અમદાવાદનો એસ.જી. હાઈવે બનશે વૈશ્વિક ઓળખ ધરાવતો ‘આઈકોનિક રોડ’, કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાને રાખીને મોટું નવનીકરણ Feb 06, 2026 અમદાવાદ શહેરના ઝડપી વિકાસ અને વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) એક મહત્વપૂર્ણ અને દીર્ઘદૃષ્ટિપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના સૌથી વ્યસ્ત અને મહત્વના માર્ગોમાંથી એક એવા એસ.જી. (સરખેજ–ગાંધીનગર) હાઈવેને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવામાં આવશે. આશરે 30 કિલોમીટર લાંબા આ માર્ગના નવિનીકરણનો હેતુ માત્ર ટ્રાફિક સુવિધા પૂરતો સીમિત નથી, પરંતુ અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આધુનિક, સુવ્યવસ્થિત અને આકર્ષક શહેર તરીકે રજૂ કરવાનો પણ છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક કક્ષાનું બનાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદે છેલ્લા કેટલાક વર્ષોમાં હરણફાળ પ્રગતિ કરી છે અને આજે શહેર વૈશ્વિક નકશા પર પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.અમદાવાદની ઓળખ સમાન ગણાતો એસ.જી. હાઈવે સનાથલ સર્કલથી શરૂ થઈ ગાંધીનગરના જી-7 સર્કલ સુધી વિસ્તરેલો છે. આ સમગ્ર માર્ગને આધુનિક ડિઝાઇન, ઉત્તમ લેન્ડસ્કેપિંગ અને સુવ્યવસ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકસાવવામાં આવશે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી જે રીતે ‘આઈકોનિક રોડ’ તૈયાર કરવામાં આવ્યો છે, એ જ માળખા અને વિચારસરણી હેઠળ હવે એસ.જી. હાઈવેને પણ નવી ઓળખ આપવામાં આવશે.આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા તેમજ ગાંધીનગર મહાનગર પાલિકા સંકલિત રીતે કામ કરશે. ખાસ વાત એ છે કે, આ સમગ્ર પ્રોજેક્ટની કન્સલટન્સી અને આયોજનનો ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા વહન કરવામાં આવશે. પરિણામે સરકાર અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પર વધારાનો નાણાકીય બોજ નહીં પડે અને કામ ઝડપથી આગળ વધી શકશે.એસ.જી. હાઈવેના આ નવનીકરણમાં માત્ર રસ્તાની પહોળાઈ કે સપાટી સુધારવાનો જ સમાવેશ નથી, પરંતુ માર્ગની બંને બાજુ વિશાળ અને આકર્ષક લેન્ડસ્કેપિંગ, હરિયાળી, પેદેસ્ટ્રિયન ફ્રેન્ડલી વોકવે, સાયકલ ટ્રેક, આધુનિક લાઈટિંગ સિસ્ટમ અને સુવ્યવસ્થિત સાઇનેજ જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. ઈસ્કોનથી પકવાન સુધી જે રીતે રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે, તે જ મોડલને વધુ વિસ્તૃત અને સુધારેલા સ્વરૂપમાં સમગ્ર 30 કિલોમીટર વિસ્તારમાં અમલમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત, માર્ગ પર ગઝીબો, આરામ માટેના વિસ્તારો, શહેરી સૌંદર્ય વધારતા આર્ટ ઇન્સ્ટોલેશન્સ અને પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન તત્વોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ તમામ પ્રયાસોનો હેતુ એસ.જી. હાઈવેને માત્ર વાહનવ્યવહારનો માર્ગ નહીં, પરંતુ શહેરની ઓળખ અને ગૌરવનું પ્રતિક બનાવવાનો છે.આઈકોનિક એસ.જી. હાઈવે તૈયાર થયા બાદ અમદાવાદમાં આવનારા દેશ-વિદેશના મહેમાનો પર સકારાત્મક છાપ પડશે. ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને પ્રવાસીઓ માટે આ માર્ગ શહેરના આધુનિક ચહેરાનું પ્રતિનિધિત્વ કરશે.કુલ મળીને, એસ.જી. હાઈવેને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાનો નિર્ણય અમદાવાદના ભવિષ્યની દિશા નિર્ધારિત કરતો એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રોજેક્ટ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ આપશે, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવશે અને અમદાવાદને સાચા અર્થમાં વૈશ્વિક શહેર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. Previous Post Next Post