રાજકોટમાં ગરમીનો પ્રકોપ: રાજ્યભરમાં તાપમાન ઉછાળો, કચ્છમાં હીટવેવની ચેતવણી Apr 13, 2026 રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રભાવ સતત વધી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ઉષ્ણતા સતત વધતી જઈ રહી છે અને હવે પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જોવા મળે છે. હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લામાં હીટવેવની ચેતવણી જારી કરી છે, જેના કારણે તંત્ર અને નાગરિકોમાં ચિંતા વધી છે.રાજકોટ શહેરમાં આજે મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું છે, જેના કારણે તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. શહેરમાં સવારે થી જ ગરમ પવન અને તીવ્ર ધુપનો અનુભવ થયો હતો. બપોરના સમયે રસ્તાઓ પર સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી હતી. લોકો ખૂબ જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 40.7 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી, ભુજમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી અને કંડલામાં પણ 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત ડીસામાં 39.8 ડિગ્રી, ડાંગમાં 39 ડિગ્રી, નલિયામાં 39.4 ડિગ્રી અને પોરબંદરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ આંકડાઓ દર્શાવે છે કે સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રભાવ વ્યાપક બની ગયો છે.એપ્રિલના પ્રારંભમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થતો હતો, જેમાં સવારે અને સાંજે ઠંડક અને બપોરે ગરમી જોવા મળતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને સતત વધતી ગરમીના કારણે લોકો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિતના અનેક શહેરોમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં પશ્ચિમી વિક્ષોભ મધ્ય સ્તરના ઉપોષ્ણકટિબંધીય પશ્ચિમી પવનોમાં 5.8 કિમી ઊંચાઈએ 76° પૂર્વ રેખાંશની આસપાસ અને 32° ઉત્તર અક્ષાંશની ઉત્તરે ટ્રોફ સ્વરૂપે સક્રિય છે. જોકે તેની સીધી અસર ગુજરાત પર નહિવત છે, પરંતુ તેના કારણે ઉષ્ણતામાનમાં વધારો થતો રહેશે.આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળવાની સંભાવના ઓછી છે, એટલે ગરમીનો આ રાઉન્ડ વધુ દિવસો સુધી ચાલુ રહી શકે છે.ખાસ કરીને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તીવ્ર ગરમી અને સૂકા પવનના કારણે હીટસ્ટ્રોક અને ડિહાઈડ્રેશનનો ખતરો વધી શકે છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં 12 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન ભેજયુક્ત હવામાન સાથે ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે. આ કારણે લોકોને ચીકાશ અને અસ્વસ્થતા વધુ અનુભવાઈ શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને વધુ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.અમદાવાદ શહેરમાં પણ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સતત વધતી ગરમીને કારણે શહેરી જીવન પર પણ અસર પડી રહી છે. બજારોમાં બપોરના સમયે ભીડ ઓછી જોવા મળી રહી છે અને ઠંડા પીણાંની માંગ વધી રહી છે.હવામાન વિભાગે લોકોને પૂરતું પાણી પીવાનું, સૂર્યપ્રકાશથી બચવાનું અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવાનું સૂચન કર્યું છે. આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની તાત્કાલિક કોઈ સંભાવના નથી, તેથી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. Previous Post Next Post