Search

Gujrat

Rajkot

Lifestyle

Business

India

Ahmedabad

India

Gandhinagar

India

India

Rajkot

Gujrat

Ahmedabad

Gujrat

Dharm Dharshan

Cricket

India

Gujrat

Rashifal

Rajkot

Live News

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રાજ્યમાં શિયાળાની ઠંડી બાદ આજે ઘણા અંશે રાહત અનુભવાઈ હતી, પરંતુ આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરીથી ફરી એકવાર ઠંડીનો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલના જણાવ્યા મુજબ 14થી 16 જાન્યુઆરી દરમિયાન ન્યુનતમ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાશે અને અનેક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે સરકી શકે છે. 

રાજ્યમાં તાપમાનની હાલની સ્થિતિ

અશોકભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં નોર્મલ ન્યુનતમ તાપમાન 12થી 13 ડિગ્રી જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 10થી 11 ડિગ્રી ગણાય છે. 12 જાન્યુઆરી સુધી તાપમાન નોર્મલ કરતાં નીચું રહેવાની આગાહી અનુસાર ગઇકાલ સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

રાજકોટ, અમરેલી અને ભુજ જેવા શહેરોમાં ન્યુનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયું હતું. જોકે 13 જાન્યુઆરીથી તાપમાનમાં થોડી રાહત જોવા મળી છે. 

શહેરવાર ન્યુનતમ તાપમાન

  • રાજકોટ : 11.1 ડિગ્રી (નોર્મલ કરતાં 1.7 ડિગ્રી ઓછું)
  • અમદાવાદ : 16 ડિગ્રી (નોર્મલ કરતાં 3.7 ડિગ્રી વધુ)
  • વડોદરા : 15 ડિગ્રી (1.9 ડિગ્રી વધુ)
  • ભુજ : 11 ડિગ્રી (0.4 ડિગ્રી ઓછું)
  • ડિસા : 12.3 ડિગ્રી (2.3 ડિગ્રી વધુ)
  • અમરેલી : 12.4 ડિગ્રી (1 ડિગ્રી વધુ) 

14થી 16 જાન્યુઆરી : ફરી ઠંડીનો દોર

આગાહીમાં જણાવ્યા મુજબ 14થી 16 જાન્યુઆરી દરમિયાન ન્યુનતમ તાપમાનમાં ફરી ઘટાડો થશે. કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં પણ નીચું અને 10 ડિગ્રીથી ઓછું રહેવાની સંભાવના છે. બુધથી શુક્ર દરમિયાન રાજ્યના અનેક સેન્ટરોમાં કડક ઠંડી અનુભવાશે. 

17 જાન્યુઆરીથી મળશે રાહત

17 જાન્યુઆરી બાદ ઠંડીમાં ધીમે ધીમે રાહત મળશે. ન્યુનતમ તાપમાન ફરી નોર્મલ સ્તરે આવશે અને શિયાળાનો તીવ્ર પ્રભાવ ઘટશે. 17થી 20 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતમાં જોવા મળશે. 

ઝાકળવર્ષાની શક્યતા 

15થી 17 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઝાકળવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ખેતી અને વાતાવરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

ઉત્તરાયણ માટે પવન અનુકૂળ

ઉત્તરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ પવન ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં 7થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.15 જાન્યુઆરીએ પવનની ઝડપ 8થી 20 કિ.મી. પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

આથી ઉત્તરાયણના પતંગપર્વ દરમિયાન નોર્મલ પવનના કારણે પતંગરસિયાઓને પૂરતો આનંદ માણવા મળશે. 

ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષાની શક્યતા

17થી 20 જાન્યુઆરી દરમિયાન સર્જાનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીરથી લઈ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં હળવો-મધ્યમ બરફવર્ષા થવાની શક્યતા છે.

Read More

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની બીજી મેચ આવતીકાલે 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. પ્રથમ વન-ડેમાં વડોદરામાં ભારતની ભવ્ય જીત બાદ ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યારે કિવી ટીમ શ્રેણીમાં બરાબરી કરવા મેદાનમાં ઉતરશે. 

ન્યૂઝીલેન્ડ ટીમની નેટ પ્રેક્ટિસ

મેચ પૂર્વે આજે બપોરે 1.30 વાગ્યે ન્યૂઝીલેન્ડ ટીમે નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. કેપ્ટન માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, કાઇલ જેમીસન સહિતના ખેલાડીઓએ પરસેવો પાડ્યો હતો. કિવી ટીમ માટે રાજકોટનું મેદાન નવું હોવાથી તેઓ પરિસ્થિતિને સમજવામાં ખાસ ધ્યાન આપી રહ્યા છે. 

ટીમ ઈન્ડિયા સાંજે નેટમાં ઉતરશે

ટીમ ઈન્ડિયા આજે સાંજે 5.30 વાગ્યે નેટ પ્રેક્ટિસ કરશે. કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા સહિતના ખેલાડીઓ મેદાનમાં દેખાશે. 

પંત અને વોશિંગટન સુંદર બહાર

ઈજાને કારણે રિષભ પંત બાદ વોશિંગટન સુંદર પણ રાજકોટની મેચમાં નહીં રમે. પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જુરેલે તાજેતરમાં રાજકોટમાં યોજાયેલી વિજય હઝારે ટ્રોફીમાં 7 મેચમાં 558 રન સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

બેટિંગ પિચ, રનનો વરસાદ શક્ય

નિરંજન શાહ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અત્યાર સુધી અહીં રમાયેલી મેચોમાં મોટા સ્કોર જોવા મળ્યા છે. આવતીકાલની મેચમાં પણ રનફેસ્ટ થવાની પૂરી શક્યતા છે. 

રોહિત-કોહલી માટે છેલ્લી વન-ડે?

ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે રાજકોટની મેચ સંભવિત અંતિમ વન-ડે બની શકે છે. આ કારણે ચાહકોમાં મેચને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

રાજકોટમાં વન-ડેનો ઇતિહાસ

નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી 4 વન-ડે મેચ રમાઈ છે.

  • ભારતે માત્ર 1 મેચમાં જીત મેળવી
  • 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો

કુલ મળીને અહીં 13 ઇન્ટરનેશનલ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટેસ્ટ, T20 અને વન-ડેનો સમાવેશ થાય છે. 

ન્યૂઝીલેન્ડ પહેલીવાર રાજકોટમાં વન-ડે રમશે

ન્યૂઝીલેન્ડ ટીમ માટે રાજકોટમાં આ પહેલી વન-ડે મેચ છે, જ્યારે ભારતના 8 ખેલાડીઓ અગાઉ અહીં રમવાનો અનુભવ ધરાવે છે. 

ખેલાડીઓનું ભવ્ય સ્વાગત

સોમવારે રાજકોટ પહોંચેલી ટીમ ઈન્ડિયાનું પરંપરાગત ઢોલ-નગારાં અને રાસ-ગરબા સાથે સ્વાગત કરાયું હતું. હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.

Read More

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

કડકડતી ઠંડી અને શીતલહેર દરમિયાન લોકો સામાન્ય રીતે તરસ ઓછી લાગતી હોવાથી પાણી ઓછું પીવે છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઈ શકે છે. તબીબોના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં ઓછું પાણી પીવાથી હૃદય પર વધારાનું ભારણ પડે છે અને બ્લડપ્રેસર તેમજ હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. 

❖ શિયાળામાં કેમ વધે છે બ્લડપ્રેસર?

દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના અધ્યક્ષ ડો. સંજીવ નારંગના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં શરીરની ધમનીઓ સંકોચાઈ જાય છે. આ કારણે લોહીનું દબાણ વધે છે. જો પાણીનું સેવન ઓછું થાય તો લોહી વધુ ઘાટું બને છે, જેનાથી બ્લડપ્રેસર અને લોહીના થક્કા (ક્લોટ) બનવાનો જોખમ વધી જાય છે. 

❖ ઓપીડીમાં વધી રહ્યા છે બ્લડપ્રેસરના દર્દીઓ

ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલમાં ઓપીડીમાં એવા ઘણા દર્દીઓ આવી રહ્યા છે જેમનું બ્લડપ્રેસર અગાઉ નિયંત્રણમાં હતું, પરંતુ શિયાળાની ઋતુમાં અચાનક વધી ગયું છે. કેટલાક દર્દીઓમાં પગમાં સોજા આવવાના કેસ પણ નોંધાયા છે. 

❖ હાર્ટ એટેક અને શ્વાસની બીમારીનો વધતો ખતરો

પાણી ઓછું પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધે છે. સાથે જ ઠંડી હવા સીધી શ્વાસ દ્વારા શરીરમાં જવાથી શ્વાસની નળી સંકોચાઈ જાય છે, જેના કારણે શ્વાસની તકલીફ, દમ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ વધી રહી છે, તેમ ડો. સંજીવ સિંહાએ ચેતવણી આપી છે. 

❖ ન્યુમોનિયાના કેસોમાં વધારો

શિયાળાની ઋતુમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ન્યુમોનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે. ઠંડીને હળવાશથી લેવી નહીં, એવી ડોક્ટરોની સલાહ છે. 

❖ ડોક્ટરોની મહત્વની સલાહ

  • સપ્તાહમાં ઓછામાં ઓછું બે વાર બ્લડપ્રેસર ચેક કરવું
  • શક્ય હોય તો ઘરમાં બ્લડપ્રેસર મશીન રાખવું
  • પૂરતું પાણી પીવું, તરસ ન લાગે તો પણ
  • ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓએ વધુ ઠંડીમાં સવાર-સાંજ ફરવાનું ટાળવું 

❖ બાળકો અને વૃદ્ધો માટે ખાસ કાળજી

  • વૃદ્ધોએ ન્યુમોનિયાની રસી લેવવી
  • બાળકોને 3-4 ગરમ કપડાં પહેરાવવાં
  • નવજાત બાળકનું ખાસ ધ્યાન રાખવું
  • માથું, કાન અને ગળું ઢાંકીને રાખવું
  • યોગ્ય અને પોષણયુક્ત આહાર લેવો

શિયાળાની ઋતુમાં તરસ ઓછી લાગતી હોવા છતાં પૂરતું પાણી પીવું, નિયમિત તપાસ કરવી અને ઠંડીથી બચાવના પગલાં લેવાં અત્યંત જરૂરી છે. નાની લાપરવાહી પણ ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે.

Read More

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

મુંબઇ શેરબજારમાં એક દિવસની તેજી બાદ આજે ફરી એકવાર ભારે અફડાતફડી વચ્ચે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેકસમાં ઇન્ટ્રા-ડે 400 પોઇન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો અને અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. મોટા ભાગના શેરોમાં ગભરાટભરી વેચવાલી જોવા મળતાં રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

શરૂઆતમાં બજાર સ્થિર ટોન સાથે ખુલ્યું હતું, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર ઇરાન સાથે વેપાર કરવા બદલ વધુ 25 ટકા ટેરીફ લાદવાની ધમકી ઉચ્ચારતા જ બજારનું મનોબળ નબળું પડી ગયું હતું. આ નિવેદન બાદ શેરબજારમાં વેચવાલીનો દબાણ વધી ગયો અને માર્કેટ રેડ ઝોનમાં ઉતરી ગયું હતું.

ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગેની સકારાત્મક અપેક્ષાઓ પણ આજના સત્રમાં ધૂંધળી પડતી જોવા મળી હતી. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમેરિકાના સતત બદલાતા વ્યાપાર નીતિ સંબંધિત પગલાં અને ટેરીફ વોરનું ચિત્ર જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી બજારમાં આવો ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે.

આજના સત્ર દરમિયાન મન્નાપુરમ ફાયનાન્સ, ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી, એન્જલ-વન, એચડીએફસી બેન્ક, બીએસઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, નેલ્કો, વેદાંતા અને સ્ટેટ બેન્ક જેવા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ડિક્સન ટેકનોલોજી, ટ્રેન્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, આઇએસબી એગ્રો, વોડાફોન આઇડિયા અને લાર્સન એન્ડ ટુબ્રો જેવા શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

દિવસના અંતે મુંબઇ શેરબજારનો સેન્સેકસ 236 પોઇન્ટના ઘટાડા સાથે 83,641 પર બંધ થયો હતો. સેન્સેકસે દિવસ દરમિયાન 84,258નું ઊંચું સ્તર અને 83,262નું નીચું સ્તર નોંધાવ્યું હતું. જ્યારે નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 25,730 પર બંધ રહ્યો હતો. નિફ્ટીનું દિવસનું ઊંચું સ્તર 25,899 અને નીચું સ્તર 25,630 રહ્યું હતું.

વિશ્લેષકોના મતે, વૈશ્વિક સ્તરે રાજકીય અને વેપાર સંબંધિત અનિશ્ચિતતા યથાવત રહેતાં ટૂંકા ગાળામાં શેરબજારમાં ચેતનાવાળી અને અસ્થિર ચાલ જોવા મળી શકે છે.

Read More

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ભારતમાં હેચબેક કાર સેગમેન્ટ ફરી એકવાર ઉછાળો લેતું નજરે પડી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં SUV અને કોમ્પેક્ટ કારોના વધતા પ્રભાવે પાછળ ધકેલાયેલું નાની કારોનું બજાર હવે GSTમાં થયેલા ઘટાડા બાદ ફરી સજીવ બનતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને એન્ટ્રી-લેવલ અને મિની કાર સેગમેન્ટમાં ગ્રાહકોની રસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ભારતીય ઓટોમોબાઇલ બજાર માટે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.

કોવિડ બાદના સમયગાળામાં હેચબેક કારોની માંગમાં ઘટાડો થયો હતો, પરંતુ સરકાર દ્વારા નાની કારો પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતા આ સેગમેન્ટને મોટી રાહત મળી છે. GSTમાં ઘટાડા પછી કાર ઉત્પાદક કંપનીઓએ ભાવ ઘટાડ્યા, જેના પરિણામે પ્રથમ વખત કાર ખરીદનારા ગ્રાહકો માટે હેચબેક કાર વધુ સસ્તી અને આકર્ષક બની છે. ખાસ કરીને ટુ-વ્હીલર ઉપયોગકર્તાઓ હવે સીધા સ્મોલ કાર તરફ અપગ્રેડ કરતાં જોવા મળી રહ્યા છે.

ઓટોમોટિવ કન્સલ્ટન્સી ફર્મ જાટો ડાયનેમિક્સના આંકડાઓ મુજબ, 2025ના છેલ્લાં ત્રિમાસિક ગાળામાં મારુતિ સુઝુકી અલ્ટો, એસ-પ્રેસો, સેલેરિયો, વેગન-આર, ટાટા અલ્ટ્રોઝ અને હ્યુન્ડાઇ i20 જેવી હેચબેક કારોના વેચાણમાં અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં આશરે 20 ટકાનો વધારો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં માત્ર મારુતિ સુઝુકીની મિની કારોના વેચાણમાં જ 91.8 ટકાનો ઉછાળો આવ્યો છે, જે આ સેગમેન્ટમાં વધી રહેલી માંગ દર્શાવે છે.

ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન પેસેન્જર વાહનોના કુલ વેચાણમાં હેચબેકનો હિસ્સો વધીને 24.4 ટકા થયો છે, જે વર્ષના પહેલાં નવ મહિનાના 23.5 ટકાની સરખામણીમાં વધુ છે. જો કે મહામારી પહેલાં આ હિસ્સો લગભગ 50 ટકા જેટલો હતો, પરંતુ હાલનો વધારો બજારમાં હેચબેક સેગમેન્ટ માટે હકારાત્મક સંકેત ગણાય છે.

મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર પાર્થી બેનર્જીના જણાવ્યા અનુસાર, GST ઘટાડા પછી એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે જણાવ્યું કે, GST ઘટાડા બાદ પ્રથમ વખત કાર ખરીદનારા ગ્રાહકોમાં હેચબેક પસંદગીમાં આશરે 5 ટકાનો વધારો નોંધાયો છે. વધતી માંગને કારણે કેટલીક લોકપ્રિય કાર મોડલ્સ માટે વેઈટિંગ પીરિયડ દોઢ મહિના સુધી લંબાયો છે, અને કંપની ઉત્પાદન ક્ષમતામાં ફેરફાર કરીને માંગ પૂરી કરવા તૈયારી કરી રહી છે.

GST સુધારા બાદ મારુતિ સુઝુકીએ એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં 31 ટકાનો વોલ્યુમ ગ્રોથ નોંધાવ્યો છે, જે સમગ્ર ઉદ્યોગ સ્તરે સ્મોલ કાર વેચાણમાં થયેલા 23 ટકાના વધારા કરતાં વધુ છે. આ આંકડા દર્શાવે છે કે હેચબેક સેગમેન્ટમાં કંપનીની મજબૂત પકડ યથાવત છે.

ટાટા મોટર્સના ચીફ કોમર્શિયલ ઓફિસર અમિત કામતના જણાવ્યા અનુસાર, 2026ના નાણાકીય વર્ષના બીજા અડધામાં હેચબેક સેગમેન્ટમાં મધ્યમ વૃદ્ધિ જોવા મળી શકે છે. કંપની FY26 દરમિયાન તેની હેચબેક કારોના વેચાણમાં 18થી 20 ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આવનારો ત્રિમાસિક સમયગાળો નિર્ણાયક સાબિત થશે.

જાટો ડાયનેમિક્સના પ્રમુખ રવિ ભાટિયાના મત મુજબ, હેચબેક સેગમેન્ટને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ લાંબા ગાળે ગ્રાહકો વધુ આરામ, સુરક્ષા અને પ્રેક્ટિકલ ઉપયોગ ધરાવતા કોમ્પેક્ટ SUV અને ક્રોસઓવર તરફ આકર્ષાઈ રહ્યા છે, જે હેચબેક માટે પડકારરૂપ બની શકે છે.

આમ, GSTમાં થયેલા ઘટાડાના કારણે હેચબેક કાર સેગમેન્ટને નવી ઉર્જા મળી છે. જોકે આ ઉછાળો લાંબા ગાળે ટકાઉ રહેશે કે નહીં તે આવનારા મહિનાઓમાં બજારની દિશા અને ગ્રાહકની પસંદગી પર નિર્ભર રહેશે.

Read More

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… ઉત્તરાયણ આવે એટલે આ પંક્તિ આપમેળે હોઠ પર આવી જાય છે. પતંગ માત્ર રમકડું નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ સાથે ઊંડે જોડાયેલો એક જીવંત પ્રતીક છે. ખાસ કરીને ગુજરાતમાં પતંગ અને ઉત્તરાયણ એકબીજાના પર્યાય સમાન બની ગયા છે. પતંગનો ઈતિહાસ જેટલો રંગબેરંગી છે, એટલી જ તેની ઓળખ, ઉપયોગિતા અને વૈશ્વિક મહત્તા પણ વિશાળ છે.

‘પતંગ’ શબ્દ પોતે જ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો મૂળ અર્થ ‘સૂર્ય’ થાય છે. ભગવદોમંડલમાં પતંગના અનેક અર્થો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ઉત્તરાયણના પર્વ પર પતંગ અને પતંગ (સૂર્ય) બંને એકબીજા સાથે ઉમંગ અને ઉત્સાહથી જોડાઈ જાય છે. આ તહેવારમાં સૂર્ય ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે અને પતંગો આકાશમાં ઉડતા જીવનમાં નવી ઊર્જા, આશા અને આનંદનો સંદેશ આપે છે.

ગુજરાતમાં પતંગને તેના રંગ, આકાર અને કદ પરથી અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. રંગીન પતંગોને પીળી, બગલુ, ભૂરી જેવા નામ આપવામાં આવે છે, જ્યારે ભાતીગળ પતંગોને આંખદાર, કાગડી, ગિલંદર અને અણીદાર તરીકે ઓળખવામાં આવે છે. પછડાવાળા પતંગને પૂંછડીદાર અને કૂમતાવાળા પતંગને ફૂમતેદાર કહેવામાં આવે છે. પાંચ પતંગોના સમૂહને પંજો અને વીસ પતંગોના સમૂહને કુંડી કહેવાય છે. ભાષા બદલાય તેમ પતંગના નામ પણ બદલાય છે. હિન્દીમાં તેને ચંગ કહેવાય છે, મોટા પતંગને તુક્કલ કહેવામાં આવે છે. તાંજોરમાં પાવોલ, બિહારમાં તિલંગી, મારવાડમાં મકડ, કન્નડ ભાષામાં ગાલિપટ્ટુ અને માંજાને નાગુલ કહે છે.

ભારત પૂરતો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પતંગનું મહત્વ વિશેષ છે. જાપાનમાં પતંગને ‘સાજો’ કહે છે અને તેને પુગતી તથા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં માછલી, ડ્રેગન અને છ ખૂણાવાળા પતંગોની વિશેષ મહત્તા છે. જાપાનમાં ઇ.સ. 1936માં 2500 કિલો કાગળથી બનાવવામાં આવેલો અદ્ભૂત પતંગ વિશ્વવિખ્યાત છે, જે 39 ફૂટ ઊંચો, 21 ફૂટ પહોળો અને 3100 મીટર લાંબો હતો. તેનું કુલ વજન લગભગ સાડા નવ ટન હતું. જાપાનમાં વિશ્વની સૌથી વિશાળ પતંગ બનાવતી કંપની ‘ધ કાઇટ્સ’ પણ આવેલી છે.

ભારતમાં પતંગના સંરક્ષણ અને ઇતિહાસને સાચવવા માટે અમદાવાદમાં ઇ.સ. 1986માં ભાનુભાઈ શાહ દ્વારા પતંગનું મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું હતું, જે આજે પણ પતંગપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. અમેરિકા ખાતે ‘અમેરિકા કાઇટ ફ્લાયર્સ એસોસિએશન’ નામની સંસ્થા કાર્યરત છે, જેમાં વિશ્વભરના લગભગ 500 જેટલા પતંગપ્રેમી સભ્યો જોડાયેલા છે.

ઇતિહાસમાં પતંગનો ઉપયોગ ફક્ત મનોરંજન પૂરતો સીમિત રહ્યો નથી. ઇ.સ. 500 આસપાસ ચીનના શાસક લિસાંગ મૂ પોતાના સૈનિકોને એકત્ર કરવા માટે પતંગ દ્વારા સંકેતિક સંદેશાઓ મોકલતા હોવાનું માનવામાં આવે છે. પંદરમી સદીમાં લિયોનાર્ડો દા વિન્ચીએ ખીણો અને નદીઓનું માપ લેવા પતંગનો ઉપયોગ કર્યો હતો અને તેણે જાતે અનેક અવનવા પતંગો તૈયાર કર્યા હતા. બેન્જામિન ફ્રેન્કલિનનો પતંગ સાથેનો પ્રયોગ તો વિજ્ઞાન જગતમાં ઐતિહાસિક માનવામાં આવે છે, જેમાં વીજળી અંગે મહત્વપૂર્ણ શોધ થઈ હતી.

અઢારમી સદીમાં ડો. વિલ્સને પતંગ દ્વારા હવાના દબાણ, ગતિ અને તાપમાન માપવાના પ્રયોગો કર્યા હતા. ઘણા વૈજ્ઞાનિકોએ પતંગ સાથે થર્મોમીટર બાંધીને આકાશના તાપમાનનો અભ્યાસ કર્યો. 19મી સદીમાં યુદ્ધકાળ દરમિયાન દુશ્મનોના મથકની માહિતી મેળવવા, ટાર્ગેટ નિશ્ચિત કરવા અને ટોર્પિડો મૂકવા માટે પણ પતંગનો ઉપયોગ થયો હતો. અમુક યુદ્ધોમાં પતંગ પર નાનો કેમેરો લગાવી દુશ્મનની વ્યૂહરચના જાણી લેવામાં આવતી હતી.

નાયગરા ધોધ પર ઝુલતો પૂલ બનાવતી વખતે પતંગ દ્વારા દોરા અને સળીયા સામે પાર પહોંચાડવામાં આવ્યા હતા. બ્રેડન પ્રોવેલે પતંગને વાયરલેસ સંચાર તરીકે ઉપયોગમાં લીધો હતો, જ્યારે ડગ્લાસ આર્કિબોલ્ડે પતંગ દ્વારા એનેમોમીટર ઉડાડી પવનની ઝડપનો અભ્યાસ કર્યો હતો.

આ તમામ ઉદાહરણો સાબિત કરે છે કે પતંગ માત્ર ઉત્તરાયણનો આનંદ નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિ, વિજ્ઞાન, સંચાર અને ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. આજેય જ્યારે ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છલકાય છે, ત્યારે એ પતંગો માત્ર દોરા સાથે બંધાયેલા નથી, પરંતુ પેઢીદર પેઢી વહેતી આવતી પરંપરા, જ્ઞાન અને આનંદની વારસાગાથા સાથે જોડાયેલા છે.

Read More

મકરસંક્રાંતિ: પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાને ઉજવણી કરતાં દેશભરના લોકો માટે ઉત્સવ અને આનંદભર્યું પર્વ

ભારતના સૌથી પ્રાચીન અને લોકપ્રિય તહેવારોમાં મકરસંક્રાંતિનું નામ વિશેષ સ્થાન ધરાવે છે. આ તહેવાર માત્ર એક પરંપરા કે ધાર્મિક તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાની ઉજવણીનું પ્રતીક છે. દરેક વય અને વર્ગના લોકો આ દિવસે ખુશી અને ભક્તિ સાથે જોડાઈ જાય છે. મકરસંક્રાંતિનો મુલ્યો હવામાન, સૂર્ય અને કૃષિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

મકરસંક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ સૂર્ય દેવતાની ઉપાસના અને કૃતજ્ઞતા દર્શાવવાનો છે. જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રકાશ, ઉર્જા અને ઉત્સાહ લાવનાર સૂર્યનું આ દિવસ પર વિશેષ મહત્ત્વ છે. ભારતમાં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, અને આ દિવસને દિનચર્યામાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. 

મકરસંક્રાંતિ અને કૃષિનું સંબંધમકરસંક્રાંતિ ખેડૂતો માટે ખાસ મહત્વ ધરાવે છે. આ સમયે પાકો કાપવાની તૈયારી પૂર્ણ થઈ રહી હોય છે. ખેડૂત સમુદાય પોતાના સખત મહેનતના ફળ માટે પ્રકૃતિ અને સૂર્ય દેવતાના આભાર દર્શાવે છે. નવા પાક, જમીન અને કૃષિ સાધનોની પૂજા કરવી એ આ તહેવારની મુખ્ય પરંપરાઓમાં સામેલ છે. આ તહેવાર માત્ર વ્યક્તિગત પ્રસન્નતા નહીં, પરંતુ સમુદાયના શ્રમ અને સહિયારી ખુશીની ઉજવણી પણ છે. 

રાજ્યો પ્રમાણે ઉજવણીના વિવિધ સ્વરૂપોમકરસંક્રાંતિ દેશભરના વિવિધ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવાય છે, પરંતુ સૂર્યની ભક્તિ અને કૃતજ્ઞતા એ સામાન્ય ભાવના છે. 

  • ગુજરાત: અહીં મકરસંક્રાંતિ પતંગ મહોત્સવ તરીકે ખાસ પ્રખ્યાત છે. સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ સહિતના શહેરોમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરી જાય છે. પરિવારો છત પર ભેગા થઈ પતંગ ઉડાડતા આનંદ અનુભવે છે.
  • તમિલનાડુ: અહીં તે ખોરાક અને સમૃદ્ધિનો ઉત્સવ છે. માટીના વાસણોમાં નવા ચોખા, દૂધ અને ગોળ સાથે પરંપરાગત વાનગીઓ તૈયાર થાય છે. ઘરો અને પ્રાણીઓની પૂજા પણ કરવામાં આવે છે.
  • આંધ્રપ્રદેશ અને તેલંગાણા: આંગણાઓ રંગબેરંગી અલ્પના અને પતંગોથી શણગારવામાં આવે છે. હૂંફ અને લોક ઉત્સાહ સાથે આ તહેવાર ઉજવાય છે.
  • પંજાબ અને હરિયાણા: લોહરી તરીકે આ તહેવાર ઉજવાય છે. લોકગીતો, નૃત્યો અને તલ, મગફળી, ગોળ વગેરે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે.
  • ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ: આ પ્રદેશોમાં મકરસંક્રાંતિ શ્રદ્ધા અને સામાજિક જોડાણ માટેનું પર્વ છે. નદીઓમાં સ્નાન અને દાન કરવું મુખ્ય પરંપરા છે.
  • પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશા: અહીં લોક પરંપરા અને સમુદાય ઉજવણીનું વિશેષ મહત્વ છે. મીઠાઈઓ, આગનું પ્રદર્શન અને લોકગીતો આ તહેવારને ખાસ બનાવે છે. 

પ્રકાશ અને શુદ્ધતાસ્વચ્છતા અને શુદ્ધતાનો સંદેશ મકરસંક્રાંતિથી મળતો છે. સ્નાન કરવું, ઘરો અને આસપાસની જગ્યાઓને શણગારવું આ દિવસની ખાસ પરંપરા છે. માટીના વાસણોમાં નવા પાક અને દૂધ-ગોળથી બનાવેલી વાનગીઓ ઘરમાં પ્રસાદરૂપે વહેંચાય છે. 

ધ્યાન અને ભક્તિમકરસંક્રાંતિમાં ધ્યાન, પ્રાર્થના અને આધ્યાત્મિક અભ્યાસનું મહત્વ પણ છે. સૂર્ય, ખેતરો, કૃષિ સાધનો, પ્રાણીઓ અને અનાજની પૂજા કરવાથી પ્રકૃતિ અને સ્રષ્ટા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર પણ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો માટે ખુલ્લું રાખે છે, જ્યાં ભક્તો 41 દિવસના ઉપવાસ અને શિસ્તબદ્ધ જીવન પછી દર્શન કરે છે. 

દાન અને સમુદાય સેવામકરસંક્રાંતિનો એક મહત્વપૂર્ણ પાસો દાન અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો છે. નવી લણણી અને પાકમાંથી બનાવેલી વાનગીઓ જરૂરિયાતમંદો સાથે વહેંચી સમાજમાં સમૃદ્ધિ અને સહકારની ભાવના પેદા થાય છે.મકરસંક્રાંતિ ફક્ત એક તહેવાર નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિબિંબ છે. પ્રકૃતિ, મહેનત અને કૃતજ્ઞતાની ઉજવણી સાથે જોડાયેલ આ પર્વ દરેક રાજ્ય અને સમુદાયમાં પોતાની અનોખી શૈલીમાં ઉજવાય છે. આ તહેવાર આપણા જીવનમાં આનંદ, ભક્તિ અને પરસ્પર સ્નેહનો સંદેશ લાવે છે અને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય મૂલ્યોને આગળ લાવે છે.

Read More

ગાંધીનગરમાં GBRCની BSL-4 સુવિધાનું ખાતમુહૂર્ત, રાષ્ટ્રીય મહત્વના બાયોકન્ટેઇનમેન્ટ કેન્દ્ર તરફ મહત્વપૂર્ણ પગલું

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં અત્યાધુનિક BSL-4 Bio-containment Facilityનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ (DBT) દ્વારા આ BSL-4 સુવિધાને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સંશોધન કેન્દ્ર તરીકે અધિકૃત કરવા માટે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ સાથે **‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ (LoI)**નું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આ પગલું દેશના આરોગ્ય અને બાયોટેક સંશોધન ક્ષેત્ર માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. 

ગંભીર વાયરસ સંશોધનમાં દેશને મળશે મજબૂત આધાર 

BSL-4 Bio-containment Facility એ એવી અતિઉચ્ચ સુરક્ષાવાળી પ્રયોગશાળા છે, જ્યાં નિપાહ, ઈબોલા, કોરોના જેવા જીવલેણ અને અત્યંત સંક્રમક વાયરસ પર સંશોધન કરવામાં આવે છે. આ સુવિધા કાર્યરત થવાથી ભારતને વિદેશી લેબ પર નિર્ભર રહેવું નહીં પડે અને સ્વદેશી સ્તરે રિસર્ચ, ડાયગ્નોસ્ટિક્સ અને વેક્સિન વિકાસને વેગ મળશે. 

‘વિકસિત ભારત 2047’ના વિઝન સાથે સુસંગત પહેલ

કાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતે હંમેશા વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે અને BSL-4 સુવિધા તેનું ઉત્તમ ઉદાહરણ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સંશોધન, નવી ટેક્નોલોજી અને આરોગ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે. GBRC ખાતે BSL-4 સુવિધા સ્થાપિત થવાથી ગુજરાત બાયોટેકનોલોજી અને લાઈફ સાયન્સ ક્ષેત્રનું રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનશે. 

વૈજ્ઞાનિક સંશોધન અને માનવ સંસાધન વિકાસને વેગ

આ પ્રોજેક્ટ દ્વારા દેશના વૈજ્ઞાનિકોને ઉચ્ચ સ્તરના સંશોધનની તક મળશે, સાથે જ યુવા સંશોધકો અને વૈજ્ઞાનિકો માટે નવી રોજગાર અને તાલીમની તકો પણ ઊભી થશે. આરોગ્ય સુરક્ષા, રોગચાળો નિયંત્રણ અને રાષ્ટ્રીય બાયો-સિક્યુરિટી માટે આ સુવિધા મજબૂત કડી સાબિત થશે.

આ રીતે, ગાંધીનગરમાં શરૂ થનારી BSL-4 Bio-containment Facility માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે આરોગ્ય અને વૈજ્ઞાનિક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર બનશે.

Read More