ગુજરાત રૂફટોપ સોલારમાં ઇતિહાસ રચ્યો, 5 લાખ ઇન્સ્ટોલેશન સાથે દેશભરમાં નંબર-વન બન્યું

ગુજરાત રૂફટોપ સોલારમાં ઇતિહાસ રચ્યો, 5 લાખ ઇન્સ્ટોલેશન સાથે દેશભરમાં નંબર-વન બન્યું

નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં ગુજરાતે ફરી એકવાર દેશભરમાં પોતાનું નેતૃત્વ સાબિત કર્યું છે. રાજ્યએ 5 લાખથી વધુ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત કરીને કુલ 1879 મેગાવોટની ક્ષમતા હાંસલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી “પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના” હેઠળ પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ ગુજરાતને દેશના અગ્રણી રૂફટોપ સોલાર રાજ્ય તરીકે સ્થાપિત કરે છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ આવનારી વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર, રાજકોટ દરમિયાન ખાસ આકર્ષણ બનશે.

ગુજરાત લાંબા સમયથી નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં દિશા દર્શક બની રહ્યું છે. રાજ્યએ માત્ર રહેણાંક ક્ષેત્રમાં નહીં, પરંતુ કુલ રૂફટોપ સોલાર સ્થાપનામાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. અત્યાર સુધી વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત ગુજરાતમાં 11 લાખથી વધુ રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશન થઈ ચૂક્યા છે. આ આંકડો દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો આગળ છે અને ગુજરાતને રિન્યુએબલ એનર્જી હબ તરીકે મજબૂત બનાવે છે.

આ સફળતાના કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિબદ્ધતા છે. નાગરિક-પ્રથમ અભિગમ સાથે અમલમાં મૂકાયેલી નીતિઓએ સામાન્ય લોકો માટે રૂફટોપ સોલાર અપનાવવું સરળ, સસ્તું અને લાભદાયક બનાવ્યું છે. રાજ્ય સરકારે માર્ચ 2027 સુધીમાં 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાંથી ગુજરાત પહેલેથી જ લગભગ 50 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરી ચૂક્યું છે.

રૂફટોપ સોલાર યોજનાનો સૌથી મોટો લાભ સામાન્ય નાગરિકોને થયો છે. અત્યાર સુધીમાં રાજ્યના રહેણાંક ગ્રાહકોએ કુલ ₹3,778 કરોડની સબસિડીનો સીધો લાભ લીધો છે. આ સબસિડીના કારણે સોલાર સિસ્ટમ્સની શરૂઆતની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને મધ્યમ વર્ગ તેમજ નાની આવક ધરાવતા પરિવારો પણ સૌર ઊર્જા તરફ વળ્યા છે. પરિણામે ઘરેલુ વીજ ખર્ચમાં ઘટાડો થયો છે અને ઊર્જા આત્મનિર્ભરતા વધતી ગઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે અનેક નાગરિક-મૈત્રીપૂર્ણ પગલાં લીધા છે. 6 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ માટે નિયમનકારી શુલ્કમાં ₹2950ની સહાય, નેટવર્ક મજબૂતીકરણ શુલ્કમાંથી છૂટ, તેમજ નેટ મીટરિંગ કરારની ફરજિયાત શરતોમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત, રહેણાંક સોલાર સ્થાપન માટે કોઈ લોડ મર્યાદા ન રાખવામાં આવી અને ગ્રાહકોને વધારાની વીજળી ગ્રીડમાં વેચવાની છૂટ આપવામાં આવી છે, જેમાં કોઈ બેંકિંગ ચાર્જ લેવામાં આવતો નથી.

રાજ્ય સરકારે આકર્ષક સબસિડી માળખું પણ અમલમાં મૂક્યું છે. 2 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ માટે પ્રતિ કિલોવોટ ₹30,000, 2થી 3 કિલોવોટ સુધી માટે પ્રતિ કિલોવોટ ₹18,000 અને 3 કિલોવોટથી વધુ ક્ષમતાવાળી સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. આ પ્રોત્સાહક માળખાએ રૂફટોપ સોલારને ગુજરાતના ઘરોમાં લોકપ્રિય બનાવ્યું છે.

આ સિદ્ધિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “આ યુગ સૌર, પવન અને હાઈબ્રિડ નવીનીકરણીય ઊર્જા તેમજ ગ્રીન હાઈડ્રોજન આધારિત ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે આ પરિવર્તનની લાંબા સમયથી તૈયારી કરી છે અને આજે રાજ્ય દેશની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.”

આગામી 10 જાન્યુઆરીથી રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) દરમિયાન રાજ્યભરના એવા પરિવારો અને સમુદાયોની પ્રેરણાદાયી સાફલ્યગાથાઓ રજૂ કરવામાં આવશે, જેમણે રૂફટોપ સોલાર દ્વારા વીજ ખર્ચ ઘટાડ્યો છે અને ગ્રીડમાં વધારાની વીજળીનું યોગદાન આપ્યું છે. આ ગાથાઓ દર્શાવશે કે કેવી રીતે “પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના” સામાન્ય નાગરિકોના જીવનમાં સ્વચ્છ, સસ્તી અને ટકાઉ ઊર્જાનો નવો અધ્યાય શરૂ કરી રહી છે.

You may also like

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ:  ઇટલીના પીએમ મેલોની

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ: ઇટલીના પીએમ મેલોની

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ