ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહીં, ગરમી અને બફારાથી લોકો હેરાન Jun 26, 2026 અમદાવાદ,છૂટાછવાયા સ્થળોએ માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના: વરસાદની ગતિ મંદ પડતા અસહ્ય ઉકળાટ યથાવતચોમાસુ સક્રિય હોવા છતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ચોમાસાની ઋતુ હોવા છતાં વરસાદ ખેંચાતા અને ભેજવાળા વાતાવરણને કારણે લોકો ભારે ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. તાપમાનમાં થયેલા વધારાને પગલે બપોરના સમયે પ્રજાજનો ભારે અકળામણ અનુભવી રહ્યા છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. જોકે, રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ભેજને કારણે માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે. હાલ પૂરતું ખેતીલાયક વરસાદ કે ભારે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી વાતાવરણમાં ડ્રાય સ્પેલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.સાઇક્લોનિક સર્ક્યુલેશન પંજાબ તરફ વળ્યું, માછીમારોને કોઈ ચેતવણી નહીંહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના જણાવ્યા અનુસાર, હાલમાં સેન્ટ્રલ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર રહેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન થોડું પંજાબ તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે મધ્ય પ્રદેશથી અરબી સમુદ્ર સુધીની ટ્રફ લાઈન હવે નીચે તરફ ખસીને મહારાષ્ટ્રની ઉપર સક્રિય છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને તેની આસપાસ સૌરાષ્ટ્ર પર 3.1 કિ.મી.થી 5.8 કિ.મી.ની ઊંચાઈ વચ્ચે એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તેમજ એક મોસમી ટ્રફ રાજસ્થાનથી ઓડિશા સુધી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ થઈને પસાર થઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રેશર ગ્રેડિયન્ટ બનેલું હોવાના કારણે 15થી 20 નોટ્સ અને ક્યારેક ઝાપટા સાથે 25 નોટ્સની ગતિએ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ શકે છે, પરંતુ માછીમારો માટે આગામી પાંચ દિવસ સુધી કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી. Previous Post Next Post