સાસણગીરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વન વિભાગના 183 વાહનો ફ્લેગ ઓફ, પેટ્રોલિંગ-રેસ્કયુ સુવિધામાં વધારો થશે વનકર્મીઓ માટે લાભ Jan 29, 2026 ગુજરાતના વન્યજીવ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતા સાસણગીરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વન વિભાગ માટે ફાળવાયેલા 183 આધુનિક વાહનોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા હતા. આ વાહનો વનકર્મીઓ માટે પેટ્રોલિંગ, રેસ્ક્યુ, સંરક્ષણ અને રિહેબિલિટેશન જેવી કામગીરીને વધુ અસરકારક બનાવશે. ગુજરાત વનસંપદા અને વન્યજીવોની દૃષ્ટિએ સમૃદ્ધ રાજ્ય હોવાથી વન વિભાગની જવાબદારી વધુ વધી જાય છે, જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સતત સુવિધાઓ વધારવામાં આવી રહી છે.વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત કુલ 183 વાહનો ઉપલબ્ધ કરાવ્યા છે, જેમાં 174 ફિલ્ડ બાઈક, 6 બોલેરો કેમ્પર અને 3 મોડીફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સનો સમાવેશ થાય છે. આ તમામ વાહનો ખાસ કરીને ફોરેસ્ટ ફિલ્ડ સ્ટાફની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે, જેથી દુરદરાજના જંગલ વિસ્તારોમાં પણ ઝડપથી પહોંચીને ફરજ બજાવી શકાય. પેટ્રોલિંગ દરમિયાન વન્યજીવો પર નજર રાખવી, ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવી, ઈમરજન્સી સમયે ઘાયલ પ્રાણીઓનું રેસ્ક્યુ કરવું અને જરૂરી સ્થળે સમયસર મદદ પહોંચાડવી હવે વધુ સરળ બનશે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. ગીર અને બૃહદ ગીર ક્ષેત્ર માત્ર એશિયાઈ સિંહો માટે જ નહીં, પરંતુ સમગ્ર પર્યાવરણના સંતુલન માટે મહત્વપૂર્ણ છે. વનકર્મીઓ જમીન પર રહીને દિવસ-રાત ફરજ બજાવે છે અને તેમની સુરક્ષા તેમજ કાર્યક્ષમતા વધે તે માટે આવાં આધુનિક સાધનો અને વાહનો જરૂરી છે. આ નવા વાહનો ફાળવાતા વનકર્મીઓની કાર્યક્ષમતા વધશે અને વન્યજીવોના રક્ષણમાં વધુ મજબૂતી આવશે.ફ્લેગ ઓફ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીએ વહેલી સવારે ગીર ફોરેસ્ટમાં સિંહ દર્શન કરીને દિવસની શરૂઆત કરી હતી. શિયાળાની ઠંડી વચ્ચે કુદરતના સૌંદર્ય અને વન્યજીવોના સાનિધ્યમાં વિતાવેલો સમય તેમણે યાદગાર અનુભવ તરીકે વર્ણવ્યો હતો. ગીરના કુદરતી વાતાવરણ અને સિંહોની હાજરી ગુજરાતની ઓળખ અને ગૌરવ છે, તેવું તેમણે જણાવ્યું હતું.આ અવસરે મુખ્યમંત્રીએ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. અહીં રેસ્ક્યુ કરાયેલા ઘાયલ અથવા બીમાર વન્યજીવોની સારવાર, પુનઃસ્થીતિ અને સંરક્ષણ અંગે ચાલી રહેલી કામગીરીની માહિતી તેમણે મેળવી હતી. વન વિભાગ દ્વારા કરવામાં આવતી રેસ્ક્યુ અને રિહેબિલિટેશન કામગીરીને તેમણે બિરદાવી હતી અને આવનાર સમયમાં પણ સરકાર તરફથી જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી.આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડો. વિનોદ રાવ, અગ્રમુખ્ય વન સંરક્ષક ડો. જયપાલસિંહ સહિત વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવા વાહનોના કારણે ગીર, બૃહદ ગીર અને સમગ્ર લાયન લેન્ડસ્કેપમાં વનકર્મીઓ વધુ સક્ષમ બનશે. માત્ર સિંહો જ નહીં, પરંતુ અન્ય વન્યજીવોના રક્ષણ, જંગલ આગ પર નિયંત્રણ, માનવ-વન્યજીવ સંઘર્ષની સ્થિતિમાં ઝડપી કાર્યવાહી અને ઇમરજન્સી સેવાઓ માટે પણ આ વાહનો ઉપયોગી સાબિત થશે.વન વિભાગના કર્મચારીઓ માટે આ વાહનો માત્ર સુવિધા નહીં, પરંતુ તેમની ફરજ દરમિયાન વિશ્વસનીય સાથી બનશે. રાજ્ય સરકારના આ પ્રયાસથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાત વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંવર્ધનના ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. સાસણગીરમાં યોજાયેલ આ કાર્યક્રમ વનકર્મીઓના મનોબળને વધારનાર અને ગુજરાતના વન્યજીવ સંરક્ષણ માટે નવી ઊર્જા પૂરું પાડનાર સાબિત થશે. Previous Post Next Post