19 લાખની ક્રેટા, આઈફોન ખરીદનાર ઢોંગી બાબા જેલહવાલે, ઓસ્ટ્રેલિયા પુત્રને દુઃખ દૂર થશે કહી રૂ.24 લાખ પડાવ્યા Feb 06, 2026 ઓસ્ટ્રેલિયામાં રહેલા પુત્રની ચિંતા બની ઢોંગી બાબાની કમાણીરાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા ઢોંગી બાબા સતીષ ધામીએ ‘દુઃખ-દર્દ દૂર કરી દેવાની’ આડમાં અમદાવાદના વેપારી પરિવાર સાથે મોટી છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતા પુત્રની વ્યક્તિગત મુશ્કેલીઓ અને પરિવારની ચિંતાનો લાભ લઈ બાબાએ અલગ-અલગ સમયે કુલ રૂ.24.23 લાખ પડાવી લીધા હતા. અંતે ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો છે. બાબાની ધમકી: ‘વધુ પૈસા નહીં આપો તો માતાજી કોપાયમાન થશે’ફરિયાદ મુજબ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા વેપારી જયંતિલાલ ભુરાજી પરમાર (ઉ.વ. 55)ના પુત્ર અંકિત વર્ષ 2019થી ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે. અંકિતની એક સગાઈ તૂટતા તે માનસિક રીતે પરેશાન રહેતો હતો. આ દરમિયાન તેના મિત્ર પાર્થ ચોવટીયાએ રાજકોટના ગુંદાવાડીમાં રહેતા ‘ચમત્કારી બાબા’ સતીષ ધામી વિશે વાત કરી, જે દુઃખ-દર્દ દૂર કરી દેવાનો દાવો કરતો હતો.ઓક્ટોબર 2022માં વિડીયો કોલ મારફતે અંકિત અને સતીષ ધામી વચ્ચે સંપર્ક થયો હતો. બાબાએ “તમારી તમામ સમસ્યાઓ હું દૂર કરી આપીશ” એવો વિશ્વાસ અપાવ્યો. ત્યારબાદ વોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા સતત સંપર્કમાં રહી બાબાએ અંકિત પાસેથી અને તેના પરિવાર પાસેથી અલગ-અલગ બહાનાં હેઠળ રકમ મંગાવવાનું શરૂ કર્યું.જ્યારે પરિવાર વધુ પૈસા આપવાની ના પાડતો, ત્યારે બાબા “માતાજી નારાજ થશે, ઘર પર આફત આવશે” જેવી ધમકીઓ આપતો હતો. છેતરપિંડીના પૈસાથી લક્ઝરી જીવન પોલીસ તપાસમાં ખુલ્યું છે કે સતીષ ધામીએ છેતરપિંડીથી મેળવેલી રકમમાંથી રૂ.19 લાખની હ્યુન્ડાઈ ક્રેટા કાર અને રૂ.1 લાખનો મોંઘો આઈફોન ખરીદ કર્યો હતો. ભક્તિનગર પોલીસે કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.12.40 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત આરોપીના બેન્ક ખાતામાં રહેલા રૂ.1.95 લાખ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહી અને આરોપીની ધરપકડરાજકોટ શહેર એસીપી ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે આરોપી સતીષ રામજી ધામી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેણે દુઃખ-દર્દ દૂર કરવાની આડમાં રૂ.24.23 લાખ મેળવ્યા હતા.રિમાન્ડ મળ્યા ન હોવાથી આરોપીને ન્યાયિક કસ્ટડીમાં જેલહવાલે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની બેન્ક ડિટેઈલ્સ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અને સંપર્કમાં આવેલા અન્ય લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અન્ય ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલપોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ ઢોંગી બાબા દ્વારા અન્ય લોકો પણ છેતરાયા હોઈ શકે છે. તેથી જો કોઈ વ્યક્તિએ સતીષ ધામી પાસે પૈસા આપી છે અથવા છેતરપિંડીનો ભોગ બન્યો હોય, તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. અંધશ્રદ્ધા સામે ચેતવણીઆ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધશ્રદ્ધા અને ચમત્કારના દાવાઓ પાછળ દોડવું કેટલું જોખમી બની શકે છે. પોલીસ અને તંત્ર દ્વારા લોકો સચેત રહેવા અને કોઈ પણ પ્રકારની ‘ચમત્કારી’ વાતોમાં ફસાયા વગર કાયદેસર માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે.રાજકોટમાં સામે આવેલો આ કેસ માત્ર એક પરિવારની છેતરપિંડી નહીં, પરંતુ સમાજ માટે પણ ચેતવણીરૂપ છે કે ઢોંગી બાબાઓના મોહમાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવવાનો ખતરો આજે પણ યથાવત છે. Previous Post Next Post