો આપ્યો છે. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, ગુરુ રંધાવા, ગુરમીત ચૌધરી, મીકા સિંહ સહિત અનેક લોકોએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ પણ રાજપાલને મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. તેમની પત્નીએ આ સહયોગ બદલ સૌનો આભાર માન્યો છે. આગળ શું?હાલ 2.5 કરોડ રૂપિયા જમા કરાવી રાજપાલ યાદવને જામીન મળ્યા છે, પરંતુ કેસ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. બાકી રહેલી રકમની ચુકવણી અને કાનૂની પ્રક્રિયા આગળ ચાલુ રહેશે. કોર્ટએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નાણાકીય જવાબદારીમાંથી કોઈ છૂટછાટ આપવામાં નહીં આવે.આમ, ચેક બાઉન્સ કેસમાં લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા રાજપાલ યાદવને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ આ કેસ તેમની કારકિર્દી અને પ્રતિષ્ઠા માટે મોટો પાઠ સાબિત થયો છે. હવે સૌની નજર આગળની કાનૂની કાર્યવાહી અને બાકી રહેલી ચુકવણી પર રહેશે. Previous Post Next Post