પોલીસની દોડ પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી જતા લાગી આવ્યું, રાજકોટની યુવતીએ ગળેફાંસો ખાધો " Feb 11, 2026 ગુજરાત પોલીસમાં PSI અને લોક રક્ષક દળ (LRD) ભરતી માટે રાજ્યભરમાં શારીરિક કસોટીઓ ચાલી રહી છે. આવી જ પરીક્ષા દરમિયાન નિષ્ફળતા મળતાં રાજકોટની 19 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી હોવાની કરુણ ઘટના સામે આવી છે. ઘટનાથી પરિવાર તેમજ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.માહિતી મુજબ, રાજકોટ શહેરની લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતી અંજુમ અજીતખાન પઠાણ (ઉં.વ.19)એ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટના અંગે જાણ થતાં થોરાળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પરિવારજનોના જણાવ્યા મુજબ, અંજુમ પોતાના રૂમમાં હતી. ઘરે રહેલા માસીને કોઈ કામ હોવાથી તેમણે અંજુમને અવાજ આપ્યો, પરંતુ દરવાજો ખૂલ્યો નહીં. શંકા થતાં જારીમાંથી અંદર નજર કરતાં યુવતી પંખા સાથે દુપટ્ટા વડે લટકતી હાલતમાં દેખાઈ આવી હતી. પરિવારજનોએ તરત દરવાજો તોડી 108 ઇમર્જન્સી સેવા બોલાવી હતી. તબીબોએ તપાસ કર્યા બાદ યુવતીને મૃત જાહેર કરી હતી.પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવતી અપરણિત હતી અને PSI ભરતી માટે તૈયારી કરી રહી હતી. ગત 2 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે યોજાયેલી ગ્રાઉન્ડ પરીક્ષામાં તેણે દોડ કસોટી આપી હતી.મળતી વિગતો મુજબ, અંજુમ દોડ પરીક્ષામાં નિર્ધારિત સમય કરતાં આશરે દોઢ મિનિટ પાછળ રહી ગઈ હતી. આ કારણે તે કસોટીમાં નિષ્ફળ રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી પરીક્ષામાં નાપાસ થવાને કારણે માનસિક રીતે હતાશ થઈ ગઈ હોવાની શક્યતા છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન અને અન્ય તપાસની પ્રક્રિયા ચાલુ છે.અંજુમ હાલ પી.જી.વી.સી.એલ.માં કસ્ટમર કેર વિભાગમાં નોકરી કરતી હતી. સાથે સાથે તે પોલીસ ભરતી માટે મહેનતપૂર્વક તૈયારી પણ કરી રહી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે તે અભ્યાસુ અને મહેનતુ સ્વભાવની હતી. ભરતી પ્રક્રિયા અંગે તે ગંભીર હતી અને પોલીસમાં જોડાવું તેનું સપનું હતું.આ ઘટનાએ ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાઓને લઈને યુવાનોમાં વધતા દબાણ અને માનસિક તણાવ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. શારીરિક કસોટી કે લેખિત પરીક્ષા દરમિયાન નિષ્ફળતા આવવી એ અંતિમ નથી, પરંતુ ઘણીવાર યુવાનો નિષ્ફળતાને અંતિમ માની લેતા હોય છે. નિષ્ણાતોના મતે, આવા સમયમાં પરિવાર અને મિત્રોની સાથે સાથે માનસિક માર્ગદર્શન ખૂબ જ જરૂરી બને છે.પોલીસે જણાવ્યું છે કે હાલમાં બનાવને લઈને તમામ પાસાં પરથી તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનો આઘાતમાં હોવાથી વધુ વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ સ્પષ્ટ થશે.સમાજના તમામ વર્ગો માટે આ ઘટના ચેતવણીરૂપ છે કે નિષ્ફળતા જીવનનો અંત નથી. સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સફળતા મેળવવા અનેક પ્રયાસો કરવાની જરૂર પડે છે. એક પરીક્ષામાં નાપાસ થવું જીવનની અંતિમ સીમા નથી.જો તમે અથવા તમારા ઓળખીતામાં કોઈ માનસિક તણાવ, નિરાશા અથવા નકારાત્મક વિચારોનો સામનો કરી રહ્યા હોય, તો એકલા ન રહો. સહાય ઉપલબ્ધ છે. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ગોપનીય કાઉન્સેલિંગ આપવામાં આવે છે. યોગ્ય સમયે મદદ લેવી એ જ હિંમતનું સાચું પગલું છે. જીવન અમૂલ્ય છે અને દરેક સમસ્યાનો ઉકેલ શક્ય છે. Previous Post Next Post