મહાશિવરાત્રી મહાપર્વે સૌરાષ્ટ્ર બનશે શિવમય: પ્રાચીન શિવાલયોમાં ભક્તિ, આરતી અને લોકમેળાનો મહાઉલ્લાસ Feb 14, 2026 આવતીકાલે મહાશિવરાત્રીનું પાવન મહાપર્વ ઉજવાઈ રહ્યું છે અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠશે. શિવ આરાધનાનો આ દિવ્ય અવસર ભક્તોને ઉપવાસ, જાપ, અભિષેક અને ચાર પ્રહરની વિશેષ પૂજા દ્વારા જીવનને શિવમાં પરોવવાનો મોકો આપે છે. પ્રાચીન શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડશે અને રાત્રિના બાર વાગ્યા સુધી ભક્તિમય માહોલ રહેશે. રાજકોટમાં શિવયાત્રા અને શિવાલયોમાં વિશેષ પૂજારાજકોટ શહેરના રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ સહિત અનેક મંદિરોમાં મહાશિવરાત્રી નિમિત્તે ચાર પ્રહરની પૂજા યોજાશે. દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો ધજા-નિશાન સાથે શિવનામ સંકીર્તન કરતા શહેરભરમાં ભક્તિનો સંદેશ ફેલાવશે.ભક્તો શિવલિંગ પર દૂધ, જળ, મધ અને બિલીપત્ર અર્પણ કરી મહામૃત્યુંજય જાપ અને શિવમહિમ્ન સ્તોત્રના પાઠ કરશે. ઉપવાસ અને ભજન-કીર્તનથી આખું શહેર શિવમય બની જશે. ભાવનગરના શિવકુંજધામમાં રૂદ્રાભિષેક અને લઘુરુદ્રભાવનગર નજીક આવેલ શિવકુંજધામ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે તમામ ચાર પ્રહરની વિશેષ પૂજા યોજાશે. દૂધ, શેરડીનો રસ, મધ, ફળોના રસ અને શ્રીફળના જળથી અભિષેક કરવામાં આવશે. રૂદ્રાભિષેક અને લઘુરુદ્ર પાઠ સાથે સહસ્ત્ર નામાવલી દ્વારા બિલીપત્ર ચઢાવવામાં આવશે.શાસ્ત્રોક્ત માન્યતા મુજબ મહાશિવરાત્રી એ કલ્યાણકારી રાત્રિ છે, જેમાં ભક્તિપૂર્વક પૂજન કરવાથી અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ મળે છે. સ્થાનિક સંતો અને વક્તાઓ દ્વારા શિવતત્વ પર પ્રવચનો પણ યોજાશે. ગોંડલમાં ભસ્મ આરતી અને મહાઆરતીગોંડલના સુરેશ્વર મહાદેવ મંદિર અને મુકતેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી આરતી, ફળ અને ફૂલોના વિશેષ શણગાર તથા રાત્રે મહાઆરતીનું આયોજન છે. મહાઆરતી બાદ પ્રસાદી વિતરણ કરવામાં આવશે. ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાત્રિના બાર વાગ્યે ભોળાનાથની જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠશે. દ્વારકાના ભડકેશ્વર મહાદેવમાં સમુદ્ર વચ્ચે ભક્તિનો મહાઉલ્લાસઅરબી સમુદ્રની જળરાશિ વચ્ચે અડીખમ ઊભેલા ભડકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે. વહેલી સવારે ચાર વાગ્યાથી દૂધાભિષેક અને જળાભિષેક શરૂ થશે. દિવસભર રૂદ્રાભિષેક, શિવચાલીસા પાઠ અને સાંજે મહાઆરતી યોજાશે.મંદિર સામે લોકમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં બાળકો માટે રમૂજી રાઈડ્સ અને ધાર્મિક સ્ટોલ્સ ગોઠવાયા છે. સમગ્ર દ્વારકા શહેરમાં આધ્યાત્મિક ઉલ્લાસનો માહોલ રહેશે. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ચાર પ્રહરની વિશેષ પૂજાદ્વારકાથી 16 કિમી દૂર આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રી પર્વે પ્રાતઃ આરતીથી લઈને રાત્રિના ચારેય પ્રહરની વિશેષ પૂજા યોજાશે. પ્રથમ પ્રહર રાત્રે 9 થી 11, દ્વિતીય 11 થી 1, તૃતીય 1 થી 3 અને ચતુર્થ 3 થી 5 વાગ્યા સુધી પૂજા થશે.મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સુવિધાઓ ગોઠવવામાં આવી છે અને આરતી માટે પૂર્વ નોંધણી ફરજીયાત રાખવામાં આવી છે. દ્વારકા, ઓખા, બેટ દ્વારકા સહિતના વિસ્તારોમાંથી ભક્તો પગપાળા યાત્રા કરીને પહોંચશે. ગોપનાથ મહાદેવમાં આઠે પ્રહરની આરાધનાભાવનગર જિલ્લાના ગોપનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે આઠે પ્રહરની પૂજા અને વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અહીંની જોળી પ્રથા અને અન્નક્ષેત્રની પરંપરા આજે પણ જીવંત છે. દર અમાસે અહીં માનવમેળો ભરાય છે અને હજારો ભક્તો દર્શન માટે આવે છે. ભક્તિ, ઉપવાસ અને કલ્યાણની રાત્રિમહાશિવરાત્રીના પવિત્ર દિવસે ભક્તો ઉપવાસ, જાપ, ભજન અને અભિષેક દ્વારા જીવનમાં શાંતિ અને કલ્યાણની પ્રાર્થના કરશે. શાસ્ત્રો અનુસાર આ રાત્રે કરેલી ચાર પ્રહરની પૂજા ભક્તોને આરોગ્ય, સમૃદ્ધિ અને મનોઇચ્છિત ફળ આપે છે.આ રીતે આવતીકાલે સમગ્ર સૌરાષ્ટ્ર ભોળાનાથની આરાધનામાં તન્મય બની શિવમય બની જશે અને ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભક્તિ અને ઉત્સવનો અનોખો સંગમ સર્જાશે. Previous Post Next Post