બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા: રાજકીય સન્માન સાથે કોલંબોમાં ઐતિહાસિક પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન Feb 05, 2026 શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું આગમન એક ઐતિહાસિક, ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષણ તરીકે નોંધાયું છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના સહિયારા બૌદ્ધ વારસાને વધુ મજબૂત બનાવતી આ ઘટના માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અનેકુટનૈતિક સંબંધોની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા આ પવિત્ર અવશેષોને શ્રીલંકા લાવવામાં આવ્યા હતા, જ્યાં પૂર્વનિર્ધારિત આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ તેમને પૂર્ણ રાજકીય સન્માન આપવામાં આવ્યું.આ અવશેષો સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ પણ શ્રીલંકા પહોંચ્યું હતું. શ્રીલંકન સત્તાવાળાઓ દ્વારા ભારતીય પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક મિત્રભાવ અને આધ્યાત્મિક જોડાણને પ્રતિબિંબિત કરે છે.આ પવિત્ર પ્રદર્શનનું આયોજન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૃઢ પ્રતિબદ્ધતાનું પરિણામ માનવામાં આવે છે. એપ્રિલ 2025માં પ્રધાનમંત્રી મોદીની શ્રીલંકા મુલાકાત દરમિયાન તેમણે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આ પ્રકારના પ્રદર્શનો યોજવાની ઘોષણા કરી હતી. તે પહેલા વર્ષ 2020માં ભારત સરકારે શ્રીલંકામાં બૌદ્ધ વારસા સંરક્ષણ અને વિકાસ માટે 15 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટ જાહેર કરી હતી. આ ગ્રાન્ટનો હેતુ બંને દેશોના ઐતિહાસિક અને ધાર્મિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો હતો. આ ઉપરાંત, અનુરાધાપુરામાં આવેલા પવિત્ર શહેર સંકુલના વિકાસ માટે પણ ભારત દ્વારા વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. અનુરાધાપુરા બૌદ્ધ ધર્મનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે અને ત્યાંના ધાર્મિક સ્થળોના સંરક્ષણ અને વિકાસથી સમગ્ર બૌદ્ધ જગતને લાભ થશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.4 ફેબ્રુઆરી, 2026ના રોજ કોલંબોના પ્રસિદ્ધ ગંગારામાયા મંદિરમાં આ પવિત્ર પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન યોજાયું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દ્વારા આ પ્રદર્શનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસર પર ગંગારામાયા મંદિરના મુખ્ય મઠાધિપતિ ડૉ. કિરીંડે અસાજી થેરો ઉપસ્થિત રહ્યા હતા. ભારત તરફથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ગૌરવપૂર્ણ સમારોહમાં હાજર રહ્યા હતા.આ ઉપરાંત શ્રીલંકા સરકારના અનેક મંત્રીઓ જેમ કે ડૉ. હિનિડુમા સુનિલ સેનેવી, ડૉ. નલિન્દા જયતિસ્સા અને પ્રોફેસર A.H.M.H અભયરત્ના સહિતના અગ્રણીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. સમગ્ર સમારોહ ધાર્મિક વિધિઓ, મંત્રોચ્ચાર અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાયો હતો.આ પ્રદર્શન અંતર્ગત “પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ” અને “સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી” જેવા વિષયો પર વિશેષ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનો દ્વારા ભગવાન બુદ્ધના જીવન, તેમના ઉપદેશો અને બૌદ્ધ ધર્મના વૈશ્વિક પ્રભાવને રજૂ કરવામાં આવ્યો છે. 5 ફેબ્રુઆરી, 2026થી આ પવિત્ર અવશેષો જાહેર દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેથી હજારો શ્રદ્ધાળુઓને દર્શન કરવાનો અવસર મળશે.વિશેષ નોંધનીય બાબત એ છે કે આ પવિત્ર અવશેષોનું આગમન શ્રીલંકાના 78મા સ્વતંત્રતા દિવસના અવસરે થયું છે, જેના કારણે આ ઘટનાનું મહત્વ વધુ વધી ગયું છે. ભારતની બહાર દેવનીમોરી અવશેષોની આ પ્રથમ જાહેર પૂજા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. અગાઉ ભારતે 2012માં કપિલવસ્તુ અને 2018માં સારનાથના પવિત્ર અવશેષો શ્રીલંકા મોકલ્યા હતા. આ આયોજન ભગવાન બુદ્ધના કરુણા, અહિંસા અને શાંતિના સંદેશને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. સાથે સાથે, ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને નવી મજબૂતી આપવા દિશામાં આ પ્રદર્શન એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. Previous Post Next Post