રાજકોટમાં રાજુ કરપડાનો AAP પર પ્રહાર, ઈટાલિયા-સોરઠીયાને ભાજપની ‘B ટીમ’ ગણાવ્યા Feb 12, 2026 રાજકોટમાં પત્રકાર પરિષદમાં ગંભીર આક્ષેપોરાજકોટમાં આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી પાર્ટી નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ગત રોજ રાજીનામું આપ્યા બાદ તેમણે ખુલ્લેઆમ કહ્યું કે “ગોપાલ ઈટાલિયા છે ત્યાં સુધી AAP આગળ નહીં આવે.” તેમણે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયાને ભાજપની ‘B ટીમ’ તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો, જેના કારણે રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે.કરપડાએ જણાવ્યું કે તેઓ વર્ષોથી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે અને 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ તેમનો એકમાત્ર ઉદ્દેશ ખેડૂત હિત માટે લડવાનો હતો. પરંતુ છેલ્લા કેટલાક બનાવોએ તેમને પાર્ટી છોડવાનો નિર્ણય લેવા મજબૂર કર્યા. જેલવાસ અને નેતૃત્વ પર ઉઠેલા સવાલબોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ ઘર્ષણ કેસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. 68 ખેડૂતો સાથે તેઓ લગભગ સાડાત્રણ મહિના જેલમાં રહ્યા હતા. કરપડાના જણાવ્યા મુજબ, હાઇકોર્ટમાં સારા વકીલ રાખી જામીન અપાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં યોગ્ય કાનૂની મદદ મળી નહોતી.તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીના એક-બે નેતાઓ તેઓ જેલમાંથી વહેલા ન છૂટે તેવા પ્રયત્નો કરતા હતા. “અમને એક સારો વકીલ પણ ન આપી શક્યા. અમે જેલમાં જ રહીએ તેવા પ્રયાસ થયા,” એમ તેમણે આક્ષેપ કર્યો. આ નિવેદનથી AAPના આંતરિક મતભેદો જાહેર મંચ પર આવી ગયા છે. ખેડૂત આંદોલનો અને ‘કડદાપ્રથા’નો મુદ્દોરાજુ કરપડાની ઓળખ ખેડૂત આંદોલનો સાથે જોડાયેલી રહી છે. બોટાદ APMCમાં કપાસ અને અન્ય પાકોમાં ‘કડદો’ કરી ખેડૂતોને ઓછા ભાવ આપવાના મુદ્દે તેમણે ઉગ્ર આંદોલન કર્યું હતું. 12 ઓક્ટોબરે હડદડ ગામે યોજાયેલી મહાપંચાયત દરમિયાન પોલીસ સાથે અથડામણ થઈ, જેમાં પથ્થરમારો અને તોડફોડના બનાવો બન્યા હતા.કરપડાએ જણાવ્યું કે ખેડૂતો માટે લડતાં તેમણે જેલવાસ ભોગવ્યો, પરંતુ તેનાથી તેઓ ડરવાના નથી. “હું ખેડૂત નેતા છું અને ખેડૂતો માટે જ લડીશ,” એમ તેમણે દ્રઢ શબ્દોમાં કહ્યું. ‘કેજરીવાલથી નજીક આવવું ગમ્યું નહીં’કરપડાએ વધુમાં કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલથી નજીક આવ્યા ત્યારથી કેટલાક નેતાઓ તેમને પછાડવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે આખી પાર્ટીને તેઓ ભાજપની B ટીમ ગણાવતા નથી, પરંતુ ખાસ કરીને ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા પર નિશાન સાધ્યું.તેમણે દાવો કર્યો કે પાર્ટીના અન્ય નેતાઓ – ચૈતરભાઈ, હેમંતભાઈ અને ઈસુદાનભાઈ – પાર્ટીને મજબૂત બનાવવાના પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક વ્યક્તિગત સ્વાર્થ પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે. અન્ય પાર્ટીમાં જોડાવાની અટકળોરાજુ કરપડાના રાજીનામા બાદ તેઓ ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં તેઓ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાના નથી. “જે પાર્ટી ખેડૂતોનો અવાજ બનશે, તેની સાથે જઇશું,” એમ કહી તેમણે ભવિષ્ય માટે સંકેત આપ્યો.સૂત્રો મુજબ, આવનારા સમયમાં તેઓ ખેડૂત સંમેલન બોલાવી શકે છે અને પોતાના સમર્થકો સાથે આગળની રણનીતિ નક્કી કરશે. સૌરાષ્ટ્રમાં AAPને ફટકો?વિશ્લેષકોના મતે, રાજુ કરપડાના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં AAPને ઝટકો લાગી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂત આંદોલનોને કારણે AAPની પકડ મજબૂત બની રહી હતી. ખાસ કરીને વિસાવદર જીત બાદ પાર્ટીનો આત્મવિશ્વાસ વધ્યો હતો. પરંતુ કરપડાની વિદાયથી ખેડૂત વર્ગમાં અસંતોષ ઊભો થઈ શકે છે. રાજુ કરપડાનો રાજકીય સફરમૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દૂધઈ ગામના રહેવાસી રાજુ કરપડા 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને 45,937 મત મેળવી બીજા સ્થાને રહ્યા હતા. પાક વીમા અને જમીન માપણી જેવા મુદ્દાઓ પર આંદોલન કરીને તેમણે પોતાની ઓળખ બનાવી હતી.11 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમના રાજીનામાએ રાજ્યની રાજકીય હલચલ વધારી છે. હવે તેઓ આગળ કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું રહ્યું. Previous Post Next Post