શાળા સલામતી સપ્તાહ – 2026 : વિદ્યાર્થીઓમાં આપાતકાલીન સજ્જતાનું સશક્ત અભિયાન Jan 28, 2026 રાજ્યના બાળકોને આપાતકાલીન પરિસ્થિતિઓ સામે સજ્જ બનાવવા અને તેમની સલામતી અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા તા. 27 જાન્યુઆરી 2026થી ‘શાળા સલામતી સપ્તાહ – 2026’ની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના સ્ટાફને કુદરતી તથા માનવસર્જિત આપત્તિઓ દરમિયાન કેવી રીતે સુરક્ષિત રહેવું, તાત્કાલિક પ્રતિભાવ આપવો અને જીવ બચાવવાની તકનીકો શીખવવાનો છે.શાળા સલામતી સપ્તાહ – 2026 અંતર્ગત રાજકોટ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત આયોજન હેઠળ મહીકા પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રીશ્રીના ઓનલાઈન સંબોધનનું પ્રસારણ શાળામાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા મહેમાનોએ નિહાળ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં શાળા સલામતીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, “આજના બાળકો આવતીકાલના નાગરિક છે. જો તેમને શાળા જીવનથી જ આપાતકાલીન પરિસ્થિતિઓ સામે તૈયાર કરવામાં આવશે તો તેઓ પોતાનું તેમજ અન્યનું જીવન બચાવવા સક્ષમ બનશે.” તેમણે આ પ્રકારના કાર્યક્રમોને રાજ્યના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.મહીકા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ મેગા ઇવેન્ટ દરમિયાન SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમ દ્વારા શોધ અને બચાવ (Search & Rescue) અંગે જીવંત નિદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ધરતીકંપ, પૂર, આગ જેવી આપત્તિઓ સમયે શું કરવું અને શું ન કરવું તેની વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી. સાથે જ CPR (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) જેવી જીવનરક્ષક પ્રક્રિયાની તાલીમ પણ આપવામાં આવી હતી, જે આપાતકાલીન સમયે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.આ કાર્યક્રમનો લાભ મહીકા પ્રાથમિક શાળાના આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો. તાલીમ દરમિયાન બાળકોને રમૂજી અને સહેલાઈથી સમજાય તે રીતે સલામતીના પાઠ શીખવવામાં આવ્યા હતા, જેથી તેઓ ડર્યા વગર યોગ્ય પ્રતિભાવ આપી શકે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને રસ જોવા મળ્યો હતો, અને તેમણે પ્રશ્નો પુછીને વધુ માહિતી મેળવી હતી.કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તાલુકા મામલતદારશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો, BRC કો-ઓર્ડિનેટર, SDRF ટીમના સભ્યો તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તમામ અધિકારીઓ અને મહેમાનોએ શાળા સલામતી સપ્તાહ જેવી પહેલને વખાણી અને તેને સતત આગળ વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ તા. 27/01/2026થી રાજ્યભરમાં શાળા સલામતી સપ્તાહ – 2026ની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા કુલ 70 શાળાઓમાં મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન, સલામતીના નિયમો અને તાત્કાલિક પ્રતિભાવ અંગે તાલીમ આપવામાં આવી રહી છે.શાળા સલામતી સપ્તાહ –2026 માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ બાળકોમાં સલામતી સંસ્કૃતિ વિકસાવવાનું એક મહત્વપૂર્ણ અભિયાન છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સમજદારીપૂર્વક નિર્ણય લઈ શકે તેવું શિક્ષણ મળે છે. રાજ્ય સરકારની આ પહેલ ભવિષ્યમાં અનેક જીવન બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. Previous Post Next Post