યાત્રાધામ અંબાજીમાં પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી, મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

યાત્રાધામ અંબાજીમાં પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી, મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

બનાસકાંઠા જિલ્લાના શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં આજે પોષ સુદ પૂનમના પાવન પર્વ નિમિત્તે જગતજનની મા અંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોની ભીડથી છલકાઈ ઉઠ્યું હતું. ‘બોલ મારી અંબે જય જય અંબે’ના જયઘોષથી સમગ્ર અંબાજી ધામ ગુંજી ઉઠ્યું હતું અને શિયાળાની ઠંડી વચ્ચે પણ માઈભક્તોની શ્રદ્ધા અને ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો.

આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરને ફૂલોની આકર્ષક સજાવટ અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળા આરતી દરમિયાન હજારો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. પોષી પૂનમને મા અંબાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે અને આ દિવસે અંબાજી ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આજે પણ પરંપરા મુજબ માતાજી હાથીની અંબાડી પર સવાર થઈ નગરચર્યાએ નીકળવાના હોવાથી રાજ્યભરના વિવિધ વિસ્તારોમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા.

પ્રાગટ્યોત્સવના ભાગરૂપે હાથી, ઘોડા અને પાલખી સાથે આશરે 3 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા દરમિયાન માતાજી નગરજનોને દર્શન આપે છે એવી માન્યતા હોવાથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. ચાચર ચોક ખાતે વિશ્વ કલ્યાણ અર્થે 101 યજમાન દ્વારા વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે વિવિધ શાકભાજી અને અન્નથી અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે તથા માઈભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદની વિશાળ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી દર્શનાર્થીઓને કોઈ અસુવિધા ન થાય. પ્રસાદ વિતરણ માટે વધારાના કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા છે અને આરોગ્ય, પાણી તથા સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ પણ મજબૂત બનાવવામાં આવી છે.

આ પવિત્ર અવસરે એક ભક્ત દ્વારા મા અંબાને રૂ. 43.51 લાખના ખર્ચે તૈયાર કરાયેલો ભવ્ય રત્નજડિત સુવર્ણ મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે. વૈદિક વિધિ અને શાસ્ત્રોક્ત પરંપરા મુજબ તૈયાર કરાયેલા આ મુકુટમાં સૂર્યના 20 કિરણો, અષ્ટમનો ચંદ્ર, મોરપીંછ, સહસ્ત્ર કમળ તથા 16 નિત્યાની ધાર્મિક સંજ્ઞાઓ કંડારવામાં આવી છે. આ વિશેષ મુકુટ તૈયાર કરવામાં આશરે 3 મહિના જેટલો સમય લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અંબાજીનું પ્રાગટ્ય અનેક પુરાણકથાઓ અને લોકવાયકાઓ સાથે જોડાયેલું છે. માન્યતા મુજબ જ્યારે ભગવાન શિવ સતીના પાર્થિવ દેહને લઈને તાંડવ કરતા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના દેહના ભાગો કર્યા હતા. લોકવાયકા અનુસાર, અંબાજી ખાતે માતા સતીના હૃદયનો ભાગ પડ્યો હોવાથી અંબાજીને આદ્યશક્તિ અને તમામ શક્તિપીઠોના કેન્દ્ર તરીકે પૂજવામાં આવે છે.

અંબાજીની બીજી વિશેષતા એ છે કે અહીં મૂર્તિની પૂજા નહીં પરંતુ માતાજીના ‘વિશ્વયંત્ર’ની પૂજા થાય છે. માનવામાં આવે છે કે આ યંત્ર અત્યંત તેજસ્વી અને શક્તિશાળી હોવાથી તેની પૂજા સમયે પુજારીએ પણ આંખે પાટા બાંધવા પડે છે. અંબાજી યાત્રા ગબ્બર પર્વતના દર્શન વિના અધૂરી માનવામાં આવે છે, કારણ કે ત્યાં માતાજીના પદચિહ્નો અને અખંડ જ્યોત સાથે જોડાયેલી શ્રદ્ધા છે.

કુલ મળીને આજે અંબાજીમાં મા અંબાના પ્રાગટ્યોત્સવે શક્તિ, ભક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ સર્જાયો છે. પોષી પૂનમ માત્ર એક તિથિ નહીં, પરંતુ લાખો ભક્તો માટે માતાજીના ધરતી પર અવતરણનો મહાન ઉત્સવ બની ગયો છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો