વરાછાના સરદાર સ્મૃતિ ભવનમાં 23 કરોડથી આધુનિક લાઈટ-સાઉન્ડ સિસ્ટમ અપગ્રેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે નવી ચમક મળશે Nov 12, 2025 સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલું સરદાર સ્મૃતિ ભવન હવે નવી ટેકનોલોજી સાથે ચમકશે. પાલિકા દ્વારા આ ભવનના સંપૂર્ણ નવીનીકરણ માટે વિશાળ યોજના હાથ ધરવામાં આવી છે. અંદાજે 23 કરોડ રૂપિયાના ખર્ચે લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવશે.25 વર્ષ પહેલાં બનેલા આ ભવનમાં અનેક સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો યોજાતા આવ્યા છે, પરંતુ સમય જતાં તેની ટેકનિકલ વ્યવસ્થાઓ જૂની પડી ગઈ હતી. સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, એ.સી. અને અન્ય ઉપકરણો વારંવાર ખરાબ થતા હોવાથી કાર્યક્રમોમાં અડચણો આવતી હતી.હવે પાલિકાએ આ ભવનને આધુનિક રૂપ આપવાનો નિર્ણય લીધો છે. કન્સલ્ટન્ટ મુકુંદ દલાલ એન્ડ એસોસીએટ દ્વારા તૈયાર કરાયેલ આયોજન મુજબ સિવિલ, ઇલેક્ટ્રીકલ, મિકેનિકલ તેમજ સ્ટ્રકચરલ મજબૂતીના કામો કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજ તૈયાર કરીને જાહેર બાંધકામ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.આ કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાથ ધરાશે અને ગ્રાન્ટ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવી લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ સાથે સરદાર સ્મૃતિ ભવન ફરીથી શહેરના સાંસ્કૃતિક જીવનનું કેન્દ્રબિંદુ બનશે એવી આશા છે. Previous Post Next Post