મનપાના આવાસ વિભાગનો સપાટો, રાજકોટમાં ગેરકાયદે કબ્જો જમાવનાર ૬ ફ્લેટ સીલ Sep 12, 2026 રાજકોટ,વિનોબાભાવે, મહારાણા પ્રતાપ અને જીજાબાઈ ટાઉનશીપમાં મૂળ માલિકને બદલે અન્ય લોકો રહેતા હતારાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગ દ્વારા શહેરમાં સરકારી આવાસ યોજનાના મકાનોમાં ચાલતી ગેરરીતિઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. મનપાની ખાસ ટીમે વિનોબાભાવે ટાઉનશીપ, મહારાણા પ્રતાપ ટાઉનશીપ અને જીજાબાઈ ટાઉનશીપમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઓચિંતી તપાસ દરમિયાન મ્યુનિસિપલ તંત્રને ચોંકાવનારી વિગતો મળી આવી હતી, જેના આધારે ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને બેઠેલા કુલ ૬ ફ્લેટને તાળા મારી દેવામાં આવ્યા છે.મનપાના આવાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા ટાઉનશીપમાં રૂબરૂ મુલાકાત લઈને દસ્તાવેજો અને પ્રત્યક્ષ સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે જે લાભાર્થીઓને ખરેખર મકાન ફાળવવામાં આવ્યા છે, તેઓ ત્યાં રહેતા નથી. તેના બદલે અન્ય અજાણ્યા કે ભાડુઆત જેવા વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે આ ફ્લેટોમાં વસવાટ કરી રહ્યા હતા. આ નિયમભંગ અને ગેરરીતિ સામે આવતા જ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ ૬ ફ્લેટોને સીલ કરી દેવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી.મનપાની આ અચાનક થયેલી કાર્યવાહીના કારણે સરકારી આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનારા કે ગેરકાયદે વેચી દેનારા કે કબ્જો સોંપી દેનારાઓમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારે અન્ય ટાઉનશીપોમાં પણ સઘન ચેકિંગની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી પાત્રતા ધરાવતા સાચા લાભાર્થીઓને જ આવાસનો લાભ મળે તે સુનિશ્ચિત થઈ શકે. Previous Post Next Post