કેન્દ્રીય બજેટથી ગુજરાતને મોટો લાભ: ગીફટ સિટી, સુરત, જામનગર અને હેરીટેજ સાઇટ્સના વિકાસને વેગ Feb 02, 2026 કેન્દ્રીય બજેટમાં કરાયેલ વિવિધ જોગવાઈઓથી ગુજરાતને દેશભરમાં સૌથી વધુ લાભ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગીફટ સિટી, સુરત, જામનગર તેમજ રાજ્યની હેરીટેજ અને ટુરિઝમ સાઇટ્સ માટે બજેટ નવી તકો લઈને આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બજેટથી ‘ખુશ્બુ ગુજરાત કી’ને વૈશ્વિક સ્તરે વધુ ઓળખ મળશે.ગીફટ સિટી માટે બજેટમાં કરાયેલ મહત્વપૂર્ણ જાહેરાતો ગુજરાતના આ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ હબ માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. ગીફટ સિટીમાં આવનારી કંપનીઓને હવે સતત ૨૦ વર્ષ સુધી કરમુક્તિનો લાભ મળશે. આ નિર્ણયના કારણે વૈશ્વિક બેંકો, ફિનટેક કંપનીઓ, ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ અને નાણાકીય સેવાઓ સાથે સંકળાયેલી અગ્રણી સંસ્થાઓ માટે ગીફટ સિટી વધુ આકર્ષક બનશે. પરિણામે રોજગારીની નવી તકો ઊભી થશે અને ગુજરાતની આર્થિક ગતિને વધુ બળ મળશે. ગીફટ સિટીનો વિકાસ હવે બીજા તબક્કામાં પ્રવેશ કરે તેવા સ્પષ્ટ સંકેતો બજેટથી મળી રહ્યા છે.સુરત માટે પણ બજેટ અત્યંત મહત્વનું સાબિત થઈ શકે છે. સુરતને સીટી ઇકોનોમિક રીજન તરીકે વિકસાવવાની યોજના હેઠળ તેને દેશના મહત્વપૂર્ણ આર્થિક હબ તરીકે ઉભું કરવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરતનો સમાવેશ ઈકોનોમિક ઝોનમાં થવાથી ટેક્સટાઇલ, ડાયમંડ અને સંબંધિત ઉદ્યોગોને સીધો લાભ મળશે. આ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ભારતને જોડતી ખાસ ફ્રેઇટ કોરિડોરની યોજના અમલમાં આવતા ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી માલપરિવહન વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનશે. આ પરિવહન સુવિધાનો લાભ ઉદ્યોગો સાથે સાથે વેપારીઓ અને નિકાસકારોને પણ મળશે.જામનગરમાં આવેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના પરંપરાગત મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરીને વિશ્વકક્ષાનું રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર બનાવવાની જાહેરાત પણ બજેટનો મહત્વપૂર્ણ ભાગ છે. આ અપગ્રેડેશનથી આયુર્વેદ, યોગ, સિદ્ધા અને અન્ય પરંપરાગત ઉપચાર પદ્ધતિઓને વૈજ્ઞાનિક આધાર મળશે અને તેની વૈશ્વિક સ્વીકૃતિ વધશે. જામનગરનું આયુષ સેન્ટર રિસર્ચ અને તાલીમ માટેનું કેન્દ્ર બનતાં દેશ-વિદેશના તબીબો અને સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આથી મેડિકલ ટુરિઝમમાં પણ ગુજરાતને મોટો ફાયદો થવાની શક્યતા છે.ટુરિઝમ ક્ષેત્રે પણ બજેટ ગુજરાત માટે શુભ સંકેત લઈને આવ્યું છે. લોથલ અને ધોળાવીરા જેવી વિશ્વવિખ્યાત હેરીટેજ સાઇટ્સને વધુ વિકસાવવાની યોજના હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને વૈશ્વિક પ્રચાર પર ભાર મૂકવામાં આવશે. આ સાઇટ્સના વિકાસથી દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધશે અને સ્થાનિક લોકોને રોજગારી તથા આવકના નવા સ્ત્રોત મળશે. હેરીટેજ ટુરિઝમ સાથે સંકળાયેલા હોટેલ, ટ્રાન્સપોર્ટ, હેન્ડીક્રાફ્ટ અને સ્થાનિક વ્યવસાયોને પણ તેનો સીધો લાભ મળશે.આ ઉપરાંત, મેડિકલ ટુરિઝમના કારણે ગુજરાતના તબીબી ક્ષેત્રને પહેલેથી જ મોટો લાભ થયો છે. બજેટમાં આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપતી જોગવાઈઓથી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આધુનિક સુવિધાઓનો વિકાસ થશે. ઉચ્ચ ગુણવત્તાની સારવાર અને ખર્ચમાં સગવડ હોવાના કારણે ગુજરાત મેડિકલ ટુરિઝમ માટે વૈશ્વિક નકશા પર વધુ મજબૂત સ્થાન મેળવશે.કુલ મળીને જોવામાં આવે તો, કેન્દ્રીય બજેટ ગુજરાત માટે આર્થિક વિકાસ, ઉદ્યોગ, આરોગ્ય, ટુરિઝમ અને વૈશ્વિક રોકાણની દ્રષ્ટિએ નવી દિશા ખુલ્લી કરે છે. ગીફટ સિટીથી લઈને સુરત, જામનગર અને હેરીટેજ સાઇટ્સ સુધી વિકાસની સુગંધ ફેલાવતું આ બજેટ ‘ખુશ્બુ ગુજરાત કી’ને દેશની સરહદો પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. Previous Post Next Post