દિલ્હીમાં રાજકીય ભૂકંપ:TMCના 20 બળવાખોર સાંસદોનો NCPIમાં વિલય, NDAને સમર્થન જાહેર Jun 15, 2026 બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકરને મળી અલગ બ્લોક તરીકે માન્યતા આપવા કરી માંગદેશની રાજધાની દિલ્હીમાં રવિવારે સર્જાયેલા એક મોટા રાજકીય નાટ્યક્રમમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના આશરે 20 જેટલા વરિષ્ઠ સાંસદોએ બળવો પોકારીને ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને એક ચોંકાવનારી જાહેરાત કરી છે. આ બળવાખોર જૂથે 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI) માં પોતાના વિલયની સત્તાવાર જાહેરાત કરી છે.બળવાખોર સાંસદોના આ જૂથમાં સુદીપ બંદ્યોપાધ્યાય, કાકોલી ઘોષ દસ્તીદાર અને શતાબ્દી રોય જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે. સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓએ સ્પીકરને પત્ર આપીને ગૃહમાં અલગ બેસવાની મંજૂરી માંગી છે. તેમણે જાહેર કર્યું કે, આ જૂથ હવે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના NDA સાથે મળીને દેશના વિકાસ માટે કામ કરશે. આ સાંસદોની સંખ્યા પક્ષના કુલ સાંસદોના બે-તૃતીયાંશથી વધુ હોવાથી પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહીથી તેઓ બચવાનો દાવો કરી રહ્યા છે.ટીએમસીના કાનૂની જંગના એંધાણબીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વએ આ બળવાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીએ લોકસભા સ્પીકરને પત્ર લખીને આ બળવાખોર જૂથને કોઈ પણ પ્રકારની માન્યતા ન આપવા આગ્રહ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ટીએમસીના સત્તાવાર વ્હીપ અને અધિકૃત નેતા દ્વારા જ પ્રતિનિધિત્વ માન્ય ગણાશે. આ સાથે જ, પાર્ટીએ આ મામલે કાયદાકીય કાર્યવાહીના સંકેત પણ આપ્યા છે. વરિષ્ઠ નેતા સૌગત રોયે આને ભાજપ દ્વારા 'ઓપરેશન લોટસ' ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે. હવે આ રાજકીય ખેંચતાણ કયા વળાંક પર પહોંચશે તે જોવું રસપ્રદ રહેશે. Previous Post Next Post