“મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાનને વેગ: રાજકોટમાં બે યોગ શિબિરનો ભવ્ય પ્રારંભ Jan 28, 2026 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ “મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં બે અલગ-અલગ સ્થળોએ યોગ શિબિરનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોગ શિબિરોનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને મેદસ્વિતાથી મુક્ત કરી સ્વસ્થ, તંદુરસ્ત અને સક્રિય જીવન તરફ પ્રેરિત કરવાનો છે.રાજકોટ શહેરના વોર્ડ નંબર 12માં યોજાયેલી પ્રથમ યોગ શિબિરનો શુભારંભ રાજકોટના માનનીય મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા ઝોન કો-ઓર્ડીનેટર શ્રીમતી વંદનાબેન રાજાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયરશ્રીએ ઉપસ્થિત બહેનોને યોગના મહત્ત્વ વિશે માહિતગાર કરતા કહ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવનને સંતુલિત અને રોગમુક્ત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેમણે તમામ બહેનોને નિયમિત યોગાભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ યોગ શિબિરના માધ્યમથી કુલ 115 બહેનો નિયમિત રીતે યોગાભ્યાસ કરી મેદસ્વિતાથી મુક્ત થવાનો સંકલ્પ લીધો છે. યોગ શિબિરમાં પ્રાણાયામ, આસન, ધ્યાન તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી ભાગ લેનાર બહેનો શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ બની શકે.આ ઉપરાંત રાજકોટના વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર શેરી નંબર 4, પરમેશ્વર મહાદેવ મંદિરના ગાર્ડનમાં બીજી યોગ શિબિરનો પણ આરંભ કરવામાં આવ્યો હતો. આ શિબિરનું ઉદ્ઘાટન વોર્ડના કોર્પોરેટર શ્રીમતી જયાબેન ડાંગરની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. આ અવસરે ઝોન કો-ઓર્ડીનેટરશ્રી, મહાનગરપાલિકાના કો-ઓર્ડીનેટરશ્રી, શિબિરના સંચાલકો તેમજ “મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન સાથે જોડાયેલા આશરે 110 જેટલા યોગસાધકો હાજર રહ્યા હતા. બીજા યોગ શિબિરમાં પણ યોગાચાર્યો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગાભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ભાગ લેનારા યોગસાધકોને દૈનિક જીવનમાં યોગ કેવી રીતે અપનાવવો, ખોરાક અને જીવનશૈલીમાં કયા ફેરફાર કરવાથી આરોગ્ય સુધરી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. યોગ શિબિરથી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તેમજ સ્થૂળતા જેવી સમસ્યાથી મુક્તિ મળે તેવો હેતુ રાખવામાં આવ્યો છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલી આ યોગ શિબિરોને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. “મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત આવી યોગ શિબિરો આવનારા સમયમાં વધુ વિસ્તારોમાં યોજાશે, જેથી વધુમાં વધુ લોકો સ્વસ્થ જીવન તરફ આગળ વધે તે દિશામાં મજબૂત પગલાં ભરાઈ શકે. Previous Post Next Post