જામનગરમાં હેલ્થ કૌભાંડનો પર્દાફાશ: 53 દર્દીઓ પર બિનજરૂરી કાર્ડિયાક પ્રોસીજર, 105 કેસમાં ગેરરીતિ બહાર, ડૉક્ટર સસ્પેન્ડ Nov 13, 2025 જામનગરના આરોગ્ય ક્ષેત્રમાં એક ગંભીર ગેરરીતિ બહાર આવી છે. JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં જરૂર ન હોવા છતાં 53 દર્દીઓ પર કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. કુલ 105 કેસમાં ગેરરીતિ જણાતાં આરોગ્ય વિભાગે હોસ્પિટલને 'પી.એમ.જે.એ.વાય.-મા' યોજનામાંથી સસ્પેન્ડ કરી 6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હોસ્પિટલ દ્વારા કેટલાક લેબોરેટરી અને ECG રિપોર્ટમાં ખોટા આંકડા દાખલ કરી દર્દીઓને બિનજરૂરી કાર્ડિયાક પ્રોસીજર માટે દાખલ કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાએ કરાયેલી તપાસમાં કુલ 262 કેસમાંથી 53 કેસ બિનજરૂરી હોવાનું સ્પષ્ટ થયું હતું.આ કેસમાં સંડોવાયેલા ડૉ. પાર્શ્વ વ્હોરા (G-28538)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ કરાયેલી 'મા-યોજના' જેવી સરકારી આરોગ્ય યોજનાઓમાં ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારીને ક્યારેય સહન કરવામાં નહીં આવે.સાથે જ પાલનપુરની સદભાવના હોસ્પિટલ અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલ સામે પણ કાર્યવાહી થઈ છે. પાલનપુરમાં એમ્પેનલ્ડ ડૉક્ટર વિના સર્જરી કરાઈ હતી, જ્યારે જૂનાગઢમાં વધુ પેકેજની લાલચે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. બંનેને 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે.આ ઘટનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રમાં પારદર્શિતા જાળવવા અને યોજનાઓનો દુરુપયોગ અટકાવવા માટે કડક પગલાં લેવા પ્રતિબદ્ધ છે. Previous Post Next Post