સૌરાષ્ટ્ર-કચ્છમાં 28 લાખ ગ્રાહકોના વીજ કનેક્શન કપાશે: 25 ફેબ્રુઆરીએ PGVCLની મેગા ડ્રાઇવ Feb 24, 2026 સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં બાકી રહેલા વીજ બિલોની વસૂલાત માટે 25 ફેબ્રુઆરીએ વિશાળ સ્તરે ડીસકનેક્શન ડ્રાઇવ યોજાનારી છે. Paschim Gujarat Vij Company Limited (PGVCL) દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર કુલ 28.68 લાખ જેટલા વીજ ગ્રાહકો પાસે રૂ. 652.99 કરોડની બાકી વસૂલાત છે. બે થી છ માસ સુધી વીજ બિલ ન ભરનાર ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.રાજકોટ સ્થિત PGVCLના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર મલકાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં મળીને અંદાજે રૂ. 650 કરોડથી વધુનું લેણું બાકી છે. માર્ચ મહિનાની આવક-જાવક સમાપ્તી પહેલાં બાકી વસૂલાત વધારવા માટે આ મેગા ડ્રાઇવ યોજવાનો નિર્ણય લેવાયો છે. આ અભિયાન અંતર્ગત 2700 જેટલી ટીમો એકસાથે મેદાનમાં ઉતરશે અને બાકીદારોના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરશે.આ ડ્રાઇવમાં રહેણાંક (રેસીડેન્સીયલ), ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રીયલ) તેમજ ખેતીવાડી વીજ ગ્રાહકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ગ્રાહકો સમયસર બિલની ભરપાઈ કરતા નથી અને વારંવાર નોટિસ આપ્યા બાદ પણ રકમ જમા કરતા નથી, તેમના કનેક્શન તાત્કાલિક અસરથી કપાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જ્યારે PGVCLની ટીમ કનેક્શન કાપવા પહોંચે છે ત્યારે ગ્રાહકો સ્થળ પર જ બાકી રકમ ભરપાઈ કરી દેતા હોય છે. જોકે આવી ટેવને અટકાવવા અને સમયસર ચુકવણી પ્રોત્સાહિત કરવા માટે કડક અભિયાન જરૂરી બન્યું છે.આંકડાઓ મુજબ રાજકોટ શહેર-જિલ્લામાં સૌથી વધુ બાકીદાર ગ્રાહકો છે. રાજકોટ શહેરમાં 2,72,256 ગ્રાહકો પાસેથી રૂ. 75.82 કરોડ બાકી છે, જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2,84,779 ગ્રાહકો પાસેથી રૂ. 54.69 કરોડ વસૂલવાના બાકી છે. કુલ મળીને રાજકોટ જિલ્લામાં 5.57 લાખ જેટલા ગ્રાહકો પાસે રૂ. 130.51 કરોડની બાકી રકમ છે, જે સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ છે. જામનગર જિલ્લામાં 3,98,478 ગ્રાહકો પાસેથી રૂ. 88.71 કરોડ બાકી છે. સુરેન્દ્રનગરમાં 2,33,943 ગ્રાહકો પાસેથી રૂ. 76.64 કરોડ વસૂલવાના બાકી છે. ભાવનગરમાં 2,83,078 ગ્રાહકો પાસેથી રૂ. 53.77 કરોડ, જ્યારે ભુજ/કચ્છ સર્કલમાં 2,36,065 ગ્રાહકો પાસેથી રૂ. 68.01 કરોડ બાકી છે. મોરબીમાં 1,93,697 ગ્રાહકો પાસેથી રૂ. 53.92 કરોડ, અંજારમાં 1,35,629 ગ્રાહકો પાસેથી રૂ. 42.30 કરોડ અને પોરબંદરમાં 2,33,710 ગ્રાહકો પાસેથી રૂ. 40.04 કરોડની વસૂલાત બાકી છે. જૂનાગઢમાં 2,01,651 ગ્રાહકો પાસેથી રૂ. 31.23 કરોડ અને બોટાદમાં 1,33,955 ગ્રાહકો પાસેથી રૂ. 26.01 કરોડ બાકી છે.PGVCLના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પાલિકા અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કેટલાક વિભાગોનું બિલ લાંબા સમયથી બાકી હોવા છતાં, જરૂરી સેવાઓ ખોરવાઈ ન જાય તે માટે હાલની ડ્રાઇવમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમ છતાં, અન્ય તમામ શ્રેણીના બાકીદારો સામે કડક પગલાં લેવામાં આવશે.અભિયાન દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી હોય ત્યાં પોલીસની મદદ પણ લેવામાં આવશે. હાલ પ્રાથમિક અંદાજ મુજબ મોટાભાગના વિસ્તારોમાં પોલીસની જરૂરિયાત નહીં પડે, પરંતુ કોઈ સ્થળે વિરોધ અથવા તણાવ સર્જાય તો તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.વીજ કંપનીનું કહેવું છે કે સમયસર બિલ ભરવાથી કંપનીને વિતરણ વ્યવસ્થા સુધારવા, નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવા અને લાઇન લોસ ઘટાડવા માટે જરૂરી નાણાં મળે છે. બાકી વસૂલાત વધવાથી નાણાકીય દબાણ ઊભું થાય છે, જેનો સીધો અસર વિકાસ કાર્યો પર પડે છે. તેથી ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ 25 ફેબ્રુઆરી પહેલાં બાકી રકમ ભરપાઈ કરી દે અને ડીસકનેક્શન જેવી અસુવિધા ટાળે.સૌરાષ્ટ્ર-કચ્છમાં એકસાથે 2700 ટીમોની ત્રાટક સાથે યોજાનારી આ મેગા ડ્રાઇવને કારણે હજારો ઘરો અને ઉદ્યોગો પર સીધી અસર પડી શકે છે. હવે જોવાનું રહેશે કે કેટલા ગ્રાહકો સમયસર બાકી રકમ ચૂકવી કનેક્શન બચાવે છે અને કેટલાંના વીજ પુરવઠા પર તાત્કાલિક અસર થાય છે. Previous Post Next Post