રાજકોટમાં કરોડોની ચાંદીની મોટી ચોરી : ચંપકનગરમાં વેપારીના પરિચિતના ઘરમાંથી 120 કિલોથી વધુ ચાંદી ઉઠાવી ગયા તસ્કરો Feb 04, 2026 રાજકોટ શહેરના ચંપકનગર વિસ્તારમાં આજે વહેલી સવારમાં એક હાઈપ્રોફાઈલ અને ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના જાણીતા ચાંદીના વેપારી અતુલભાઈ પટેલના પરિચિત બિપિનભાઈના ઘરમાં રાત્રીના સમયે તસ્કરોએ ઘૂસી જઈ કરોડો રૂપિયાની ચાંદીની ચોરી કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો છે, જ્યારે પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રીના અંધારાનો લાભ લઈને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. રાતના અંદાજે 2 થી 2.30 વાગ્યાના સમયગાળા દરમિયાન ફોર વ્હીલ વાહનમાં ત્રણ જેટલા તસ્કરો આવી પહોંચ્યા હતા અને ઘરમાં રાખવામાં આવેલી ચાંદી ઉઠાવી ફરાર થઈ ગયા હતા. ચોરી કરાયેલી ચાંદીની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આટલી મોટી માત્રામાં ચાંદી ચોરી થવાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.ચોરીની જાણ થતાં જ વેપારી અતુલભાઈ પટેલે તરત જ સ્થાનિક ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી. બાદમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. જાણ થતાં જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.રાજકોટના ઝોન-વનના ડીસીપી હેતલ પટેલે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ફરિયાદી અતુલ લિંબાભાઈ ગુસા, જે લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમની ચાંદી તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં રાખવામાં આવી હતી. ચંપકનગર વિસ્તારમાં આવેલા આ મકાનમાંથી આશરે 120 થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ચોરી થયેલી ચાંદીમાં દાગીના તથા વેપાર માટે રાખવામાં આવેલો ચાંદીનો જથ્થો સામેલ હોવાનું મનાઈ રહ્યું છે.ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. બી ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ તેમજ ઝોન-વનની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈ છે. આ ઉપરાંત ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસની દિશા નક્કી કરી રહ્યા છે.પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં લગાવાયેલા તમામ CCTV કેમેરાની ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને રાત્રીના સમયગાળા દરમિયાન ફરતા શંકાસ્પદ વાહનો, ફોર વ્હીલ ગાડીઓ અને અજાણ્યા વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસને આશંકા છે કે તસ્કરોને ઘરમાં ચાંદી હોવાની પૂર્વ માહિતી હતી અને યોજના મુજબ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ચોરી વેપારીના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલી હોઈ શકે છે. અંદરની માહિતીના આધારે જ તસ્કરોએ આટલી મોટી માત્રામાં ચાંદીની ચોરી કરી હોવાનું પોલીસ માની રહી છે. આ દિશામાં વેપારીના સંપર્કો અને વ્યવસાયિક સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે.આ ઘટનાથી ચંપકનગર સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય ફેલાયો છે. સ્થાનિક લોકોએ રાત્રીના સમયે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાની માંગ ઉઠાવી છે. શહેરમાં વધતી ચોરી અને ગુનાખોરીની ઘટનાઓને લઈને પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.પોલીસ અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે CCTV ફૂટેજ અને ટેક્નિકલ તપાસના આધારે ટૂંક સમયમાં આરોપીઓ સુધી પહોંચવામાં આવશે અને ચોરી કરાયેલ ચાંદી પણ જપ્ત કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને શહેરભરમાં નાકાબંધી સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. Previous Post Next Post