ઈ-ફ્રોડનો ખતરનાક ચહેરો: 55 ટકા કેસમાં 1થી 10 લાખનું નુકસાન, 278 દિવસ ચાલ્યો સૌથી લાંબો સ્કેમ

ઈ-ફ્રોડનો ખતરનાક ચહેરો: 55 ટકા કેસમાં 1થી 10 લાખનું નુકસાન, 278 દિવસ ચાલ્યો સૌથી લાંબો સ્કેમ

ડિજિટલ વ્યવહારોના વધતા ઉપયોગ સાથે દેશમાં ઈ-ફ્રોડના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર નોંધાયેલી ફરિયાદો અને ત્યારબાદ સમગ્ર ભારતમાં દાખલ થયેલી એફઆઈઆરના વિશ્લેષણ પરથી તૈયાર કરાયેલા એક અભ્યાસમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. આઈઆઈએમ અમદાવાદ (IIM-A)માં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ, ઈ-ફ્રોડના 55 ટકા કેસોમાં પીડિતોને રૂ.1 લાખથી રૂ.10 લાખ સુધીનું સીધું નાણાકીય નુકસાન થયું છે. કુલ મળીને 74 ટકા ઘટનાઓમાં નુકસાન રૂ.10 લાખની અંદર જ હોવાનું સામે આવ્યું છે.

આ અભ્યાસ “ડિજિટલ નાણાકીય ફ્રોડનું વર્ગીકરણ: ઇકોસિસ્ટમ રેઝિલિયન્સ માટે” નામના રિપોર્ટ રૂપે રજૂ થયો છે, જે IIM એવેન્ચર્સ, આપ્તિ ઇન્સ્ટિટ્યૂટ અને દીપસ્ટ્રેટના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટનો આધાર રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર આવેલી અંદાજે 300 ફરિયાદો અને નાણાકીય ફ્રોડ સંબંધિત 120 એફઆઈઆરના પ્રાથમિક ડેટા પર રાખવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, દેશમાં નોંધાયેલા ઈ-ફ્રોડના પ્રકારોમાં ઇમ્પર્સોનેશન સ્કેમ સૌથી આગળ છે. કુલ કેસોમાં 27.5 ટકા ફ્રોડ એવા હતા, જેમાં સ્કેમરો કોઈ અધિકારી, બેંક કર્મચારી, પોલીસ અથવા ઓળખીતો વ્યક્તિ બનીને લોકો પાસેથી પૈસા પડાવ્યા. આ ઉપરાંત, પાર્ટ-ટાઈમ નોકરીના સ્કેમ 18 ટકા અને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ 16 ટકા નોંધાયા છે. આ ત્રણ કેટેગરી મળીને કુલ એફઆઈઆરના 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જે દર્શાવે છે કે લોકોની લાલચ, અવિશ્વાસ અને તાત્કાલિક નફાની ઇચ્છાનો સ્કેમરો વ્યાપક રીતે લાભ લઈ રહ્યા છે.

અભ્યાસમાં પીડિતોના અનુભવો અને સ્કેમરો દ્વારા અપનાવવામાં આવતી રીતોનું પણ વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, હેલ્પલાઇન પર ફોન કરીને ફરિયાદ નોંધાવનારા મોટાભાગના પીડિતોની ઉંમર 21થી 40 વર્ષ વચ્ચે હતી. આ ઉંમરવર્ગ ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન રોકાણ અને સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય હોવાથી તે ફ્રોડ માટે વધુ સંવેદનશીલ બની રહ્યો છે.

રિપોર્ટમાં એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે હેલ્પલાઇન પર નોંધાયેલી તમામ ફરિયાદોમાંથી માત્ર થોડો જ હિસ્સો એફઆઈઆરમાં રૂપાંતરિત થાય છે. ઘણા કિસ્સાઓમાં લોકો શરમ, ભય અથવા લાંબી કાનૂની પ્રક્રિયાના ડરથી આગળ ફરિયાદ કરતા નથી. પરિણામે, ઘણા સ્કેમરો કાયદાની પકડથી દૂર રહી જાય છે.
 


ફ્રોડના સમયગાળાની દ્રષ્ટિએ પણ અભ્યાસે ચોંકાવનારા તારણો રજૂ કર્યા છે. એફઆઈઆર ડેટા મુજબ, અડધાથી વધુ સ્કેમ એક દિવસથી પણ ઓછા સમયમાં અમલમાં આવી જાય છે, જેમાં પીડિતને સમજાય એ પહેલાં જ રકમ ઉપાડી લેવામાં આવે છે. જોકે, સૌથી લાંબો નોંધાયેલો સ્કેમ લગભગ 278 દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં પીડિતને લાંબા સમય સુધી વિશ્વાસમાં રાખીને ધીમે-ધીમે મોટું નુકસાન કરાયું હતું.

ફરિયાદોની સંખ્યાની દ્રષ્ટિએ યુપીઆઈ આધારિત ફ્રોડ સૌથી વધુ નોંધાયા છે, કારણ કે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ જ્યારે એફઆઈઆરની વાત આવે છે, ત્યારે ઇમ્પર્સોનેશન સ્કેમ ટોચ પર જોવા મળે છે. આ તફાવત દર્શાવે છે કે ઘણા યુપીઆઈ ફ્રોડ નાના રકમના હોવાના કારણે કાનૂની પ્રક્રિયા સુધી પહોંચતા નથી.

IIM એવેન્ચર્સની પાર્ટનર સુપ્રિયા શર્માએ જણાવ્યું હતું કે, ફ્રોડ રોકવા માટે માત્ર લોકોમાં જાગૃતિ લાવવી પૂરતી નથી. ડેટા આધારિત ઇનસાઇટ્સ અને ટેકનોલોજીકલ ઇનોવેશન જરૂરી છે, જેનાથી સ્કેમની ઓળખ વહેલી તકે થઈ શકે અને લોકોને વધુ સુરક્ષિત નાણાકીય નિર્ણય લેવા સક્ષમ બનાવે.

આ રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે ડિજિટલ નાણાકીય ફ્રોડનું જોખમ સતત વધી રહ્યું છે. તેને રોકવા માટે ટેક્નોલોજી, નીતિ અને ગ્રાહક જાગૃતિ—આ ત્રણેય સ્તરે સંકલિત પ્રયાસો જરૂરી છે. નહીં તો ડિજિટલ સુવિધાઓની સાથે ફ્રોડનો ખતરો પણ વધુ ગંભીર બનતો જશે.