તહેવારો અને વેકેશન બાદ પણ એસટીની આવકમાં વધારો: મુસાફરોનો વિશ્વાસ વધ્યો, પ્રીમિયમ સેવાઓએ દેખાડ્યો અસરકારક પ્રભાવ Nov 12, 2025 બે વર્ષ પહેલા તહેવારો અને વેકેશન પૂરા થયા બાદ એસટીની આવકમાં ઘટાડો થતો હતો, પરંતુ હવે ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તહેવારો અને રજાઓનો માહોલ પૂરો થઈ ગયો હોવા છતાં રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં એસટી નિગમની દૈનિક રૂટીન આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં સરેરાશ છથી સાત લાખ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટ વિભાગની દૈનિક આવક રૂ. 67 લાખ જેટલી જળવાઈ છે.રાજ્યભરમાં છેલ્લા બે વર્ષથી એસટી નિગમ દ્વારા નવા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય બસો ઉપરાંત એસી, વોલ્વો અને ઈલેક્ટ્રિક જેવી પ્રીમિયમ બસો સતત ઉમેરાતી રહી છે. જેના કારણે મુસાફરોનો વિશ્વાસ એસટી તરફ વધી રહ્યો છે. ખાનગી બસોની સરખામણીમાં ઓછું ભાડું અને વધુ આરામદાયક સુવિધાઓને કારણે વધુને વધુ લોકો એસટીમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. તેનું સીધું પરિણામ રૂપે એસટીની રૂટીન આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.અગાઉ તહેવારો અને વેકેશન પૂરા થયા બાદ એસટીની આવકમાં ઘટાડો થતો હતો, પરંતુ હવે નિગમની દૈનિક આવક રૂ. 10 થી 15 કરોડ સુધી સ્થિર રહી છે. રાજકોટ એસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આ વર્ષે પણ તહેવારો પૂરા થયા બાદ આવકમાં ઘટાડો નહીં પરંતુ વધારો નોંધાયો છે.દેવદિવાળી બાદ લગ્નસરાની મોસમ શરૂ થતાં મુસાફરીમાં વધારો થયો છે, જે આવકમાં સ્થિરતા લાવવામાં મદદરૂપ બન્યો છે. છેલ્લા બે વર્ષમાં એસટીની સેવાઓમાં સુધારો, પ્રીમિયમ બસોની ઉપલબ્ધતા અને મુસાફરોને મળતી સુવિધાઓના કારણે એસટીની પ્રતિષ્ઠા ફરી મજબૂત થઈ છે અને લોકો હવે વધુ વિશ્વાસ સાથે સરકારી પરિવહન સેવા ઉપયોગમાં લઈ રહ્યા છે. Previous Post Next Post