Gallantry Awards 2026: શુભાંશુ શુક્લાને અશોક ચક્ર, 70 સશસ્ત્ર જવાનોને વીરતા પુરસ્કારોની જાહેરાત Jan 26, 2026 77મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સશસ્ત્ર દળોના બહાદુર જવાનો માટે ગૌરવભર્યો ક્ષણ સર્જાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સશસ્ત્ર દળોના કુલ 70 જવાનોને વિવિધ વીરતા અને વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે. આ વર્ષે શાંતિ સમયના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને દેશના બીજા અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ગયા વર્ષે જૂનમાં એક્સિયમ-4 મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની 18 દિવસની ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ મિશન ભારતની ગગનયાન મહત્વાકાંક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું છે. અંતરિક્ષ ક્ષેત્રે તેમની અપ્રતિમ સેવા અને સાહસને ધ્યાને લઈ તેમને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવશે. કુલ 70 પુરસ્કારોની જાહેરાતરાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા 70 પુરસ્કારોમાં 1 અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર (જેમાં એક મરણોત્તર), એક બાર ટુ સેના મેડલ (વીરતા), 44 સેના મેડલ (જેમાં પાંચ મરણોત્તર), 6 નૌસેના મેડલ અને 2 વાયુસેના મેડલનો સમાવેશ થાય છે. આ તમામ પુરસ્કારો આતંકવાદ વિરોધી કામગીરી, સરહદી સુરક્ષા, ઉગ્રવાદ સામેની લડાઈ અને અન્ય જોખમી મિશનો દરમિયાન અદમ્ય સાહસ દર્શાવનાર જવાનોને આપવામાં આવી રહ્યા છે. કીર્તિ ચક્રથી સન્માનિત જવાનોકીર્તિ ચક્ર વિજેતાઓમાં મેજર અર્શદીપ સિંહ, નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બા અને વાયુસેનાના ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરનો સમાવેશ થાય છે. મેજર અર્શદીપ સિંહે ભારત-મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદીઓ સામેની કામગીરી દરમિયાન અદભુત બહાદુરી દાખવી હતી, જ્યારે નાયબ સુબેદાર સુબ્બાએ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જંગલોમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શૌર્ય ચક્ર મેળવનાર બહાદુર હસ્તીઓઆ વર્ષે 13 જવાનોને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવશે. તેમાં આર્મીના વિશેષ દળો, આસામ રાઇફલ્સ, રાષ્ટ્રીય રાઇફલ્સ તેમજ નૌકાદળ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓનો સમાવેશ થાય છે. નૌકાદળની મહિલા અધિકારીઓ લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એને INSV તારિણી દ્વારા 50,000 કિલોમીટરની સમુદ્રી પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણ માટે પણ પ્રેરણારૂપ છે. સેના મેડલ અને બાર ટુ સેના મેડલબાર ટુ સેના મેડલ (વીરતા) લાન્સ હવિલદાર સત્ય પાલ સિંહને આપવામાં આવશે. સાથે સાથે 44 સેના મેડલ (ગૌરવ) દ્વારા અનેક અધિકારીઓ અને જવાનોને તેમની વિશિષ્ટ સેવા અને સાહસ બદલ સન્માનિત કરવામાં આવશે. તેમાં કર્નલ, લેફ્ટનન્ટ કર્નલ, મેજર અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. દેશ માટે ગૌરવનો પ્રસંગગેલેન્ટ્રી એવોર્ડ્સ 2026 દેશના સશસ્ત્ર દળોના જવાનોની નિષ્ઠા, સાહસ અને બલિદાનને સમર્પિત છે. આ પુરસ્કારો માત્ર વ્યક્તિગત સન્માન નથી, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવનો વિષય છે. આવા બહાદુર જવાનોની સેવા અને સમર્પણને કારણે દેશની સરહદો અને આંતરિક સુરક્ષા મજબૂત બની છે.આ જાહેરાત સાથે સમગ્ર દેશે પોતાના વીર જવાનોને સલામ કરી, તેમના સાહસને નમન કર્યું છે. Previous Post Next Post