સુરતમાં પરિવારનો કરુણ અંત: પતિ-પત્ની-પુત્રના રહસ્યમય મોત, ગૂંગળામણ કે આપઘાતની શંકા

સુરતમાં પરિવારનો કરુણ અંત: પતિ-પત્ની-પુત્રના રહસ્યમય મોત, ગૂંગળામણ કે આપઘાતની શંકા

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા હરિપુરા સૌય શેરીમાં આજે, 10 ફેબ્રુઆરીના રોજ એક હૃદયવિદારી અને રહસ્યમય ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના પતિ, પત્ની અને તેમના નાબાલિગ પુત્રના મોતથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ત્રણેયના મૃતદેહ ઘરના અલગ-અલગ રૂમમાંથી મળી આવતા અનેક શંકાઓ અને પ્રશ્નો ઉભા થયા છે. પ્રાથમિક તબક્કે ગૂંગળામણ અથવા સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

મળતી માહિતી અનુસાર મૃતકોમાં 36 વર્ષીય ફૈઝ અહેમદ, તેમની 32 વર્ષીય પત્ની મુબીના અહેમદ અને 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદનો સમાવેશ થાય છે. આ પરિવાર ચાર દિવસ પહેલાં જ સાઉદી અરેબિયાથી ઉમરાહ યાત્રા પૂર્ણ કરીને સુરત પરત ફર્યો હતો. સંબંધી અને પાડોશીઓના જણાવ્યા પ્રમાણે, યાત્રા બાદ પરિવાર ખુશ અને સંતોષભર્યું જીવન જીવતો હતો. આવી સ્થિતિમાં અચાનક બનેલી આ ઘટના સૌને આશ્ચર્યમાં મૂકી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, રવિવાર રાત્રે આશરે 12 વાગ્યે પરિવાર પોતાના જૂના ઘરેથી હરિપુરા સ્થિત સૈયદ પેલેસના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં સૂવા માટે આવ્યો હતો. રાત્રે કોઈ અસામાન્ય અવાજ કે ઘટના અંગે પાડોશીઓએ કંઈ નોંધ્યું નથી. સોમવારની સવારે પરિવારના સગા ઉસ્માન બાળકને સ્કૂલે લેવા માટે આવ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી દરવાજો ન ખૂલતાં તેમને શંકા ગઈ. બાદમાં દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા ત્રણેયના મૃતદેહ અલગ-અલગ રૂમમાં પડેલા હાલતમાં જોવા મળ્યા હતા. તાત્કાલિક લાલગેટ પોલીસને જાણ કરવામાં આવી.
 


ઘટનાની જાણ થતાં જ DCP રાઘવ જૈન સહિત પોલીસનો કાફલો અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘરની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ક્યાંય કોઈ સંઘર્ષના નિશાન, ઝેરી પદાર્થ, ગેસ લીકેજ અથવા અન્ય શંકાસ્પદ બાબતો મળી આવે છે કે કેમ તે તમામ દિશાઓથી તપાસ ચાલી રહી છે. હાલ ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળ્યાનું જાણવા મળ્યું નથી, જેના કારણે કેસ વધુ જટિલ બની ગયો છે.

મૃતકના સંબંધી ફારુક સૈયદે જણાવ્યું હતું કે ફૈઝ, મુબીના અને તેમનો પુત્ર ‘નોનુ’ તરીકે ઓળખાતો હતો અને પરિવાર ખૂબ જ હળીમળીને રહેતો હતો. દાંપત્ય જીવનમાં ક્યારેય કોઈ ઝઘડો કે વિવાદ થયો હોવાનું તેમણે નકાર્યું હતું. તેમણે કહ્યું કે ચાર દિવસ પહેલાં જ પરિવાર ઉમરાહ કરીને ખૂબ જ ખુશી સાથે પરત ફર્યો હતો. રાત્રે શાંતિથી સૂઈ ગયા બાદ સવારે આવી ઘટના બની હોવું પરિવાર માટે અવિશ્વસનીય અને આઘાતજનક છે.

ફૈઝ અહેમદ તેમના ભાઈઓ સાથે પાંડેસરા વિસ્તારમાં કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સંબંધીના જણાવ્યા પ્રમાણે, પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત હતી અને વ્યવસાયમાં પણ કોઈ મોટો વિવાદ કે નુકસાન સામે આવ્યું નથી. ત્રણેય ભાઈઓ વચ્ચે સારો સંબંધ હતો અને પરિવારની અંદર ક્યારેય ગંભીર ઝઘડા થયા નથી. આ તમામ બાબતોને જોતા પોલીસ પણ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.

પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગૂંગળામણ, ઝેર કે અન્ય કોઈ કારણની પુષ્ટિ થયા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ પણ દિશાને નકારી કાઢવામાં આવી નથી.

આ ઘટનાથી હરિપુરા અને લાલગેટ વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે. હંમેશા શાંતિથી અને સંસ્કારપૂર્વક જીવન જીવતો પરિવાર અચાનક આ રીતે દુનિયાથી વિદાય લઈ જશે તેવી કોઈને કલ્પના પણ નહોતી. હવે સમગ્ર શહેરની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસના પરિણામો પર ટકી છે, જે આ રહસ્ય પરથી પડદો ઉઠાવશે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો