Search

Gujrat

India

Gujrat

Gujrat

India

Rajkot

Gujrat

India

India

India

Surat

Gujrat

Rajkot

Rajkot

Rajkot

World

Gandhinagar

India

Rajkot

India

Live News

રાજકોટમાં જન્માષ્ટમીના ખાનગી મેળા માટે મનપા ત્રણ પ્લોટ ભાડે આપશે

રાજકોટ,

 નાનામૌવા સર્કલ, સાધુવાસવાણી રોડ અને અમીન માર્ગ કોર્નર પરના પ્લોટ કરાશે ફાળવવામાંશહેરમાં આગામી જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ નિમિત્તે શહેરીજનો મનોરંજન માણી શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાનગી મેળાના આયોજન માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા શહેરના ત્રણ મહત્વના અને વ્યસ્ત વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટ મેળાના હેતુ માટે ભાડે આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ, મનપા દ્વારા નાનામૌવા સર્કલ પાસે, સાધુવાસવાણી રોડ પર તેમજ અમીન માર્ગ કોર્નર પર આવેલા પ્લોટ મેળાના આયોજન માટે ફાળવવામાં આવશે. આ ત્રણેય સ્થળોએ મેળો યોજવાથી નાગરિકો સરળતાથી પહોંચી શકશે અને તહેવારની ઉજવણીનો આનંદ માણી શકશે.

 

આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી મેળાના આયોજન માટે તંત્ર દ્વારા કવાયત શરૂ

આ મેળાના આયોજન માટે મનપાના સબંધિત વિભાગ દ્વારા પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં જ આ ત્રણેય પ્લોટ ભાડે આપવા માટે સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા પ્રસિદ્ધ કરવામાં આવશે, ત્યારબાદ નિયમોનુસાર યોગ્ય આયોજકને પ્લોટની ફાળવણી કરવામાં આવશે. તંત્રની આ કવાયતથી જન્માષ્ટમીના પર્વ પર શહેરમાં મેળાઓ જામશે અને વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળશે.

Read More

શ્રીકાંત શિંદેને કેબિનેટમાં સ્થાન મળવાની અટકળો તેજ

નવી દિલ્હી

દિલ્હી તાબડતોબ પહોંચેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠકનો દૌર

કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત મોટા ફેરફારો અને વિસ્તરણની ચર્ચાઓએ દેશના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આગામી શિક્ષણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની ધુરા હવે કોણ સંભાળશે અને દેશના નવા શિક્ષણ મંત્રી કોણ બનશે?

શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ચર્ચાઓ પાછળ ભાજપ હાઈકમાન્ડની રણનીતિ હોવાનું મનાઈ રહ્યું છે. પાર્ટી તેમને સંગઠનમાં કોઈ મોટી અને મહત્ત્વની રાષ્ટ્રીય જવાબદારી સોંપવાના મૂડમાં હોવાની ચર્ચા છે.

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણના સંકેતો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અચાનક દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે હાઈ-લેવલ બેઠક યોજી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાંથી કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ વધારવા અને આગામી રાજકીય સમીકરણો તથા સંગઠનાત્મક સંતુલન જાળવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ રહી હોવાનું મનાય છે.

એકનાથ શિંદેની શિવસેના તરફથી કલ્યાણના સાંસદ અને મુખ્યમંત્રીના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેવી પ્રબળ શક્યતા છે. જો શિવસેનાના યુવા ચહેરા એવા શ્રીકાંત શિંદેને કેન્દ્રમાં સ્થાન મળે, તો તેનાથી મહારાષ્ટ્રમાં ગઠબંધન વધુ મજબૂત બનશે અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન મળશે.

આગામી સમયમાં કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ અને સંગઠનને વધુ ધારદાર બનાવવાની રણનીતિના ભાગરૂપે આ ફેરફારો અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કેટલાક મંત્રીઓની કામગીરી અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રાલયોની ફેરફાર અને ખાતાવહીમાં મોટા નિર્ણયો જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Read More

હેડિંગસૌરાષ્ટ્રના ૩૪ ડેમોમાં નવા નીર, ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો: ૫૯ દરવાજા ખોલાયા

ભાવનગર,

રાજકોટના આજી-2 ઓવર ફલો થતાં 6 દરવાજા ખોલાયાચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી તરસી રહેલી નદીઓ અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ ૩૪ જેટલા ડેમોમાં નવા પાણીની આવક થઈ છે, જેનાથી સમગ્ર પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.મહત્વની અપડેટ મુજબ, ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથક તથા સમગ્ર વિસ્તાર માટે જીવાદોરી સમાન ગણાતો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં બીજી વખત પૂર્ણ સપાટીએ ભરાઈને ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં આવેલા અમરેલી અને ધારી વિસ્તારમાં પડેલા સાર્વત્રિક તથા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની વિપુલ આવક સતત ચાલુ રહી છે.

ડેમની જળસપાટી પર નિયંત્રણ મેળવવા અને 'રૂલ લેવલ' જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. આ અંતર્ગત શેત્રુંજી ડેમના તમામ ૫૯ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેના દ્વારા અંદાજે ૯,૪૪૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાજા તાલુકાના ૧૨ અને પાલીતાણા તાલુકાના ૫ સહિત કુલ ૧૭ જેટલા નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ પશુઓને કિનારે ન લઈ જવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.

બીજી તરફ, રાજકોટ પંથકમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસતા શહેરનો આજી-2 ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. પાણીની આવક વધતાં આજી-2 ડેમના ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને પગલે પડધરી તાલુકાના ૧૦ જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રભરમાં જળાશયો છલકાવાના આ સમાચારથી ખેડૂત વર્ગમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને પીવાના તેમજ સિંચાઈના પાણીની ચિંતાઓ દૂર થઈ છે.

Read More

ગુજરાતમાં વરસાદી તાંડવ: પૂરથી 56નાં મોત, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ યથાવત

ગુજરાતના 255 માંથી 253 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12.25 ઈંચ જ્યારે પાટણના રાધનપુરમાં 9.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે એક જ દિવસમાં 30736 સ્થળાંતર જ્યારે 3 હજારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ આવતીકાલે 7 જિલ્લામાં રેડ જ્યારે 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદના કારણે લોકલ નદીઓ બે કાંઠે થતાં નીચાણવાળા સોસાયટીઓ અને ગામડાંઓમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના લીધે મોટી જાનહાનિ નોંધાઈ છે. મળતી તાજી સત્તાવાર વિગતો મુજબ, રાજ્યમાં વરસાદી આફત અને પૂરના લીધે અત્યાર સુધીમાં કુલ 56 લોકોના મોત નીપજ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે માત્ર છેલ્લા ચાર દિવસના ગાળામાં એટલે કે 21 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન જ રાજ્યભરમાં 31 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા 31 મોતમાંથી મોટાભાગની જાનહાનિ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી અને આસપાસના વિસ્તારોમાં થઈ છે. અહીં પૂર્ણા, કાવેરી, અંબિકા અને ઓરંગા નદીઓમાં આવેલા ઘોડાપૂરમાં અનેક લોકો તણાઈ ગયા હતા, તો કેટલાંક સ્થળોએ વીજળી પડવાથી તથા કાચાં મકાનો-દિવાલો ધરાશાયી થવાથી લોકો કાળનો કોળિયો બન્યા હતા.આ અગાઉ જ્યારે સુરત શહેર અને જિલ્લામાં મુસળધાર વરસાદ સાથે પૂરની ગંભીર કટોકટી સર્જાઈ હતી, ત્યારે જળબંબાકારના કારણે 25 લોકોના અકાળે મોત નીપજ્યા હતા. આમ, અગાઉના 25 અને આ ચાર દિવસમાં નોંધાયેલા 31 મળીને રાજ્યનો કુલ વરસાદી મૃત્યુઆંક 56 પર પહોંચ્યો છે. પૂર પીડિતો માટે કેશડોલ્સ અને મૃતકોના પરિવારજનોને સરકારી નિયમોનુસાર તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

કયા તાલુકામાં વધારે વરસાદ?

  1. સાંતલપુર (પાટણ) - 12.25 ઈંચ
  2. રાધનપુર (પાટણ) - 9.50 ઈંચ
  3. ભાભર (વાવ થરાદ) - 7.15 ઈંચ
  4. દાંતીવાડા (બનાસકાંઠા) - 7.00 ઈંચ
  5. દિયોદર (વાવ-થરાદ) - 6.75 ઈંચ
  6. મહેમદાવાદ (ખેડા) - 6.70 ઈંચ
  7. થાનગઢ (સુરેન્દ્રનગર) - 6.50 ઈંચ
  8. વાંકાનેર (મોરબી) - 6.50 ઈંચ
  9. નડિયાદ (ખેડા) - 5.50 ઈંચ
  10. ધનસુરા (અરવલ્લી) - 4.50 ઈંચ
  11. ખેરાલુ (મહેસાણા) - 4.50 ઈંચ
  12. હડાદ (બનાસકાંઠા) - 4.50 ઈંચ
  13. આગથળા (બનાસકાંઠા) - 4.50 ઈંચ
  14. દહેગામ (ગાંધીનગર) - 4.25 ઈંચ
  15. વિરપુર (મહીસાગર) - 4.00 ઈંચ

પાણીમાં ફસાયેલા હજારો લોકોનું રેસ્ક્યુ

છેલ્લા 24 કલાકમાં વલસાડમાંથી સૌથી વધુ 14083, નવસારીમાંથી 12367, સુરતમાંથી 2810, અમદાવાદમાંથી 417 લોકો પાણીમાં ફસાયેલા હોવાથી અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. એક દિવસમાં વલસાડમાંથી 2665 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું. 1 જૂન 2026 થી 23 જુલાઈ 2026 દરમિયાન રાજ્યના 40665 વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે જ્યારે 6766નું રેસ્ક્યુ કરાયું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું વધારે પ્રભુત્વ રહ્યું હતું. પાટણના સાંતલપુરમાં 12.25 ઈંચ, પાટણના રાધનપુરમાં 9.50, વાવ-થરાદમાં 7.15 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

જનજીવન ખોરંભે, 1200થી વધુ રોડ બંધ

ભારે વરસાદને પગલે હાલ રાજ્યના 1204 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં વલસાડ જિલ્લાના સૌથી વધુ 461 રોડનો સમાવેશ થાય છે. હાલ જે રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે તેમાં 30 સ્ટેટ હાઈવે, 1119 પંચાયત માર્ગ, ચાર નેશનલ હાઈવે, 3 NHAI જ્યારે 48 અન્ય માર્ગનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો નવસારીમાં 248, સુરતમાં 244, તાપીમાં 190, ડાંગમાં 19, સુરેન્દ્રનગરમાં 11, અમદાવાદના 8 હાઈવેનો સમાવેશ થાય છે.

વીજળી-પાણી સંકટ

વરસાદથી 4095 ગામડામાં અંધારપટ છવાયો હતો. આ પૈકી 3762 ગામડામાં વીજપુરવઠો પૂર્વવત થયો છે અને 333માં હજુ અંધારપટ છે. 8207 ફીડર્સ, 7882 પોલ્સ અને 409 ટ્રાન્સફોર્મેશન સેન્ટરને ભારે વરસાદથી નુકસાન થયેલું છે.

ડેમ અને જળસ્તર

ગુજરાતના મોટાભાગના સ્થળે વરસાદને પગલે જળસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. હાલ 10 જળાશયો છલોછલ છે જ્યારે 15 જળાશયો હાઈએલર્ટ હેઠળ છે. ગુજરાતના 207 જળાશયોમાં હાલ સરેરાશ 52.72 ટકા જળસ્તર છે. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી પાંચ જ્યારે સૌરાષ્ટ્રમાંથી પાંચ એમ 10 જળાશયો સંપૂર્ણ 100 ટકા ભરાયા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 39.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 23.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 44.80 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.72 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.63 ટકા જળસ્તર છે. રાજ્યના 24 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 22 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા, 50 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે જ્યારે 100 જળાશયમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 68.33 ટકા જળસ્તર છે.

ક્યાં કેવું એલર્ટ

રેડ એલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર.

ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ

Read More

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પી.એમ.ને રાજીનામુ મોકલી આપ્યું

કોક્રોચ પાર્ટીમાં જશ્નનો માહોલ, અંતે "ધર્મેન્દ્ર" હવે "પ્રધાન" ન રહ્યાનીટ પેપરલીક મામલે સમગ્ર દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન બાદ આખરે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે બપોરે 2 વાગ્યા પછી રાજીનામું આપ્યું છે. છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા.ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં શું લખ્યું?

પોતાના અધિકૃત પત્રમાં દેશના યુવાનોને સંબોધતા ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી છાત્રો, શિક્ષકો અને શિક્ષણ સુધાર માટે સમર્પિત રહ્યો છું. દેશના યુવાનોની આકાંક્ષાઓ અને ન્યાયી અપેક્ષાઓનું હું ઊંડું સન્માન કરું છું. 3 મે 2026ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા જ સરકારે તુરંત તપાસ સીબીઆઈને સોંપી હતી. પરંતુ છેલ્લા 10 દિવસના ઘટનાક્રમથી મારું મન અત્યંત વ્યથિત થયું છે.જંતર-મંતર પર અને દેશમાં જે સ્થિતિ બની છે, તેનો 'રાષ્ટ્ર વિરોધી તાકાતો' લાભ ના ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ના અટવાય અને આપણા બાળકો અભ્યાસ તથા કરિયર પર ધ્યાન આપી શકે, તે માટે મેં મારું ત્યાગપત્ર વડાપ્રધાનને મોકલી આપ્યું છે. પ્રથમ દિવસથી જ મેં આ સમગ્ર મામલે જવાબદારી લીધી હતી અને ક્યારેય આ પરિસ્થિતિથી મોં ફેરવ્યું નથી. મારો એ જ સંકલ્પ હતો કે આપણે પરીક્ષા માફિયાઓને કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા દઈશું નહીં.

આંદોલનની ૩ મુખ્ય માંગણીઓ જે સરકારે સ્વીકારી

દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા એક મહિનાથીnઆક્રોશિત વિદ્યાર્થીઓ કેમ્પિંગ કરી રહ્યા હતા. શુક્રવારે સરકારે વિદ્યાર્થીઓની બે માંગણીઓ સ્વીકારી લીધી હતી, પરંતુ રાજીનામા અંગે મૌન સેવ્યું હતું. શિક્ષણ મંત્રીના રાજીનામા સાથે જ વિદ્યાર્થીઓની તમામ ૩ મુખ્ય માંગણીઓ પૂરી થઈ ગઈ છે જેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં. NEET પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર.

જંતર-મંતર પર ઉજવણી: અમે કરી બતાવ્યું

શિક્ષણ મંત્રીના રાજીનામાના સમાચાર મળતાં જ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને સમગ્ર વાતાવરણ 'વિદ્યાર્થી એકતા ઝિંદાબાદ' ના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. જંતર-મંતરના સ્ટેજ પરથી જાહેરાત કરતાં અભિજીત દીપકે કહ્યું, "લોકો કહેતા હતા કે આ સરકારમાં કોઈ રાજીનામું આપતું નથી. પરંતુ અમે આ કરી બતાવ્યું છે. વિદ્યાર્થી શક્તિનો વિજય થયો છે." CJP ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ "Long Live Student Power" ની પોસ્ટ મૂકવામાં આવી હતી.

Read More

સ્વાસ્થ્ય "સંપતિ" સંવર્ધન માટે "હેલ્થ ટાઈમ્સ"નો પ્રારંભ

રાજકોટ,અગ્રણી તબીબો, આરોગ્ય સંસ્થાઓની ઉપસ્થિતિમાં પ્રથમ અંકનું વિમોચનછેલ્લા આઠ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વસનીય, તટસ્થ અને સકારાત્મક પત્રકારત્વની ઓળખ ઉભી કરનાર 'સંપત્તિ ટાઈમ્સ' પાક્ષિક દ્વારા હવે સમાજના સર્વાંગી વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાન તરીકે 'હેલ્થ ટાઈમ્સ' સપ્લીમેન્ટરી આવૃત્તિનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું છે. તબીબી જ્ઞાન, વૈજ્ઞાનિક માહિતી અને જનજાગૃતિ વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ રચવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલા આ નવા પ્રકાશનના પ્રથમ અંકનું રાજકોટમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.

વિમોચન સમારોહમાં RBA પ્રમુખ પરેશ ગજેરા, IMA રાજકોટ પ્રમુખ ડૉ. તેજસ કરમટા, IMA રાજકોટ સેક્રેટરી ડૉ. બીરજુ મોરી, Federation of AYUSH Doctors Rajkotના પ્રમુખ ડૉ. એમ.વી. વેકરીયા, IFS Gujarat State Head ડૉ. સંજય દેસાઈ, 'હેલ્થ ટાઈમ્સ'ના Managing Editor ડૉ. પ્રતીક્ષા દેસાઈ, 'સંપત્તિ ટાઈમ્સ'ના Editor પ્રવીણ શીંગાળા, રાજેશ દત્તાણી ઉપરાંત પ્રશાંત પંડયા સહિતના મહાનુભાવો, રાજકોટના અગ્રણી તબીબો, વિવિધ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ હેલ્થ ટાઈમ્સને આરોગ્ય ક્ષેત્રમાં સમયોચિત અને સમાજલક્ષી પહેલ ગણાવી તેને શુભકામનાઓ પાઠવી હતી.ડૉ. સંજય દેસાઈ અને ડૉ. પ્રતીક્ષા દેસાઈના માર્ગદર્શન હેઠળ  'હેલ્થ ટાઈમ્સ'નો પ્રારંભ'સંપત્તિ ટાઈમ્સ'એ અત્યાર સુધી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડર્સ, ડેવલપર્સ, પ્રોફેશનલ્સ અને ગ્રાહકો વચ્ચે વિશ્વસનીય માહિતી અને સકારાત્મક સંવાદનું મંચ ઊભું કર્યું છે. એ જ વિશ્વાસને હવે આરોગ્ય ક્ષેત્ર સુધી વિસ્તૃત કરવાનો સંકલ્પ હેલ્થ ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રકાશનનો હેતુ માત્ર આરોગ્ય સંબંધિત સમાચાર આપવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિક સુધી નિષ્ણાત ડૉક્ટર્સનું વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત માર્ગદર્શન સરળ ભાષામાં પહોંચાડવાનો છે.

સંપત્તિ ટાઈમ્સ પાક્ષિકની સપ્લીમેન્ટરી પ્રકાશન તરીકે 'હેલ્થ ટાઈમ્સ'ની આ પહેલમાં રાજકોટના જાણીતા તબીબી નિષ્ણાત ડૉ. પ્રતીક્ષા દેસાઈ Managing Editor તરીકે અને ડૉ. સંજય દેસાઈના માર્ગદર્શન સાથે સમગ્ર સામગ્રીને વૈજ્ઞાનિક પ્રમાણિકતા અને સરળ રજૂઆત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંપત્તિ ટાઈમ્સના તંત્રી પ્રવીણ શીંગાળાના પત્રકારત્વનો અનુભવ અને તબીબી નિષ્ણાતોના જ્ઞાનનો આ સમન્વય હેલ્થ ટાઈમ્સને અન્ય આરોગ્યલક્ષી પ્રકાશનોથી અલગ ઓળખ આપશે.હેલ્થ ટાઈમ્સ માં શું જાણવા મળશે? 

હેલ્થ ટાઈમ્સમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર, જીવનશૈલી, મહિલા અને બાળ આરોગ્ય, વડીલોની સંભાળ, આયુર્વેદ, એલોપેથી, માનસિક સ્વાસ્થ્ય, પોષણ, ઋતુચર્ય, નવી સારવાર પદ્ધતિઓ, આરોગ્યલક્ષી સરકારી યોજનાઓ, હોસ્પિટલ અને તબીબી ક્ષેત્રની નવી પહેલો સહિતના વિષયો પર નિષ્ણાતોના લેખો અને માર્ગદર્શન નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવશે.અગ્રણીઓના મંતવ્યોપરેશ ગજેરા (RBA પ્રમુખ)"'સંપત્તિ ટાઈમ્સ'એ જેમ વિશ્વાસનું પ્લેટફોર્મ ઊભું કર્યું છે, તેમ 'હેલ્થ ટાઈમ્સ' પણ આરોગ્ય ક્ષેત્રમાં ડૉક્ટર્સ અને સમાજ વચ્ચે વિશ્વાસનો સેતુ બની નવી ઓળખ સ્થાપિત કરશે."

ડૉ. તેજસ કરમટા (પ્રમુખ, IMA રાજકોટ)"સોશિયલ મીડિયાના યુગમાં વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત આરોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવા માટે 'હેલ્થ ટાઈમ્સ' જેવી પહેલ સમયની જરૂરિયાત છે."

ડૉ. બીરજુ મોરી (સેક્રેટરી, IMA રાજકોટ)"નિવારક આરોગ્ય, જનજાગૃતિ અને ડૉક્ટર્સ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવામાં 'હેલ્થ ટાઈમ્સ' અસરકારક માધ્યમ બનશે."

ડૉ. એમ.વી. વેકરીયા (પ્રમુખ, Federation of AYUSH Doctors Rajkot)"આયુષ અને આધુનિક ચિકિત્સા સહિત તમામ સારવાર પદ્ધતિઓ અંગે સંતુલિત અને વિશ્વસનીય માહિતી આપવાનો પ્રયાસ પ્રશંસનીય છે."

ડૉ. સંજય દેસાઈ (IFS Gujarat State Head)"નિષ્ણાતોના જ્ઞાનને સરળ ભાષામાં સમાજ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ આરોગ્ય જાગૃતિ માટે એક સકારાત્મક અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ છે."

ડૉ. પ્રતીક્ષા દેસાઈ (Managing Editor, હેલ્થ ટાઈમ્સ)"'હેલ્થ ઇઝ વેલ્થ'ના વિચારને સાકાર કરતાં હેલ્થ ટાઈમ્સ લોકો સુધી ઓથેન્ટિક, વૈજ્ઞાનિક અને વિશ્વસનીય આરોગ્ય માર્ગદર્શન પહોંચાડશે."

પ્રવીણ શીંગાળા (Editor, સંપત્તિ ટાઈમ્સ)"'સંપત્તિ' પછી હવે 'સ્વાસ્થ્ય' ક્ષેત્રમાં પણ વિશ્વાસનું મંચ ઊભું કરવાનો અમારો સંકલ્પ છે, જે સમાજ માટે ઉપયોગી સાબિત થશે."

રાજેશ દત્તાણી"હેલ્થ ટાઈમ્સ માત્ર પ્રકાશન નહીં, પરંતુ આરોગ્ય જાગૃતિનું લોકાભિમુખ અભિયાન છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે."

Read More

મેં એક બિલાડી પાળી છે..., તો હવે રજીસ્ટ્રેશન ફરજિયાત!

અમદાવાદ,અમદાવાદમાં બિલાડી પાળતા લોકોને હવે AMCમાં ફરજિયાત કરવું પડશે રજીસ્ટ્રેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલતુ પ્રાણીઓના નિયમોને લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી પાલતુ શ્વાન માટે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હતું, પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરી બિલાડી પાળતા નાગરિકોને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે. જો તમે પણ ઘરમાં બિલાડી પાળી રહ્યા હોવ, તો હવે તમારે નિયમોનું પાલન કરવું પડશે, અન્યથા દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

AMCના આ નવા નિર્ણય મુજબ, શહેરના જે લોકો ઘરે બિલાડી પાળે છે, તેમણે હવે ફરજિયાતપણે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કોર્પોરેશન દ્વારા પાલતુ પ્રાણીઓ પર દેખરેખ રાખવા અને તેની વસ્તી તેમજ રસીકરણ અંગેની માહિતી મેળવવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. જે નાગરિકો આ નિયમનું પાલન નહીં કરે, તેમને તંત્ર દ્વારા કરવામાં આવતી ચેકિંગની કાર્યવાહી દરમિયાન દંડ ભરવો પડી શકે છે.

અગાઉ AMC માત્ર પાલતુ કૂતરાઓના રજીસ્ટ્રેશન માટે આગ્રહ રાખતું હતું, પરંતુ વધતા જતા પાલતુ બિલાડીઓના પ્રમાણને ધ્યાનમાં રાખીને તંત્રએ હવે આ મર્યાદા વધારી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારમાં પાલતુ પ્રાણીઓની સંખ્યાનું સચોટ ડેટાબેઝ તૈયાર કરવાનો અને જાહેર આરોગ્યને લગતી જવાબદારીઓ સુનિશ્ચિત કરવાનો છે. બિલાડી પાળતા માલિકોને વહેલી તકે AMCની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે.

Read More

પી.એમ. મોદીના આગમન પૂર્વે 57 ટકા નિકાસને ટેરિફ મુક્તિની ન્યૂઝીલેન્ડની જાહેરાત

નવી દિલ્હી,પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર હેઠળ નિકાસને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દેશોના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં હવે ન્યુઝીલેન્ડની મુલાકાત પર વિશ્વભરની નજર છે. પીએમ મોદી ન્યુઝીલેન્ડ પહોંચે તે પહેલા જ ત્યાંના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જતી એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ નિર્ણય બંને રાષ્ટ્રો વચ્ચેની ગાઢ આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા તરફનું એક મક્કમ પગલું માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મહત્વની માહિતી શેર કરતા પીએમ ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું કે, ભારત સાથેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર અમલમાં આવતાની સાથે જ ન્યુઝીલેન્ડની ૫૭ ટકા નિકાસને આયાત શુલ્ક (ટેરિફ) માંથી મુક્તિ આપવામાં આવશે. આ પગલાથી ન્યુઝીલેન્ડના વ્યવસાયો માટે ભારતીય બજારમાં નવી તકોના દરવાજા ખુલશે. કરારના પ્રથમ દિવસથી જ અડધાથી વધુ નિકાસ થતી પ્રોડક્ટ્સ ટેરિફ-મુક્ત થવાથી નિકાસકારોનો ખર્ચ ઘટશે, જેના પરિણામે ન્યુઝીલેન્ડના ઉત્પાદનો ભારત જેવા વિશાળ બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે.વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન વેપાર, ઉર્જા અને રણનીતિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પીએમ લક્સનની આ જાહેરાત સ્પષ્ટ કરે છે કે ન્યુઝીલેન્ડ ભારત સાથેના સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ મુક્ત વેપાર કરાર બંને દેશોના વેપારી સમુદાય માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને લાંબા ગાળે આર્થિક સંબંધોને વધુ ગતિશીલ બનાવશે. પીએમ મોદીના આગમન પૂર્વે લેવાયેલ આ નિર્ણયે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ઉત્સાહનું વાતાવરણ ઊભું કર્યું છે.

Read More