રાજકોટમાંથી બ્રેઇન ડેડ દર્દીનાં ધબકતા હૃદયને અમદાવાદ મોકલવામાં આવ્યું છે,જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અન્ય વ્યક્તિની જિંદગી ફરીથી ઘબકશે.

રાજકોટમાંથી બ્રેઇન ડેડ દર્દીનાં ધબકતા હૃદયને અમદાવાદ મોકલવામાં આવ્યું છે,જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અન્ય વ્યક્તિની જિંદગી ફરીથી ઘબકશે.

રાજકોટમાંથી માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. બ્રેઇન ડેડ જાહેર થયેલા યુવાનના ધબકતા હૃદયને અમદાવાદ મોકલવામાં આવ્યું છે, જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અન્ય દર્દીની જિંદગી ફરીથી ધબકશે. દુઃખની આ ઘડીમાં પણ પરિવારજનો દ્વારા લેવામાં આવેલ અંગદાનનો મહાન નિર્ણય અનેક જીવનમાં નવી આશા જગાવનાર બન્યો છે.
 

અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર થયા જયેશભાઈ ગોંડલિયા

રાજકોટ પંથકના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના નિવાસી 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાને 18 ડિસેમ્બર 2025ના રોજ થયેલા અકસ્માત બાદ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેમની સ્થિતિ સતત ગંભીર બનતી ગઈ અને અંતે ડોક્ટરો દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
 


દુઃખમાં પણ પરિવારનો મહાન નિર્ણય: અંગદાન

આ અતિ દુઃખદ પરિસ્થિતિમાં પણ જયેશભાઈના પરિવારે અસાધારણ હિંમત અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમની ધર્મપત્ની ભાવનાબેન, પુત્ર નિર્ભય, પુત્રી માહી, પિતાશ્રી મનસુખભાઈ, માતાશ્રી લાભુબેન તેમજ ભાઈઓ અરવિંદભાઈ અને પ્રવીણભાઈએ હૃદય, બે કિડની, લીવર અને આંખનું દાન કરવાનો નિર્ણય લીધો.

પરિવારના આ નિર્ણયમાં સગા સંબંધીઓ અને મિત્રો દિપેશભાઈ રાજ્યગુરુ, ગોકુલેશભાઈ ગોંડલિયા, મનીષભાઈ ગજેરા, નવનીતભાઈ ભુવા, સંદીપભાઈ ઉંધાડ, સંજયભાઈ ચોવટીયા, સ્નેહલભાઈ ભટ્ટ સહિત સૌએ કપરી ઘડીએ પરિવારની સાથે ઉભા રહી સહયોગ આપ્યો.
 

અમદાવાદમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, રાજકોટમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ

જયેશભાઈનું ધબકતું હૃદય અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે, જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક ગંભીર દર્દીને નવું જીવન મળશે. જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટની બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલની ટીમ દ્વારા કરવામાં આવ્યું અને આંખનું દાન પણ કરવામાં આવ્યું છે.
 

ડોક્ટરો અને ટીમનું મહત્વપૂર્ણ યોગદાન

બ્રેઇન ડેડ ડિક્લેરેશન માટે અનિકેત ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમ અને ન્યુરો ફિઝિશિયન ડૉ. કૌમિલ કોઠારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

સમગ્ર અંગદાન પ્રક્રિયા નેફ્રોલોજિસ્ટ ડૉ. દિવ્યેશ વિરોજા અને તેમની ટીમ – ડૉ. શક્તિસિંહ ઝાલા, ડૉ. આનંદ, ડૉ. ધીરજ તથા બી. ટી. સવાણી હોસ્પિટલની ICU ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.

હૃદય માટે સીમ્સ હોસ્પિટલ, લીવર માટે ઝાયડસ હોસ્પિટલ અને ચક્ષુદાન માટે ડૉ. હેમલ કણસાગરાની ટીમે કામગીરી સંભાળી હતી. સર્જિકલ ટીમમાં ડૉ. પંકજ ઢોલરીયા, ડૉ. સુનિલ મોટેરીયા, ડૉ. અમિષ મેહતા, ડૉ. સાહિલ ખાંટ અને એનેસ્થેસિયા નિષ્ણાત ડૉ. પ્રતિક બુદ્ધદેવે મહત્વનું યોગદાન આપ્યું.
 

રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનું 121મું અંગદાન

આ સમગ્ર પ્રક્રિયાનું સંકલન બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર ડૉ. અમિત ગોહેલ, COO ડૉ. વિશાલ ભટ્ટ અને CAO શ્રી રશ્મિનભાઈ ગોર દ્વારા કરવામાં આવ્યું.

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના માર્ગદર્શક શ્રી દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આ 121મું અંગદાન અને હૃદયનું 7મું અંગદાન નોંધાયું છે. આ પ્રક્રિયામાં ડૉ. દિવ્યેશ વિરોજા, શ્રી હર્ષિતભાઈ કાવર, ડૉ. સંકલ્પ વણઝારા, ભાવનાબેન મંડલી, નીતિનભાઈ ઘાટલીયા, મનસુખભાઈ તલસાણીયા સહિતની ટીમ ખડેપગે રહી હતી.
 


દુઃખમાંથી જન્મેલી માનવતાની ઉજાસ

એક ખેડૂતના અકાળ અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો છે, પરંતુ પરિવારના આ સંવેદનશીલ અને મહાન નિર્ણયથી અનેક અજાણ્યા પરિવારોના જીવનમાં ખુશીના દીવા પ્રગટ્યા છે.
જયેશભાઈ ગોંડલિયા આજે ભલે આપણા વચ્ચે નથી, પરંતુ તેમના અંગદાન દ્વારા તેઓ અનેક જીવનમાં સદાય જીવંત રહેશે.


 

You may also like

IPL 2026માં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો ધમાકો: સૌથી ઝડપી 500 રન સાથે બે મોટા રેકોર્ડ પોતાના નામે

IPL 2026માં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો ધમાકો: સૌથી ઝડપી 500 રન સાથે બે મોટા રેકોર્ડ પોતાના નામે

રાજકોટની 112 વર્ષ જૂની ‘શ્રી સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમ’ હવે મોરબીમાં, સ્વાદપ્રેમીઓમાં ઉત્સાહ

રાજકોટની 112 વર્ષ જૂની ‘શ્રી સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમ’ હવે મોરબીમાં, સ્વાદપ્રેમીઓમાં ઉત્સાહ

રાજકોટમાં બપોરે 40 ડિગ્રી સાથે તાપમાનનો કહેર, 14 કિ.મી.ની ઝડપે ફૂંકાતી લૂથી જનજીવન પ્રભાવિત

રાજકોટમાં બપોરે 40 ડિગ્રી સાથે તાપમાનનો કહેર, 14 કિ.મી.ની ઝડપે ફૂંકાતી લૂથી જનજીવન પ્રભાવિત

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ