ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઈન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત

ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઈન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત

ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ઘણા દિવસોથી મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે, જેના કારણે દેશભરના હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મુસાફરોને એરપોર્ટ પર કલાકો રાહ જોવી પડી, ઘણી ફ્લાઇટ્સ અંતિમ ક્ષણે રદ થઇ, બેગેજ ડિલિવરીમાં વિલંબ થયો અને ક્રૂની અછતને કારણે ઓપરેશન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે આ મુદ્દો સોમવારે લોકસભામાં ગૂંજી ઉઠ્યો. આ દરમિયાન કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સરકારનું આક્રમક વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે ઇન્ડિગો સામે કડક પગલાં લેવામાં આવશે અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ કાર્યવાહી તાકીદે શરૂ થશે.

મંત્રીએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં ઇન્ડિગોની આંતરિક વ્યવસ્થામાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવી છે. ખાસ કરીને ફ્લાઇટ ક્રૂના રોસ્ટર અને ડ્યુટી શેડ્યૂલમાં મોટાપાયે ખામી જોવા મળી. રોસ્ટર પ્લાનિંગમાં થયેલી ગંભીર ગડબડીની અસર સમગ્ર નેટવર્ક પર પડી, જેના કારણે ચેન રિએક્શન સર્જાયું અને અનેક ફ્લાઇટ્સ એકસાથે પ્રભાવિત થઈ. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે શિયાળાનું શેડ્યૂલ, ખરાબ હવામાનની પરિસ્થિતિ, ટેકનિકલ ખામીઓ અને દેશના મોટા એરપોર્ટ્સ પર વધેલા એર ટ્રાફિકને કારણે સમગ્ર સ્થિતિ વધુ બગડી ગઈ. ઇન્ડિગોની આંતરિક કમીઓએ આ તમામ પરિસ્થિતિને વધુ વિકટ બનાવી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રીના જણાવ્યા મુજબ પાયલટ થાક ઘટાડવા માટે નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે અને ઇન્ડિગોએ તેનું પાલન કરવાની ખાતરી આપી હતી. પરંતુ રોસ્ટર મેનેજમેન્ટ યોગ્ય ન હોવાથી ક્રૂ ઉપલબ્ધતામાં ઊભા થયેલા પ્રશ્નોને કારણે ઇન્ડિગોને મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવી પડી. મંત્રીએ કહ્યું કે મુસાફરોના હકોને નુકસાન પહોંચાડે એવી કોઈપણ પરિસ્થિતિને સ્વીકારી શકાય તેમ નથી અને એરલાઇન્સની ભૂલોને અવગણવામાં નહીં આવે.

આ મુદ્દાને ગંભીરતા સાથે લઈ DGCAએ ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ સહિત ઉપરના સ્તરના અધિકારીઓને શો-કોઝ નોટિસ જારી કરી છે. DGCAએ ઇન્ડિગોને એ પણ સૂચના આપી છે કે તેઓ તાત્કાલિક પોતાના નેટવર્ક અને ઓપરેશનલ ક્ષમતાનો પુનર્મૂલ્યાંકન કરે, જેથી ફ્લાઇટ્સની અનાવશ્યક રદગતીઓ અટકાવવામાં આવે. મંત્રાલયનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા પછી એરક્રાફ્ટ એક્ટ અને અન્ય નિયમો હેઠળ જરૂરી તમામ પગલાં લેવામાં આવશે, જેમાં દંડ, પરમિટ સંબંધિત કાર્યવાહી અથવા અન્ય કાનૂની પ્રક્રિયાઓ શામેલ હોઈ શકે છે.

લોકસભામાં ચર્ચા દરમિયાન મંત્રીએ કહ્યું કે મુસાફરોની સલામતી સર્વોપરી છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેની સાથે સમાધાન કરવામાં નહીં આવે. મુસાફરો સાથે અસભ્ય અથવા અસંવેદનશીલ વર્તન કરનારી એરલાઇનને સરકાર સહન નહીં કરે. તેમણે ઉમેર્યું કે ઉડ્ડયન ક્ષેત્રમાં સ્પર્ધા વધારવાની જરૂર છે, જેથી મુસાફરોને વધુ સારી સેવા અને વધુ વિકલ્પો મળી શકે. આ માટે સરકારે દેશમાં નવી એરલાઇન્સને પ્રવેશ આપવા પ્રોત્સાહિત કરવાની નીતિ અપનાવી છે. મંત્રીએ જણાવ્યું કે નવી કંપનીઓ આવશે તો સેવા સ્તર સુધરશે અને મુસાફરોને વધુ ગુણવત્તાયુક્ત અનુભવ મળશે.

મંત્રાલયે મુસાફરોને વિનંતી કરી છે કે કોઈ સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક ઇન્ડિગોને જાણ કરે અને જરૂર પડે ત્યારે DGCAની ગ્રિવન્સ પોર્ટલ પર ફરિયાદ નોંધાવે. ઘણા મુસાફરોને રિફંડ, રિ-શેડ્યૂલિંગ અને કંપન્સેશન અંગે સ્પષ્ટતા ન મળતી હોય છે, જેને લઈને મંત્રીએ જણાવ્યું કે એરલાઇન્સે મુસાફરોને યોગ્ય માહિતી સમયસર આપવી આવશ્યક છે. હાલની પરિસ્થિતિ અંગે મંત્રાલયે જણાવ્યું કે મોટાભાગની ફ્લાઇટ કામગીરી સામાન્યાઈ રહી છે અને આગામી દિવસોમાં સ્થિતિ સંપૂર્ણપણે સુધરવાની આશા છે. પરંતુ સરકાર સમગ્ર પરિસ્થિતિ પર ખૂબ જ નજીકથી નજર રાખી રહી છે.

ઈન્ડિગો જેવા મોટા નેટવર્ક ધરાવતી એરલાઇનમાં આવી ગડબડ ચિંતાજનક ગણાય છે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોને થયેલી અસુવિધા માટે જવાબદારી ચોક્કસ નક્કી કરવામાં આવશે. ઉડ્ડયન ક્ષેત્ર સતત વિસ્તરી રહ્યું છે અને મુસાફરોની સંખ્યા ઝડપથી વધી રહી છે, એમામાં ઊંચી ઓપરેશનલ શિસ્ત અને પારદર્શિતા જાળવવી દરેક એરલાઇન માટે ફરજિયાત છે. સરકારના હસ્તક્ષેપ પછી હવે જોવા જેવી વાત એ રહેશે કે ઇન્ડિગો કઈ રીતે પોતાના ખામીઓને સુધારે છે અને મુસાફરોનો વિશ્વાસ ફરીથી જીતે છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો