જસદણ-વિંછીયા પંથકમાં રૂ. 565 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત, ગ્રામ વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: મંત્રી કુંવરજી બાવળીયા

જસદણ-વિંછીયા પંથકમાં રૂ. 565 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત, ગ્રામ વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: મંત્રી કુંવરજી બાવળીયા

રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા વિસ્તારમાં વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. 565 લાખથી વધુના ખર્ચે અનેક વિકાસકામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

જસદણ તાલુકાના લીલાપુર ખાતે રૂ. 300 લાખના ખર્ચે લીલાપુર-કાળાસર નોન પ્લાન રોડના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂ. 43.27 લાખના ખર્ચે પશુ દવાખાનું અને વિંછીયા તાલુકાના હિંગોળગઢ સ્થિત અશ્વ સંવર્ધન કેન્દ્ર ખાતે રૂ. 225 લાખના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર સહિતના વિકાસકામોની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે શહેરો સાથે ગામોને પણ સારા ડામર રોડ દ્વારા જોડીને પરિવહન વ્યવસ્થા મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન છે. ગ્રામિણ વિસ્તારોમાં લોકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સુવિધા, પશુ દવાખાના, બસ સ્ટોપ, રોડ, કોઝવે અને પુલ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરકાર સતત પ્રયત્નશીલ છે.
 


મંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન જસદણ અને વિંછીયા પંથકમાં રૂ. 70 કરોડથી વધુના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રૂ. 43.27 લાખના ખર્ચે બનનારા પશુ દવાખાનાથી આસપાસના ગામોના પશુપાલકોને નજીકમાં જ સારવારની સુવિધા ઉપલબ્ધ થશે.

આ સાથે ગઢડીયા ગામે રૂ. 3 લાખના ખર્ચે કોઝવે બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ગ્રામજનોને વિશ્વાસ આપ્યો હતો કે ગ્રામિણ વિસ્તારોના વિકાસને રાજ્ય સરકાર હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રમકડાં બનાવવાનો ઉદ્યોગ સારી રીતે વિકસિત છે. તેથી યુવાનોને આધુનિક ટેક્નોલોજી સાથે કામ કરી શકે તે માટે ખાસ તાલીમ આપવામાં આવશે. આઈ.ટી.આઈ. દ્વારા વિવિધ સ્કિલ બેઝ્ડ કોર્સિસ ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં ડ્રોન ટેક્નોલોજી સહિતના કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો દ્વારા ગ્રામિણ વિસ્તારના યુવાનોને વધુ રોજગારની તક મળશે.

વિંછીયા તાલુકાના હિંગોળગઢ સ્થિત અશ્વ સંવર્ધન ફાર્મ ખાતે સ્ટાફ ક્વાર્ટર, ઇન્ટર્નલ સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, એન્ટ્રી ગેટથી 250 મીટરનો એપ્રોચ રોડ, વોટર સપ્લાય સિસ્ટમ અને ફર્નિચર સહિત કુલ રૂ. 225 લાખના ખર્ચે થનારા કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય ચંકિતભાઈ રામાણીએ પોતાના પ્રવચનમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના કાર્યકાળ દરમિયાન જસદણ અને વિંછીયા વિસ્તારમાં થયેલા વિકાસકામોની વિગતો આપી તેમની વિકાસલક્ષી દ્રષ્ટિને આવકાર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ છગનભાઈ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ગોંડલ સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર એમ. આઈ. જાડેજા, સેક્શનલ ઓફિસર મિરાજ સરધારા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
 

You may also like

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

સસ્તા ક્રૂડની આયાત પર સંકટ, રશિયાના ઓઈલ પર અમેરિકાના કડક વલણથી ભારતની મુશ્કેલીઓ વધી

સસ્તા ક્રૂડની આયાત પર સંકટ, રશિયાના ઓઈલ પર અમેરિકાના કડક વલણથી ભારતની મુશ્કેલીઓ વધી

વડોદરા-હાલોલ રોડ પર ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત

વડોદરા-હાલોલ રોડ પર ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત

ચોમાસુ હજુ વધુ 8 દિવસ બાદ મુંબઈ પહોંચશે, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આગામી બે દિવસ હળવા ઝાપટાંની શક્યતા

ચોમાસુ હજુ વધુ 8 દિવસ બાદ મુંબઈ પહોંચશે, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, આગામી બે દિવસ હળવા ઝાપટાંની શક્યતા