ગોંડલમાં કરૂણ ઘટના: નિષ્ઠુર માતાએ અધૂરા માસે જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ પ્લાસ્ટિકની થેલીમાં કચરામાં ફેંકી દીધો Nov 13, 2025 ગોંડલ શહેરમાંથી માનવતાને શરમાવે તેવી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના સ્મશાન રોડ પર આવેલા પુલ નજીકના કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.બુધવારે કચરો વીણતા એક યુવાને કચરામાં પડેલી પ્લાસ્ટિકની થેલી જોયી, જેમાંથી દુર્ગંધ આવતી હતી. શંકા જતા તેણે થેલી ખોલી, તો અંદર એક નવજાત શિશુનો મૃતદેહ હતો. આ દ્રશ્ય જોઈ યુવાન સ્તબ્ધ થઈ ગયો અને તરત જ આસપાસના લોકોને જાણ કરી. થોડા સમયમાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો.પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મૃત શિશુ સાત માસનો અધૂરા માસે જન્મેલો ભ્રૂણ હતો. આશંકા વ્યક્ત થઈ રહી છે કે કોઈ સ્ત્રીએ ગર્ભપાત બાદ બાળકના મૃતદેહને છુપાવવા માટે કચરામાં ફેંકી દીધો હશે.આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર શહેરમાં માનવતા પર પ્રશ્નો ઊભા થયા છે. લોકો આ દયાવિહીન કૃત્યને લઈને ગુસ્સે છે અને દોષિત માતા-પિતાને કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.હાલ ગોંડલ પોલીસ દ્વારા મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આસપાસના હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં તાજેતરમાં ગર્ભપાત કરાવનાર સ્ત્રીઓની માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.આ ઘટના ફરી એક વાર સમાજને ચેતવણી આપે છે કે અણધાર્યા સંબંધો અને અજાણતા ગર્ભથી ઉપજતી બેદરકારી ક્યારેક જીવલેણ સાબિત થાય છે. Previous Post Next Post