જાન્યુઆરીમાં 112 કરોડની સાયબર ઉઠાંતરી, ગુજરાતીઓ દરરોજ 3.62 કરોડ ગુમાવે છે Feb 12, 2026 ગુજરાતમાં સાયબર ગુનાઓના વધતા બનાવો ચિંતાજનક સપાટીએ પહોંચી ગયા છે. તાજેતરના આંકડા મુજબ ફક્ત જાન્યુઆરી માસ દરમિયાન રાજ્યમાં રૂ. 1,12,30,52,481 જેટલી જંગી રકમ સાયબર ગઠિયાઓ દ્વારા ઉઠાવી લેવામાં આવી છે. આ આંકડો માત્ર પોલીસ અથવા સત્તાવાર એજન્સી પાસે નોંધાયેલા કેસોના આધારે છે. હજી પણ અનેક બનાવો એવા છે, જે ભોગ બનનારાઓ દ્વારા રિપોર્ટ કરવામાં આવતા નથી, એટલે વાસ્તવિક નુકસાનનો આંકડો ઘણો વધુ હોઈ શકે છે.અભ્યાસ મુજબ ગુજરાતીઓ દરરોજ સરેરાશ રૂ. 3.62 કરોડ સાયબર ફ્રોડમાં ગુમાવે છે. ડિજિટલ એરેસ્ટ, ઓટિપિ ફ્રોડ, લિંક ક્લિક કરાવી ખાતામાંથી નાણા ઉપાડી લેવાના કૌભાંડો, રોકાણના ખોટા વાયદા અને ફેક કોલ્સ જેવી અનેક રીતોથી ઠગો લોકોના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લે છે. શિક્ષિત અને જાગૃત નાગરિકો પણ આ જાળમાં સપડાઈ રહ્યા છે, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા કૌભાંડને ધોળે દિવસે લૂંટ અને ‘ધાડ’ સમાન ગણાવ્યા હતા. સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને આ પ્રકારના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા અને સંકલિત મકેનિઝમ ઉભું કરવા તાકીદ કરી હતી. દેશભરમાં હજારો કરોડની છેતરપીંડી થતી હોવાના સંદર્ભમાં અદાલતે કેન્દ્રિય એજન્સીઓ દ્વારા તપાસ મજબૂત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. અગાઉ પણ આ પ્રકારના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય નેટવર્કવાળા ગુનાઓની તપાસ સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સી દ્વારા થવી જોઈએ તેવો મત વ્યક્ત થયો હતો. છતાં હજુ સુધી પૂરતું સુસંગત ફ્રેમવર્ક તૈયાર થયું નથી.ડિજિટલ એરેસ્ટના કેસોમાં ઠગો પોતાને પોલીસ, સીબીઆઈ અથવા અન્ય તપાસ એજન્સીના અધિકારી તરીકે રજૂ કરે છે. તેઓ વીડિયો કોલ દ્વારા વ્યક્તિને “કેસમાં ફસાયા છો” અથવા “એકાઉન્ટમાં ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયું છે” જેવી વાતો કહી ડરાવે છે. ત્યારબાદ નાણાં ટ્રાન્સફર કરવા દબાણ કરે છે. વાસ્તવમાં કાયદામાં ‘ડિજિટલ એરેસ્ટ’ જેવી કોઈ જોગવાઈ નથી અને કોઈ સત્તાવાર એજન્સી આ રીતે કાર્યવાહી કરતી નથી. તેમ છતાં ભય અને ગભરાટના કારણે લોકો મોટી રકમ ગુમાવી બેસે છે. જાણકારોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ સાયબર છેતરપીંડીનો ભોગ બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઈન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ. ઘણી વખત ઝડપી રિપોર્ટિંગથી ટ્રાન્ઝેક્શન અટકાવી શકાય છે અથવા અમુક રકમ પાછી મેળવવી શક્ય બને છે. બેંક અધિકારીઓ પણ શંકાસ્પદ વ્યવહારો અટકાવવા સજાગ રહે છે અને સમયસર માહિતી મળે તો ખાતા ફ્રિઝ કરવાની કાર્યવાહી કરે છે.પોલીસ વિભાગ દ્વારા જાગૃતિ અભિયાન, સેમિનાર, શાળાઓ-કોલેજોમાં માર્ગદર્શન અને સોશિયલ મીડિયા દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. છતાંય સાયબર ગુનાઓમાં ઘટાડો નોંધાતો નથી. કેટલાક ભોગ બનનારાઓ સામાજિક શરમ કે ગેરસમજના કારણે ફરિયાદ નોંધાવતા નથી, જેના કારણે વાસ્તવિક નુકસાનના આંકડા સામે આવતા નથી.તાજેતરમાં એક મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા બાદ આત્મહત્યા સુધી વિચારવા પહોંચી ગઈ હતી, પરંતુ પોલીસની ‘શી ટીમ’એ સમયસર હસ્તક્ષેપ કરીને તેને બચાવી લીધી. આ ઘટના દર્શાવે છે કે સાયબર ગુનાઓ માત્ર આર્થિક નુકસાન જ નથી કરતા, પરંતુ માનસિક આઘાત પણ પહોંચાડે છે.વિશેષજ્ઞો સૂચવે છે કે અજાણ્યા કોલ, મેસેજ અથવા લિંક પર વિશ્વાસ ન કરવો, ઓટિપિ કે બેંકની માહિતી કોઈને ન આપવી, અને શંકાસ્પદ પરિસ્થિતિમાં તાત્કાલિક સત્તાવાર હેલ્પલાઈનનો સંપર્ક કરવો જોઈએ. ડિજિટલ યુગમાં સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે.એકંદરે, જાન્યુઆરી માસમાં નોંધાયેલા 112 કરોડથી વધુના સાયબર ફ્રોડ અને દરરોજના 3.62 કરોડના સરેરાશ નુકસાન રાજ્ય માટે ગંભીર ચેતવણી સમાન છે. સાયબર સુરક્ષા માટે સરકાર, બેંકિંગ તંત્ર અને નાગરિકો – ત્રણેયને સંયુક્ત રીતે વધુ સજાગ અને સતર્ક બનવાની જરૂર છે. Previous Post Next Post