ખરીદદારો માટે માઠા સમાચાર, સરકારે ફરી વધાર્યા સોના-ચાંદીના આયાત ભાવ Jun 16, 2026 નવી દિલ્હી,આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે કેન્દ્ર સરકારે સોના અને ચાંદીના બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝ (મૂળ આયાત ભાવ)માં ફરી એકવાર વધારો કરવાનો નિર્ણય લીધો છે. મહત્વની વાત એ છે કે, સરકારે કર દરમાં ઘટાડો કર્યાના માત્ર ત્રણ દિવસ બાદ જ આ આયાત ભાવ વધારતા ઝવેરીઓ અને સામાન્ય ગ્રાહકોમાં આશ્ચર્ય ફેલાયું છે. નવા નિર્ણય મુજબ, સોનાનો મૂળ આયાત ભાવ વધારીને 1,348 ડોલર પ્રતિ 10 ગ્રામ કરવામાં આવ્યો છે. ભારત મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરતું હોવાથી, આ ભાવ વધારાની સીધી અસર સ્થાનિક કિંમતો પર પડવાની શક્યતા છે.સોનાની સાથે સરકારે ચાંદીના આયાત ધોરણોમાં પણ કડકાઈ દાખવી છે. ચાંદીનો મૂળ આયાત ભાવ વધારીને હવે 2,175 ડોલર પ્રતિ કિલોગ્રામ નિર્ધારિત કરવામાં આવ્યો છે. હાલમાં સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ 2.5 લાખ રૂપિયાના ઐતિહાસિક સ્તરે પહોંચ્યા છે, ત્યારે સરકારના આ નિર્ણયથી કિંમતોમાં રહેલી સંભવિત નરમાઈ પર પણ બ્રેક લાગી શકે છે. બજારના નિષ્ણાતો આ નિર્ણયને આયાત સંતુલન જાળવવા માટે લેવાયેલું એક મહત્વનું અને અનપેક્ષિત પગલું ગણાવી રહ્યા છે. આ નિર્ણયને કારણે હવે ઝવેરીઓ માટે સોનું અને ચાંદી ખરીદવાનો ખર્ચ વધી જશે, જેનો બોજ અંતે ગ્રાહકોના ખિસ્સા પર પડશે. ખાસ કરીને લગ્નગાળાની સિઝનમાં ઘરેણાં ખરીદનારાઓ માટે આ એક મોટો આર્થિક ઝટકો સાબિત થઈ શકે છે. Previous Post Next Post