શિવરાત્રી મેળામાં વીઆઈપી કલ્ચર દૂર કરી ભક્તોની સુવિધા વધારાઈ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

શિવરાત્રી મેળામાં વીઆઈપી કલ્ચર દૂર કરી ભક્તોની સુવિધા વધારાઈ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

જુનાગઢના ગિરનાર તળેટીમાં ભવનાથ મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે જ લાખો શિવભક્તોએ હાજરી આપી ભક્તિમય માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શિવભક્તોને શુભકામનાઓ પાઠવી અને જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મેળામાંથી વીઆઈપી કલ્ચર દૂર કરીને સામાન્ય ભક્તોની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે મહાશિવરાત્રીનો મેળો માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ આ ગિરનારની પવિત્ર ભૂમિ સાથે જોડાયેલો અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભવ છે. “ગિરનારની આ પવિત્ર ભૂમિમાં ખુલ્લા પગે ચાલીને ભવનાથ પહોંચવાનો મને અલૌકિક અનુભવ થયો છે. આ મારા જીવનની યાદગાર પળોમાંની એક છે,” એમ તેમણે ભાવુક શબ્દોમાં વ્યક્ત કર્યું.

મેળાના પ્રારંભિક દિવસે જ મોટી સંખ્યામાં ભક્તોની હાજરીને લઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે ગયા વર્ષોની તુલનામાં આ વર્ષે પહેલેજ દિવસે વધુ ભક્તો ઉમટ્યા છે, જે દર્શાવે છે કે મહાશિવરાત્રી મેળો પ્રત્યે લોકોની આસ્થા સતત વધતી જાય છે. સાડા ત્રણ કિલોમીટર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે અને ‘હર હર મહાદેવ’ના નાદથી સમગ્ર તળેટી ગુંજી ઉઠી છે.

નાયબ મુખ્યમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો કે આ વર્ષે મેળામાંથી વીઆઈપી વ્યવસ્થા દૂર કરવામાં આવી છે. “આ મેળો શિવભક્તોનો છે. તેથી કોઈ વિશેષ વર્ગને પ્રાથમિકતા આપવાના બદલે તમામ ભક્તોને સમાન સુવિધા મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે,” એમ તેમણે કહ્યું. ભક્તોને સરળતા રહે તે માટે ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, પાણી, આરોગ્ય સેવા અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારાઓ કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે મેળાની તૈયારી છેલ્લા બે મહિનાથી ચાલી રહી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓએ સુવ્યવસ્થિત આયોજન કર્યું છે. સ્વચ્છતા, સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે ખાસ ટીમો ગોઠવવામાં આવી છે.
 


હર્ષ સંઘવીએ ગીરનાર દરવાજા પાસે પોતાની ગાડી મૂકીને ભક્તો સાથે પગપાળા ભવનાથ મંદિર સુધી પહોંચ્યા હતા. આ પગલાને લઈને ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું કે ગિરનાર માત્ર એક સ્થળ નથી, પરંતુ સનાતન સંસ્કૃતિનું જીવંત પ્રતિક છે. અહીંનો ગિરનારી ગુંજ અને ભક્તિભાવ દરેક માટે યાદગાર બની રહે છે.

મેળામાં કાર્યરત અન્નક્ષેત્રો અને ભંડારાઓની સેવા અંગે પણ તેમણે પ્રશંસા વ્યક્ત કરી. લાખો ભક્તો માટે દિવસ-રાત પ્રસાદ અને ભોજન તૈયાર કરવું એ વિશાળ સેવા કાર્ય છે. તેમણે તમામ સંચાલકો અને સ્વયંસેવકોને અભિનંદન આપતાં કહ્યું કે આવા સેવાભાવથી જ મેળાની પરંપરા જીવંત રહે છે. રાજ્ય સરકાર તરફથી તમામ સેવાભાવી સંસ્થાઓને શુભેચ્છા પાઠવવામાં આવી.

આ સાથે તેમણે ભક્તોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો. “ગિરનારની આ પવિત્ર ભૂમિમાં કચરો ન ફેંકીએ, સ્વચ્છતા જાળવીએ અને આ ધર્મસ્થળનો આદર રાખીએ,” એમ તેમણે જણાવ્યું. સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે પ્રશાસન દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ તેમાં ભક્તોનો સહકાર પણ જરૂરી છે.

નાયબ મુખ્યમંત્રીએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને સુવ્યવસ્થિત મેળો સાબિત થશે. ભક્તોની વધતી સંખ્યા અને સુવિધાઓના વિસ્તરણ સાથે આ મેળો ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવશે.

ભક્તિ, સેવા અને સુવ્યવસ્થિત આયોજનના સંયોજન સાથે ભવનાથનો મહાશિવરાત્રી મેળો આ વર્ષે નવી ઊંચાઈ સર કરી રહ્યો છે, જ્યાં શિવભક્તો માટે સુવિધા અને સમાનતા બંનેને પ્રાથમિકતા આપવામાં આવી છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો