અતિ ચંચળ અને બેધ્યાન બાળક? રાજકોટ સિવિલની સારવારથી એડીએચડી પીડિત બાળક સંપૂર્ણ સ્વસ્થ બન્યો આજે સમાજને સંદેશ Feb 09, 2026 શું તમારું બાળક અતિ ચંચળ અને બેધ્યાન રહે છે? તો સાવધાન થજોઆજના સમયમાં ઘણા માતા-પિતાને ફરિયાદ હોય છે કે તેમનું બાળક ખૂબ જ ચંચળ, તોફાની અને ધ્યાન ન આપનારું છે. શરૂઆતમાં આ સ્વભાવિક લાગતું હોવા છતાં, કેટલીકવાર આ લક્ષણો કોઈ ગંભીર માનસિક સમસ્યાની ચેતવણી પણ હોઈ શકે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગે એવા જ એક બાળકને સફળ સારવાર દ્વારા સંપૂર્ણ સ્વસ્થ બનાવી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. બે વર્ષની ઉંમરથી દેખાવા લાગ્યા અસામાન્ય લક્ષણોસાત વર્ષના બાળક માહિરની માતા હેમાંગીબેન મકવાણા જણાવે છે કે, માહિર બે વર્ષનો હતો ત્યારથી જ અતિ ચંચળ અને અણસમજદાર વર્તન કરતો હતો. સમજાવીએ તો પણ સમજે નહીં, અન્ય બાળકો સાથે રમવામાં રસ ન લે અને સતત દોડધામ કરતો રહે. માત્ર મોબાઈલ ફોન આપીએ ત્યારે જ થોડીવાર શાંત રહેતો હતો.જ્યારે માહિરને પ્રિ-સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની સ્થિતિને કારણે સ્કૂલે જ તેને રજા આપી દીધી. આ ઘટનાએ પરિવારને ચિંતામાં મૂકી દીધો અને તેમને સમજાયું કે બાળકમાં કંઈક અલગ સમસ્યા હોઈ શકે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મળ્યું યોગ્ય માર્ગદર્શનહિંમત હાર્યા વગર હેમાંગીબેન અને તેમના પરિવારે રાજકોટ સિવિલ હોસ્પિટલના સાઇકિયાટ્રી વિભાગનો સંપર્ક કર્યો. અહીં એસોસિએટ પ્રોફેસર ડો. કલ્પેશ ચંદ્રાની અને ડો. કેનીલ જાગાણીએ માહિરનું વિગતવાર મૂલ્યાંકન કર્યું. પ્રારંભિક તપાસમાં બાળકને એ.ડી.એચ.ડી. (Attention Deficit Hyperactivity Disorder) હોવાની પુષ્ટિ થઈ.આ બાદ રેસિડન્ટ ડોક્ટર ડો. દીવ્યમ ગોસ્વામીએ માહિરની સારવારની સંપૂર્ણ જવાબદારી સંભાળી. યોગ્ય દવાઓ, નિયમિત ફોલોઅપ અને માતા-પિતાને આપવામાં આવેલી સલાહ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી. છ મહિનાની સારવાર બાદ 100 ટકા સુધારોલગભગ છ મહિના સુધી સતત સારવાર અને દેખરેખ બાદ માહિરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. ડો. દીવ્યમ ગોસ્વામી જણાવે છે કે, હવે માહિર અન્ય બાળકોની જેમ શાંતિથી બેસી શકે છે, એકાગ્રતા સાથે અભ્યાસ કરી શકે છે અને સ્કૂલમાં સારા ગુણ પણ મેળવી રહ્યો છે. હાલ તે પોતાના વર્ગમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે ઓળખાય છે.ડોક્ટર અનુસાર, સામાન્ય રીતે લગભગ 5 ટકા બાળકોમાં એ.ડી.એચ.ડી.ના લક્ષણો જોવા મળતા હોય છે. જો બાળક સતત બેધ્યાન, અતિ ચંચળ અથવા શીખવામાં અસમર્થ લાગે તો વાલીઓએ વિલંબ કર્યા વગર મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. માતાનો અનુભવ: હવે ભવિષ્યની કોઈ ચિંતા નથીહેમાંગીબેન કહે છે કે, “સારવાર પહેલાં મારા બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યું હતું, આજે એ જ બાળક એકાગ્રતા સાથે ભણી શ્રેષ્ઠ વિદ્યાર્થીનું પ્રમાણપત્ર મેળવી રહ્યો છે. હવે અમને તેના ભવિષ્યની કોઈ ચિંતા રહી નથી.”તેમનો અનુભવ અન્ય માતા-પિતાને પણ સમયસર સારવાર કરાવવા પ્રોત્સાહન આપે છે. મોબાઈલની આદત બાળકો માટે ખતરનાકસિવિલ હોસ્પિટલના સાઇકિયાટ્રી વિભાગના ડો. કેનીલ જાગાણી જણાવે છે કે, બાળકોમાં એ.ડી.એચ.ડી. ઉપરાંત ઓટિઝમ, ઇન્ટેલેક્ટ્યુઅલ ડિસેબિલિટી જેવી માનસિક સમસ્યાઓ પણ જોવા મળે છે. બાળક શાંત રહે તે માટે વારંવાર મોબાઈલ આપવો તેની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે. નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા અને તેમની સાથે સમય વિતાવવો ખૂબ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય અંગે સમાજમાં જાગૃતિ જરૂરીડો. જાગાણી વધુમાં કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા જેવા રોગોથી પીડિત મોટા ઉંમરના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. લોકો સમાજના ડર વગર માનસિક બીમારીની સારવાર કરાવે તે ખૂબ જરૂરી છે. રાજકોટ સિવિલનો સાઇકિયાટ્રી વિભાગ: આશાનું કેન્દ્રઆજના સમયમાં જ્યાં માનસિક સમસ્યાઓ વધી રહી છે, ત્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલનો સાઇકિયાટ્રી વિભાગ બાળકો અને વયસ્કો બંને માટે ઉત્તમ અને અસરકારક સેવા આપી રહ્યો છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી માનસિક બીમારીને સંપૂર્ણપણે કાબૂમાં લઈ શકાય છે—માહિર તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. Previous Post Next Post