આસામ: લેન્ડિંગ વખતે વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 5 જવાનો શહીદ Jun 13, 2026 જોરહાટ એરબેઝ પર માલ વાહક જહાજનો કમનસીબ અકસ્માત: વાયુસેનાએ આપ્યા તપાસના આદેશઆસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન ખાતે શનિવારે ભારતીય વાયુસેનાના AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન સાથે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. લેન્ડિંગ દરમિયાન વિમાન અકસ્માતનો ભોગ બનતા દેશના પાંચ બહાદુર જવાનો શહીદ થયા છે. આ દુર્ઘટનામાં એક કો-પાયલટ ચમત્કારિક રીતે બચી ગયા છે, જેમને હાલમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.વાયુસેનાના નિવેદન અનુસાર, વિમાન જોરહાટ એરફિલ્ડ પર લેન્ડિંગની પ્રક્રિયામાં હતું, ત્યારે અચાનક ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર વિમાનમાં આગ લાગી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતા જ એરબેઝ પર તૈનાત તાત્કાલિક પ્રતિસાદ ટીમો અને ફાયરફાઇટિંગ દળો ઘટનાસ્થળે દોડી ગયા હતા. યુદ્ધના ધોરણે આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ વિમાનમાં સવાર પાંચ જવાનોને બચાવી શકાયા નહોતા. શહીદ થયેલા જવાનોમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે. વાયુસેનાએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કરી શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.આ દુર્ઘટનાના કારણો જાણવા માટે વાયુસેનાએ 'કોર્ટ ઓફ ઇન્ક્વાયરી'ના આદેશ આપ્યા છે. વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી લેન્ડિંગ વખતે વિમાનમાં આગ લાગવા પાછળના ચોક્કસ કારણો જાણી શકાય. વિમાનના ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવશે. અત્યારે જોરહાટ એરબેઝ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. Previous Post Next Post