મુખ્યમંત્રી સાંજે જુનાગઢમાં : નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટ સહિત 221 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત Jan 28, 2026 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાંજે જુનાગઢ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. જુનાગઢ મહાનગરપાલિકા તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન જુનાગઢ શહેર તથા જિલ્લામાં અમલમાં મૂકાયેલા અનેક મહત્વના વિકાસ પ્રકલ્પોની મુખ્યમંત્રી સમીક્ષા કરશે.ગુજરાત સરકાર દ્વારા વિકાસ યાત્રાને અવિરત આગળ વધારતા નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના સિદ્ધાંત મુજબ જુનાગઢ શહેર અને જિલ્લામાં વ્યાપક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વિકાસ પ્રકલ્પો દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આધુનિક અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ છે.આજ રોજ સાંજે 4:00 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મોતીબાગ સ્થિત કૃષિ ઓડિટોરિયમ હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જુનાગઢ જિલ્લા અને શહેરના કુલ રૂ. 221 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં રૂ. 76 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા રૂ. 145 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ થવાનું છે.આ વિકાસ પ્રકલ્પોમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, પંચાયત, ગ્રામિણ ગૃહનિર્માણ અને ગ્રામિણ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ પ્રાથમિક શિક્ષણ વિભાગના વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે.જુનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું ડેવલપમેન્ટ આ વિકાસ પેકેજનો મહત્વનો ભાગ છે. સરોવર ડેવલપમેન્ટ થકી શહેરને એક નવું રમણીય અને આકર્ષક સ્થળ મળશે, જે નાગરિકો માટે આરામ, મનોરંજન અને પર્યટન દૃષ્ટિએ ઉપયોગી બનશે. આ ઉપરાંત શહેરમાં હોકર્સ ઝોનની રચના થવાથી સ્ટ્રીટ વેન્ડર્સને કાયદેસર ઓળખ અને વ્યવસાયિક સુરક્ષા મળશે. વિકાસ કાર્યોમાં સી.એચ.સી. બિલ્ડીંગ, શાળાના નવા ક્લાસરૂમ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી સપ્લાય માટે ટ્રાન્સમિશન લાઈન, ઉંચી પાણીની ટાંકી, સંપ, પમ્પિંગ સ્ટેશન અને કમ્પાઉન્ડ વોલના કામોનો સમાવેશ થાય છે. આ કાર્યો દ્વારા શુદ્ધ પીવાના પાણીની સુવિધા તથા પાણીના સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.કેશોદમાં રૂ. 10 કરોડના ખર્ચે જિલ્લાકક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન ડેવલપમેન્ટ પણ આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે. આ સાથે ઇમરજન્સી રેસ્ક્યુ વાહનોની ખરીદીથી આગ અને આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી બચાવ કામગીરી શક્ય બનશે. સોલાર રૂફ ટોપ પ્રોજેક્ટ થકી જુનાગઢ મહાનગરપાલિકાને વીજળી બિલમાં આર્થિક લાભ થશે.શહેર અને જિલ્લામાં રેન બસેરા, કોમ્યુનિટી હોલ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટર યોજના, માઈનોર બ્રિજ, રીસર્ફેસિંગ, સી.સી. રોડ, રીચાર્જ બોર તથા સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો હાથ ધરવામાં આવ્યા છે. વોર્ડ નં. 1 થી 15માં સી.સી. રોડ અને પેવર બ્લોકના કામોથી શહેરીજનોને આધુનિક રોડ-રસ્તાની સુવિધાઓ મળશે.મુખ્યમંત્રીનું બપોરે 4:00 કલાકે પી.ટી.સી. હેલીપેડ ખાતે આગમન થશે. ત્યારબાદ તેઓ નરસિંહ મહેતા સરોવર ખાતે આવેલા શહીદ સ્મારક પર તકતી અનાવરણ કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. આ સાથે મહાનગરપાલિકાના ફાયર સેફટી વાહનોને લીલીઝંડી આપી લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરનું નિરીક્ષણ પણ કરશે.આ બાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી જુનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ જનસુખાકારી અને વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સાસણ જવા માટે રવાના થશે. Previous Post Next Post