રાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર : પ્રમુખ બદલાવની અટકળો પર પૂર્ણવિરામ, તમામ 7 વિધાનસભા બેઠકોને પ્રતિનિધિત્વ Jan 29, 2026 રાજકોટ જિલ્લા ભાજપના સંગઠન માળખાની લાંબા સમયથી ચાલી રહેલી પ્રક્રિયાનો અંત આવ્યો છે. પ્રદેશ ભાજપ નેતાગીરી દ્વારા અંતિમ મંજૂરી મળતા જિલ્લાનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલી જિલ્લા પ્રમુખ બદલાવની અટકળો પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નવા માળખામાં ત્રણેય મહામંત્રીઓને યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે એક ઉપપ્રમુખને પણ ફરીથી જવાબદારી સોંપવામાં આવી છે.જિલ્લા સંગઠનમાં કુલ 21 હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સંગઠન માળખું તૈયાર કરતી વખતે તમામ સાત વિધાનસભા મતક્ષેત્રોમાંથી પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. સાથે જ 16 અલગ-અલગ જ્ઞાતિઓને સ્થાન આપીને ભાજપે સામાજિક સંતુલન અને સર્વસમાવેશકતા તરફ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.રાજકીય નિષ્ણાંતોના મતે આ સમગ્ર સંગઠન રચના આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા ઓબીસી સહિત નાની-મોટી જ્ઞાતિઓને રાજકીય રીતે આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેના જવાબરૂપે ભાજપે સંગઠનમાં જ વિવિધ સમાજોને મહત્વ આપીને પોતાની ચૂંટણી રણનીતિ સ્પષ્ટ કરી છે.નવા સંગઠન માળખામાં લેઉવા પટેલ સમાજના બે, કોળી સમાજના બે, રઘુવંશી સમાજના બે, ક્ષત્રિય સમાજના બે સહિત અન્ય અનેક જુદી જુદી જ્ઞાતિઓમાંથી એક-એક પ્રતિનિધિને સ્થાન આપવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સંગઠન સ્તરે જ તમામ સમાજોને સાથે લઈને આગળ વધવા માગે છે.જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરીયાને યથાવત રાખવામાં આવ્યા છે. મહામંત્રી તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા અને રવિભાઈ માંકડીયાને ફરી જવાબદારી સોંપવામાં આવી છે. ત્રણેય મહામંત્રીઓને રીપીટ કરવાથી સંગઠનમાં સ્થિરતા અને સતત કાર્યપ્રવાહ જાળવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.ઉપપ્રમુખ તરીકે કાજલબેન ગોંડલીયા (લોધીકા), રીનાબેન ભોજાણી (ગોંડલ), રેખાબેન ડાભી (ધોરાજી), પ્રફુલભાઈ ટોળીયા (ગોંડલ), સુરેન્દ્રસિંહ વાળા (જામકંડોરણા), જયેશ ત્રિવેદી (ઉપલેટા), મનોજ રાઠોડ (લોધીકા) અને રાજુભાઈ બાલધા (ધોરાજી)ની નિયુક્તિ કરવામાં આવી છે. આમાંથી એક ઉપપ્રમુખને અગાઉની જેમ ફરી જવાબદારી આપવામાં આવી છે.મંત્રી તરીકે ભારતીબેન સાંકળીયા (વિંછીયા), સતીષ ભીમજીયાણી (જેતપુર), મુકેશ મેર (જસદણ), પ્રવિણ હેરભા (પડધરી), સુધાબેન ગોહેલ (જેતપુર), મનીષાબેન સંચાણીયા (કોટડાસાંગાણી), અનિતાબેન ચૌહાણ (ઉપલેટા) અને શૈલેષ અજાણી (રાજકોટ)ને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખજાનચી તરીકે મહેશ વાણીયા (જસદણ) અને કાર્યાલય મંત્રી તરીકે રાજેન્દ્રભાઈ ધારૈયા (જસદણ)ની નિમણૂક કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપના પ્રમુખની નિયુક્તિ અગાઉ જ કરવામાં આવી હતી, પરંતુ સંગઠન માળખું જાહેર થવામાં લાંબો વિલંબ થયો હતો. આ કારણે કાર્યકરોમાં ઉત્સુકતા અને ચર્ચાઓ તેજ બની હતી. ક્યારેક પ્રમુખ બદલાવની અટકળો પણ ઉઠી હતી, પરંતુ અંતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.હવે 21 હોદ્દેદારોનું સંપૂર્ણ જિલ્લા સંગઠન જાહેર થતાં જ આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો, બેઠકો અને સંગઠન મજબૂતી માટેના પ્રયાસો શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપે સંગઠન સ્તરે જ પોતાનું સામાજિક અને રાજકીય ગણિત સ્પષ્ટ કરી દીધું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. Previous Post Next Post