રાજકોટના રામેશ્વર મંદિરમાં ચોરી કરનાર કુખ્યાત બેલડી ઝડપાઈ, પોલીસએ 53 હજારથી વધુનો મુદામાલ કર્યો કબ્જે Feb 07, 2026 રાજકોટ શહેરમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવી વારંવાર ચોરી કરતા એક કુખ્યાત બેલડીને ભક્તિનગર પોલીસે ઝડપી પાડી છે. ગઈકાલે પુનિતનગર વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી દાનપેટી ચોરીના કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી રોકડ સહિત કુલ રૂ.53,515નો મુદામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મંદિરની દાનપેટીમાંથી અજાણ્યા શખ્સોએ રોકડ રકમની ચોરી કરી છે. મંદિર પરિસરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા બે શખ્સો મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીમાંથી રકમ કાઢતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. આ ફૂટેજના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો ધનજી જેઠવા (ઉંમર 28 વર્ષ) અને ભરત પોપટ પરમાર (ઉંમર 23 વર્ષ) તરીકે થઈ હતી. બંનેને ઝડપી પાડી પુછપરછ કરવામાં આવતા તેમણે રામેશ્વર મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓની પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ સહિત કુલ રૂ.53,500થી વધુનો મુદામાલ રિકવર કર્યો હતો.એસીપી ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓ લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી મેહુલ ઉર્ફે ભૂરી વિરુદ્ધ અગાઉથી જ કુલ 30 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને તે ધાર્મિક સ્થળોને જ નિશાન બનાવી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. તે ચોરી દરમિયાન સોનાચાંદી કે અન્ય સામાનની બદલે માત્ર રોકડ રકમ જ ઉપાડી જતો હતો.જ્યારે આરોપી ભરત પોપટ પરમાર સામે પણ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. ભરત પરમાર ચોરી ઉપરાંત લૂંટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. પોલીસ રેકોર્ડ મુજબ, તે થોડા સમય અગાઉ જ પાસા હેઠળ જેલમાં બંધ હતો અને તાજેતરમાં જ મુક્ત થયો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી એક વખત મંદિર ચોરીના ગુનામાં સંડોવાઈ જતા તેને ફરી જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે.પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ નશાની લત ધરાવતા હોવાથી પૈસાની જરૂરિયાત માટે આવા ગુનાઓને અંજામ આપતા હતા. ખાસ કરીને ધાર્મિક સ્થળો પર ભક્તોની આસ્થા અને વિશ્વાસને ભંગ કરતી આવી ચોરીની ઘટનાઓ ગંભીર ગણાય છે. પોલીસે આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે શહેરના વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવાની પણ કાર્યવાહી શરૂ કરી છે.ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ બેલડી અન્ય કોઈ મંદિર અથવા ધાર્મિક સ્થળની ચોરીમાં સંડોવાયેલી છે કે નહીં. સીસીટીવી ફૂટેજ અને ગુનાહિત ઇતિહાસના આધારે વધુ કેસ ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે મંદિર જેવી પવિત્ર જગ્યાઓમાં આવી ઘટનાઓ થવી દુઃખદ છે અને આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસે પણ શહેરમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે પેટ્રોલિંગ અને દેખરેખ વધારવાની ખાતરી આપી છે. Previous Post Next Post