બીલીમોરામાં જલારામ બાપાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ : ભક્તિ અને સેવા ભાવનાનું પ્રતિક Nov 12, 2025 બીલીમોરા શહેરમાં ભક્તિ અને માનવસેવાની ભાવનાને અવિરત રીતે જીવંત રાખવા માટે જય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. દાતા માતૃ વાલીબેન તેજાભાઈ પટેલ પરિવારની ઉદાર દાનશીલતાથી દેસરા તળાવ નજીકના ત્રણ રસ્તા પર રૂ. 5.70 લાખના ખર્ચે 16 ફૂટ ગોળાકાર ફાઉન્ડેશન ઉપર 5 ફૂટ ઊંચી આરસપહાણની પૂ. જલારામ બાપાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.કારતક સુદ સાતમના પાવન દિવસે, એટલે કે બુધવારે સવારે આ પ્રતિમાનું વિધિવત્ અનાવરણ કરવામાં આવ્યું હતું. 13.5 ફૂટ ઊંચા ફાઉન્ડેશન પર સ્થપાયેલ બાપાની આ પૂર્ણકદ પ્રતિમા ભારતીય સંસ્કૃતિની ઝાંખી આપે છે અને લોકોને સેવા, સંસ્કાર અને માનવતાનું પ્રેરણાસ્ત્રોત બની રહેશે.ટ્રસ્ટના જણાવ્યા મુજબ, આ નવું જલારામ સર્કલ દેસરા તળાવ વિસ્તારનું સૌંદર્ય વધારશે અને આ વિસ્તાર હવે સ્થાનિક પ્રવાસનનું નવું કેન્દ્ર બનશે. સાથે જ ટ્રાફિક આઇલેન્ડના નિર્માણથી ત્રણ રસ્તા પર અકસ્માતની શક્યતા પણ ઘટી ગઈ છે.સર્કલમાં બાપા જલારામની સાથે રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે, જે સતત આશીર્વાદ વરસાવતા દેખાય છે. વાહનચાલકો અને રાહદારીઓ માટે આ સ્થળ ધાર્મિક શાંતિ અને પ્રેરણાનો કેન્દ્ર બની ગયું છે.આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ મગન પટેલ, બીલીમોરા પાલિકા પ્રમુખ મનીષ પટેલ, તેમજ અન્ય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાતા વાલીબેન તેજાભાઈ પટેલ પરિવારનો આ અવસરે સન્માન કરવામાં આવ્યું હતું.બીલીમોરાની આ નવી જલારામ પ્રતિમા હવે માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક નહીં, પરંતુ શહેરની માનવતા અને સંસ્કારની ઓળખ બની રહી છે. Previous Post Next Post