કોહલી અને રોહિતને ટીમ ઈન્ડિયામાં રહેવા BCCIની સ્પષ્ટ શરત Nov 12, 2025 ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં માત્ર વન-ડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. બંનેએ T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાં બંનેએ વાપસી કરી હતી, જેમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી હતી, જ્યારે કોહલીનો પ્રદર્શન સામાન્ય રહ્યો હતો.હવે BCCIએ બંને ખેલાડીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે જો તેઓ ભારતીય ટીમમાં આગળ પણ રમતા રહેવા ઈચ્છે છે, તો ઘરેલુ ક્રિકેટમાં નિયમિતપણે ભાગ લેવું ફરજિયાત રહેશે. બોર્ડના સૂત્રો મુજબ, આ નિર્ણય ખેલાડીઓની ફિટનેસ અને મેચ પ્રેક્ટિસ જાળવવા માટે લેવામાં આવ્યો છે.BCCIએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર રાષ્ટ્રીય ટીમના ભાગરૂપે રમવું પૂરતું નથી, પરંતુ ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે ખેલાડીઓને વિજય હજારે ટ્રોફી જેવી ઘરેલુ ટુર્નામેન્ટમાં રમવું પડશે. અગાઉ સિનિયર ખેલાડીઓને આ પ્રકારની સ્પર્ધાઓમાંથી છૂટ આપવામાં આવતી હતી, પરંતુ હવે એ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, રોહિત શર્માએ પહેલેથી જ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પોતાની ઉપલબ્ધતા જણાવી દીધી છે, જ્યારે વિરાટ કોહલીની ભાગીદારી અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી.બોર્ડના અધિકારીએ જણાવ્યું કે, “જો કોહલી અને રોહિત ભવિષ્યમાં ભારત માટે રમવા માગે છે, તો તેમને ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. હવે કોઈને પણ છૂટ આપવામાં નહીં આવે.”આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે BCCI હવે દરેક ખેલાડી માટે એકસરખા નિયમો લાગુ કરશે, પછી તે યુવાન ખેલાડી હોય કે અનુભવી સ્ટાર. Previous Post Next Post