2028 વિધાનસભાની ચૂંટણી માટે કપરા ચઢાણ, રાજસ્થાનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપનું કંગાળ પ્રદર્શન Sep 15, 2026 જયપુર,રાજ્ય સહિત કેન્દ્રના દિગજજ મંત્રીઓના વિસ્તારોમાં જનતાએ અરીસો બતાવ્યોરાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને મોટો રાજકીય અરીસો બતાવ્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ગૃહ જિલ્લા ભરતપુરથી લઈને પ્રદેશ અધ્યક્ષ અને અન્ય દિગ્ગજોના ક્ષેત્રોમાં પાર્ટીને અપેક્ષિત સફળતા મળી નથી. આ ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ થાય છે કે જનતામાં સરકારની કામગીરી સામે અસંતોષ પ્રવર્તી રહ્યો છે, જેનું મહત્ત્વપૂર્ણ પરિણામ આ ચૂંટણીમાં જોવા મળ્યું છે. ચૂંટણી પહેલાં મોટા દાવા કરનાર નેતાઓ પોતાના જ ક્ષેત્રોમાં પાર્ટીને જીતાડી શક્યા નથી.મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ગૃહ જિલ્લા ભરતપુરમાં 65 વોર્ડમાંથી ભાજપ માત્ર 20 બેઠકો પર સીમિત રહી ગઈ, જ્યારે 36 વોર્ડમાં અપક્ષો વિજયી બન્યા અને કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પ્રભાવશાળી ક્ષેત્ર ઝાલાવાડમાં પણ કોંગ્રેસે 45માંથી 29 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી અને ભાજપને સત્તા ગુમાવવી પડી. આ ઉપરાંત, પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડના ગૃહ જિલ્લા પાલીમાં પણ ભાજપ બહુમતીથી દૂર રહી, જ્યાં 21 બેઠકો જીતી શકી જ્યારે કોંગ્રેસે 29 બેઠકો મેળવી.કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ અને અર્જુન રામ મેઘવાલના પ્રવાસ તથા સાંસદ ક્ષેત્રોમાં પણ ભાજપની હાલત સારી રહી નથી. જોધપુર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેને 44-44 બેઠકો મળી, જ્યારે 11 બેઠકો પર અપક્ષો વિજયી રહ્યા. બિકાનેરમાં 80 વોર્ડમાંથી કોંગ્રેસે 42 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી, જ્યારે ભાજપ 27 બેઠકો પર જ અટકી ગઈ. અલવરમાં પણ ભાજપ 28 બેઠકો મેળવી શકી જ્યારે કોંગ્રેસને 23 બેઠકો મળી.આ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે મોટા દાવાઓ છતાં જનતાએ નેતાઓની હવા કાઢી નાખી છે. આગામી સમયમાં 2028માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ પરિણામો સરકાર માટે મોટો પાઠ છે. જનતાનો આ મિજાજ સ્પષ્ટ કરે છે કે લોકો બદલાવ ઈચ્છે છે અને નેતાઓએ પોતાના ગઢમાં પણ જનતાનો વિશ્વાસ ગુમાવ્યો છે, જેને સુધારવા માટે સત્તાવાળાઓએ ગંભીરતાથી વિચારવું પડશે અને જનતાના હિતમાં કામ કરવું પડશે. Previous Post Next Post