ગુજરાતમાં UGCના જાતિગત સમાનતાના કાયદાનો વિરોધ યથાવત: સૌરાષ્ટ્રના સવર્ણ સમાજના આગેવાનોની મિટિંગ Jan 29, 2026 ગુજરાતમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા રજૂ કરાયેલ જાતિગત સમાનતાના કાયદાના વિરોધમાં આજે રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી સવર્ણ સમાજના આગેવાનો એકઠા થયા અને વિશાળ બેઠક યોજી. આ બેઠકમાં કાયદાના પ્રાવધાનને કાળા કાયદા સમાન ગણાવી તેની વિરોધી રણનીતિ ઘડવાની ચર્ચા કરવામાં આવી. મિટિંગમાં દિનેશ બાંભણીયા, વરુણ પટેલ, મનોજ પનારા અને અન્ય અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી મિલન શુક્લાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો તે અમે આવકારીએ છીએ અને ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીએ છીએ. તેમણે કહ્યું કે, કાયદા ફરીથી ડ્રાફ્ટ કરવામાં આવ્યા છે તેથી જે વિરોધ અને લડત ચાલી રહી છે તે યોગ્ય છે. સવાલ એ છે કે, સમાજના દરેક વર્ગને સમાનતા મળે પરંતુ અમારી સંસ્કૃતિ અને સમાજના હિતોની સાથે અન્યાય ન થાય. તેમણે ઉમેર્યું કે, રાજકીય પક્ષો દ્વારા મનગડત કાયદાઓ દ્વારા સમાજમાં વર્ગ વિભાજન અને જુદા જુદા જ્ઞાતિના લોકો વચ્ચે ભેદભાવ ફેલાવવાનો પ્રયત્ન થતો રહ્યો છે, હવે આ પ્રવૃત્તિ પર રોક લગાવવામાં આવી છે.શ્રી મિલન શુક્લાએ UGCના કાયદાને કાળા કાયદા સમાન ગણાવતાં જણાવ્યું કે, કાયદા મુજબ સવર્ણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ વિરુદ્ધ SC, ST કે OBC વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ થાય તો સાત દિવસમાં રિઝલ્ટ જાહેર કરવો, 90 દિવસમાં ગુનો દાખલ કરવો, હૉસ્ટેલમાંથી બહાર કાઢવું અથવા કોલેજમાંથી દૂર કરવું જેવા કડક પ્રાવધાન છે. તેમણે કહ્યું કે, અમે કાયદાના વિરોધ માટે નથી, પરંતુ ખરેખર ખોટી ફરિયાદ કરવામાં આવે તો તેના વિરોધ માટે સ્પષ્ટ પ્રાવધાન હોવું જોઈએ.શ્રી શુક્લાએ વધુ સ્પષ્ટતા આપી કે, OBC વર્ગને આ કમિટીમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ OBC એ કોઈ ચોક્કસ જ્ઞાતિ નથી. સવર્ણોને ઉંચી જ્ઞાતિના વિદ્યાર્થીઓ તરીકે ટાર્ગેટ કરવું ન્યાયસંગત નથી. તેમણે જણાવ્યું કે, દેશના 28 રાજ્યોમાં આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં બ્રહ્મ સમાજ, કરણી સેના અને પાટીદાર સમાજના આગેવાનો સહમતી દર્શાવી આ કાયદાના વિરોધમાં એકત્ર થયા.તેમણે જણાવ્યું કે, આ કાયદાનો વિરોધ એ માટે નથી કે અન્ય કોઈને અધિકાર ન મળે, પરંતુ અમારા બાળકો સાથે કોઈ અન્યાય ન થાય. ભૂતકાળમાં ઘણા કાયદાઓથી સવર્ણો અન્યાય ભોગવ્યા છે, અને હવે આવી સ્થિતિ ન આવવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, SC અને ST માટે પહેલેથી જ એટ્રોસિટી એક્ટ અને સુરક્ષા પ્રાવધાન ઉપલબ્ધ છે. જ્યારે OBC એ આ પ્રકારની માંગણી ક્યારેય રજૂ કરી નથી, ત્યારે સરકાર દ્વારા અનધિકૃત રીતે નવો કાયદો લાવવા લાગ્યો છે, તે યોગ્ય નથી.શ્રી શુક્લાએ કહ્યું કે, UGCના કાયદાના અમલીકરણ માટે કઈ રીતે કમિટીઓ રચવામાં આવી રહી છે તે સ્પષ્ટ નથી. કાયદામાં સવર્ણોને સ્થાન આપવામાં આવ્યું નથી, જે પ્રશ્ન ઉઠાવે છે કે, શું કાયદો સમાનતાને ધ્યાનમાં રાખે છે? તેમને ઉમેર્યું કે, 52,000 યુનિવર્સિટીઓમાંથી માત્ર 273 કેસો નોંધાયા છે, જે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના કડક પગલાં લેવા માટે પૂરતા નથી.UGC કાયદાની વિરુદ્ધ મિટિંગમાં સતાવાર રીતે ચર્ચા કરવામાં આવી કે, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે કઈ રીતે કાર્યવાહી કરવી. બેઠકમાં સવર્ણો માટે ન્યાય અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે પગલાંની વ્યવસ્થા અંગે રણનીતિ ઘડાઈ. આમ, સરકાર અને યુનિવર્સિટી પર દબાણ જળવાઇ રહે અને કાયદાના અમલથી કોઇ વર્ગ અન્યાયનો ભોગ બનતો ન રહે, તે મુખ્ય ઉદ્દેશ છે. શ્રી શુક્લાએ અંતે સ્પષ્ટ કર્યું કે, તેઓ રસ્તા પર ઉત્રીને વિરોધ પ્રદર્શિત કરશે નહીં, પરંતુ લોકસભા અને વિધાનસભામાં મતથી કાયદાના વિરોધનો જવાબ આપવામાં આવશે. તેઓની દ્રષ્ટિમાં, કાયદાને સમાજના તમામ વર્ગો માટે ન્યાયસંગત અને સમાન રીતે લાગુ કરવું આવશ્યક છે.આ બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં સામાજિક નેતાઓ, શૈક્ષણિક પ્રતિનિધિઓ, સમાજના વર્ગ પ્રતિનિધિઓ અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તીઓ સામેલ રહ્યા. મિટિંગ બાદસૌરાષ્ટ્ર સંકલન સમિતિના માધ્યમથી આગળની કાર્યવાહી માટે આયોજન કરવામાં આવ્યું. Previous Post Next Post